ભાવનગરમાં સૌથી વધુ ૪૨.૬ ડિગ્રી અને અમદાવાદમાં ૪૧.૦૪ ડિગ્રી મહત્તમ તાપમાન : રોગચાળો વધ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
આગ ઓકતી ગરમીના મારાથી સામાન્ય જનજીવન વ્યાકુળ બન્યું છે. આજે ભાવનગરમાં સૌથી વધુ ૪૨.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા સ્થાનિકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ ઉકળાટ સાથે ગરમીનો પારો ૪૧.૦૪ ડિગ્રી રહેતાં બપોરના સુમારે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.
રાજયના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાએ કાળઝાળ સ્વરૂપ ધારણ કર્યું હોય એમ ચામડી દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઉકળાટ સાથેની અસહ્ય ગરમીથી જનજીવન પ્રભાવિત બન્યું છે. આજે રાજયના ભાવનગર સૌથી વધુ ૪૨.૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં લોકોએ ઘર-ઓફિસોની અંદર રહેવું જ યોગ્ય માન્યું હતું. બીજી બાજુ સામાન્ય ચહલપહલના અભાવે જાહેર માર્ગો તથા મુખ્ય બજારો સુમસામ ભાસતા હતાં.
દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા હતા. તીવ્ર ગરમીથી બચવા લોકોએ એસી-પંખા તથા ઠંડાપીણાની મદદ લીધી હતી. સતત જારી રહેલી આગ ઓકતી ગરમીથી વૃદ્ધો અને બાળકોની હાલત સૌથી વધુ કફોડી બની હતી.
દરમિયાન રાજયના અન્ય વિસ્તારો અંતર્ગત સુરેન્દ્રનગરમાં ૪૧.૭, રાજકોટમાં ૪૧.૦૧, ડીસા ૪૧, ઇડર ૪૦.૬, વડોદરા ૪૦, સુરતમાં ૩૩, ભુજમાં ૩૭, નલિયા ૩૪.૨, દ્વારકા ૩૦.૬, ઓખામાં ૩૧.૯, પોરબંદર ૩૩, કચ્છ-માંડવી ૩૫.૯, વલસાડ ૩૩.૦૮, વલ્લભવિદ્યાનગર ૩૮.૬, કંડલામાં ૩૫.૫ અને વેરાવળમાં ૩૩.૩ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. દરમિયાન આગામી સમયમાં પણ ગરમીનું મોજું જારી રહેશે. જેના પગલે લોકોએ હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. દરમિયાન રોગચાળાના કારણે પણ લોકો પરેશાન થયેલા છે.