પ્રિયંકાની હત્યા પિયરપક્ષના જ સભ્યો દ્વારા કરાયાની રજુઆત
પતિ સહિત કુલ ચારનો પુરાવાના અભાવે નિર્દોષ છૂટકારા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
શહેરમાં ચકચાર જગાવનાર પ્રિયંકા હત્યા કેસમાં ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડતાં સિટી સેસન્સ કોર્ટના જજ વી. એમ. નાયકે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી પતિ લલિત ચૌહાણ સહિત ચારને નિર્દોષ છોડી મુક્યા છે.
કોર્ટે પોતાના ચુકાદામાં એવું અવલોકન કર્યું હતું કે, અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવેલી લાશ પ્રિયંકાની હતી તે બાબતનું કોઇ ઠોસ પુરાવા નથી. બનાવ વખતે પતિ લલિત ચૌહાણ નોકરી ઉપર હાજર હતાં તેવું સાબિત થાય છે. મામક સસરા સત્યેન્દ્ર સિંહ ઠાકુર એએમસીના વિજ્ઞાનમેળામાં હાજર હતાં. ફરિયાદીનું વર્તન શંકાસ્પદ જણાઇ આવે છે. બનાવ વખતે પ્રિયંકાએ પહેરેલાં કપડાં-દાગીના મળી આવ્યા નથી. ફરીયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડતાં આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકાયા હતા. બચાવપક્ષ તરફે વકીલ બી. એમ. ગુપ્તા અને શોએબ ભોહરિયા એ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે પ્રિયંકાની હત્યા તેમના પિયરપક્ષના સભ્યોેએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ઓઢવ ખાતે રહેતી પ્રિયંકાના લગ્ન લલિત ચૌહાણ સાથે થયા હતા. લગ્ન સમયગાળા દરમ્યાન સાસરિયા પક્ષ તરફથી નવુ મકાન ખરીદવા માટે પ્રિયંકાના માતા-પિતા પાસેથી પૈસાની માંગણી કરતા હતાં. આ બનાવના પગલે ગઇ તા. ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ સાસરીયા પક્ષના સભ્યોએ પ્રિયંકાના ઘરમાંથી કાઢી મૂકી હતી. આ દરમિયાન પ્રિયંકાના માતા-પિતાએ પ્રિયંકા ગુમ થયા હોવાની ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમ્યાન નર્મદા કેનાલમાંથી એક લાશ મળી આવી હતી. દહેગામના વતની રાજેન્દ્રસિંહ બિહોલાના પત્ની હોવાનું માની અગ્નિસંસ્કાર કરી દેવાયા હતાં. થોડા સમય દરમ્યાન રાજેન્દ્ર બિહોલાના પત્ની મળી આવતાં આ લાશ પ્રિયંકાની હોવાની મનાઇ હતી.