પાંડે, ટંડન, ગોંદિયા અને ચુડાસમાએ ફરજમાં બેદરકારી દાખવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યોઃ ૧૬મી જૂને સુનાવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
ગુલબર્ગ હત્યાકાંડ બનાવ દરમ્યાન ફરજમાં બેદરકારી દાખવવા બદલ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર પી. સી. પાંડે, એમ. કે. ટંડન, પી. બી. ગોંદિયા અને એસ. એસ. ચુડાસમાને આરોપી બનાવવાની અરજી આરોપીઓએ ડેઝીગ્નેટેડ જજ બી. જે. ધાંધા સમક્ષ કરી છે. આ અરજી ખાસ કોર્ટના જજે દાખલ કરી વધુ સુનાવણી ૧૬મી જૂનના રોજ નિયત કરી છે.
આરોપીઓના વકીલ એસ. એમ. વોરાએ ગુરુવારે ખાસ અદાલતના જજ બી. જે. ધાંધા સમક્ષ તત્કાલીન પોલીસ કમિશનર પી. સી. પાંડે, એમ. કે. ટંડન, પી. બી. ગોંદિયા અને એસ. એસ. ચુડાસમાએ આરોપી તરીકે લેવાની અરજી કરી હતી. જેમાં એવી અરજી કરવામાં આવી હતી કે, આ ચારેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં બનાવ દિવસે ગુલબર્ગ સોસાયટીએ બચાવ કામગીરી ન કરી ફરજમાં બેદરકારી દાખવી છે. આટલું જ નહીં, આરોપીઓને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી નરસંહાર કરવા દેવાની છૂટ આપી હતી. તે બાબત કેસના સ્વતંત્ર સાક્ષીઓના નિવેદનથી ફલિત થાય છે. તેવા સંજોગોમાં ચારેય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટોળાંને વિખેરવા કે અન્ય કોઇ આશયથી પગલાં નહીં લઇ ફરજમાં બેદરકારી દાખવી છે. તેમને આરોપી તરીકે લેવા અરજી થઇ હતી. આ અંગેની વધુ સુનાવણી ૧૬મી જૂને નિયત થઇ છે. આ કેસની વિગત એવી છે કે, ગોધરાકાંડ બાદ રાજયમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ દરમ્યાન ગુલબર્ગ સોસાયટી ખાતે હિંસક ટોળાએ તોફાન મચાવતાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૮ વ્યક્તિઓના મોત નીપજયા હતા.