(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
દેશભરમાં ચકચાર જગાવનાર સૌહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર અને કૌશરબીબીની ભેદી હત્યા કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી નરેન્દ્ર અમીને સીબીઆઇ કોર્ટમાં જામીન માટે અરજી કરી એવી રજુઆત કરી હતી કે, જો આ કેસના આરોપી અમિત શાહને જામીન મળી જાય તો મને પણ જામીન મળવા જોઇએ. સીબીઆઇએ આ મામલે નરેન્દ્ર અમીનના જામીનનો વિરોધ કરતાં એવી રજુઆત કરી હતી કે, આ કેસમાં અમિત શાહનો રોલ માત્ર કાવતરાના આરોપી તરીકે છે. જયારે અમીનની ભૂમિકા કૌશરબીની હત્યા સુધીનો છે. માટે તેમની સરખામણી કરી શકાય નહીં.
અમીનને જામીન મુક્ત કરવામાં આવે તો કેસના પુરાવા સાથે ચેડાં થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. અમીનને જામીન નહીં આપવા સીબીઆઇએ કોર્ટમાં સખત વાંધો લીધો હતો.