તમામ પીકનીક મનાવવા આવ્યા હતાઃભાવનગરમાં ડૂબવા જવાથી મૃત્યુ પામનાર બે પૈકી એક યુવાન અમદાવાદનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
રાજયના આણંદ જિલ્લાના વેરાપાડી નદીમાં પીકનીક માટે આવેલા પરમાર પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ વ્યક્તિઓ અને એક મહિલા મળી કુલ છ લોકોના કરુણ મોત નિપજયા છે. જયારે ભાવનગર ખાતે સમી સાંજે નાહવા પડેલા બે યુવાનોેના કરુણ મોત નિપજયા છે.
ઉનાળાની ગરમીમાં વધારે પડતા પ્રવાસ નદી કાંઠાના સ્થળોએ જ કરવામાં આવે છે. જેના કારણે કેટલીકવાર અપમૃત્યુના બનાવ બનતા હોય છે. આણંદ જિલ્લાની વેરાખાડી નદી ખાતે પણ પિકનીક માટે પરમાર કુટુંબની પાંચ વ્યક્તિઓ મળી કુલ છ જણ આવ્યા હતા. સવારે ૧૦.૩૦ વાગે તમામ લોકો નાહવા માટે નદીમાં ગયા ત્યારે એકબીજાને બચાવવામાં છ વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે. મરનાર વ્યક્તિઓમાં પ્રેમીલાબહેન કિશોરભાઇ મેકવાન (૩૧ વર્ષ)(રહે. મુંબઇ), ભરતભાઇ મગનભાઇ પરમાર (૩૮ વર્ષ) (રહે. પેટલાદ), નેહલભાઇ જયંતિભાઇ પરમાર (૧૫ વર્ષ) (રહે. નડિયાદ), સંજય ઉર્ફે જીગ્નેશભાઇ જયંતિભાઇ પરમાર (૧૪ વર્ષ) (રહે. નડિયાદ), ભાવેશકુમાર ભરતભાઇ પરમાર (રહે. ૧૩ વર્ષ) (રહે. પેટલાદ) અને જયેશભાઇ મણીભાઇ બારોટ (૪૦ વર્ષ) (રહે. પેટલાદ)નો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં ખંભોળીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે પોલીસ પહોંચી તે પહેલાં તમામ લોકોના મોત નિપજયા હતા. પોલીસે તમામ મૃતદેહોનો પીએમ માટે સારસા ગામ ખાતેની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
આજે ભાવનગર ખાતે પાણીમાં ડૂબી જવાની ઘટનામાં બે યુવાનોના કરુણ મોત નિપજયા છે. બનાવની વિગત એવી છે કે ભાવનગરના તળાજા પુલ પાસે આજે સાંજે ૫.૦૦ વાગે ભાવનગરના રામજ ગામે રહેતા મોરીભાઇ યસ્માલભાઇ દેવસિંહ તેમના બે મિત્રો ઉત્સવભાઇ સતિષભાઇ મિસ્ત્રી (૨૨ વર્ષ) અને ઓજસભાઇ નરેશભાઇ પંડ્યા (૨૨ વર્ષ) (રહે. અમદાવાદ, વાડજ) સાથે નાહવા ગયા હતા. દરમિયાન કોઇ કારણસર ઉત્સવભાઇ અને ઓજસભાઇ બન્ને જણા ડુબી ગયા હતા. તળાજા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.