નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકી કોંગ્રેસના સત્રને ઐતિહાસિકરીતે સંબોધન કર્યું હતું જેમાં મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈ પર લઇ જવાની વાત કરી હતી. મોદીએ લોકશાહીના મુદ્દા ઉપર વિશેષ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા સાહસી અને વીર લોકોની ભૂમિ છે. એક લોકશાહીથી બીજી લોકશાહીને તાકાત મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકી કોંગ્રેસને સંબોધન તેમના માટે ગર્વની વાત છે. મોદી તેમના સંબોધનમાં ભારતના બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પણ વાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાબાસાહેબ વર્ષો સુધી કોલમ્બિયા યુનિવર્સિટીમાં રહ્યા હતા અને અમેરિકી બંધારણને લઇને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ભારતનું બંધારણ તૈયાર કરાયું ત્યારે તેમાં પણ તેની છવી દેખાઈ આવી હતી. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પ્રમુખ બરાક ઓબામાના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઉંચાઈ ઉપર પહોંચ્યા છે.
ભારતની વાત કરતા તેમણે કહ્યું હતું કે, જાતિ, ધર્મ અને ભાષા અનેક હોવા છતાં ભારત એક છે. અભિવ્યક્તિની આઝાદી અમારો મુળ અધિકાર છે. અમારા બંધારણમાં ભેદભાવ નથી. જરૃરી સમયમાં મદદ કરવા બદલ અમેરિકી કોંગ્રેસ અને અમેરિકાનો મોદીએ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મુંબઈમાં હુમલો થયો હતો ત્યારે અમેરિકાએ જે સાથ આપ્યો તેને ભારતના લોકો ક્યારેય ભુલશે નહીં. મોદીએ ભરચક કાર્યક્રમ વચ્ચે સૌથી પહેલા કોલમ્બિયા શટલ દુર્ઘટનામાં મૃત્યુ પામી ચુકેલી કલ્પના ચાવલા અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વોશિંગ્ટન પહોંચ્યા બાદ મોદી અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રીમાં ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ટૂમ ઓફ અનનોન સોલ્જર્સ ખાતે પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે માહિતી આપતા કહ્યું હતું કે, બલિદાનને સન્માન, વિરતાને સલામ છે. પવિત્ર સમારોહમાં ભાગ લીધા બાદ ઔપચારિક કાર્યક્રમોની શરૃઆત થઇ હતી.
મોદીએ સ્પેશ શટલ કોલમ્બિયા મેમોરિયલમાં ચાવલાના પતિ, પરિવારના સભ્યો, નાસાના અધિકારીઓ, ભારતીય અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પરિવાર સાથે વાત કરી હતી. નરેન્દ્ર મોદી ગઇકાલે તેમની વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા પહોંચી ગયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ તેમનુ ભવ્યરીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમની અમેરિકાની યાત્રા સૌથી મહત્વપૂર્ણ રહી છે. ગઇકાલે મોડી રાત્રે ૧૨.૨૦ વાગ્યાની આસપાસ મોદી વોશિગ્ટન પહોંચી ગયા હતા. બે વર્ષમાં મોદીની આ અમેરિકાની ચોથી યાત્રા છે. જોઇન્ટ એરબેસ એન્ડ્રુસ પર મોદી પહોંચ્યા તે પહેલા જ ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. એરબેઝ પર હાજર રહેલા ભારતીય સમુદાયના લોકો સાથે મોદીએ વાતચીત કરી હતી. તેમનો આભાર માન્યો હતો. સૌથી મોટી બાબત એ છે કે આ વખતે તેમની યાત્રા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના અંગત આમંત્રણના આધાર પર છે. ઓબામા પ્રમુખ તરીકે પોતાની અવધિ હવે પૂર્ણ કરનાર છે.