All posts by Sampurna Samachar

ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ ૯૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ગત મહિને કોરોના સંક્રમણ થયું હતું. છેલ્લા ઘણા સમયથી ઉંમરને લગતી તકલીફોનો પણ તેઓ સામનો કરી રહ્યા હતા. ૯૨ વર્ષીય કેશુભાઈ પટેલની કોરોનાની સારવાર ચાલી રહી હતી અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે ઓક્સિજન લેવામાં તેમને તકલીફ પડતી હોવાની ફરિયાદને પગલે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક એરેસ્ટને પગલે થયું હતું. કેશુભાઈ પટેલના નિધનને પગલે ભાજપે પેટા ચૂંટણી માટેના તમામ પ્રચારકાર્યો અને જાહેરસભા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ ગાંધીનગર આવવા રવાના થયા છે. સીએમ રૂપાણી દ્વારા ગાંધીનગરમાં કેબિનેટમાં કેશુભાઈ પટેલના નિધન બદલ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે આજે સાંજે ગાંધીનગર ખાતે કરાશે.

 

ચેન્નાઈનો ઓલરાઉન્ડર બ્રાવો ઈજાને કારણે ૈંઁન્ ગુમાવશે

આઈપીએલમાં ચેન્નાઈની ટીમને વધુ એક ફટકો

સ્પર્ધામાં ટકી રહેવા માટે ચેન્નાઈની ટીમ સંઘર્ષ કરી રહી છે ત્યારે તેના માટે વધુ કપરી સ્થિતિ ઊભી થવા પામી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૨૧
ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવો ઈજાને કારણે આઈપીએલની હાલની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જેનાથી પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ચૂકેલી ધોનીની ટીમ માટે આ એક મોટો ઝટકો છે. અને હવે તેમની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, ડ્‌વેન બ્રાવો ગ્રોઈનની ઈજાને કારણે આઈપીએલથી બહાર થઈ ગયો છે. ૩૭ વર્ષીય બ્રાવો અનેક વર્ષોથી સુપર કિંગ્સની ટીમનો મહત્વપુર્ણ પ્લેયર રહ્યો છે. તે ૧૭ ઓક્ટોબરે શારજાહમાં દિલ્હી કેપિટલ્સની સામે અંતિમ ઓવરમાં બોલિંગ માટે ઉતરી શક્યો ન હતો. કેપ્ટન ધોનીએ તે બાદ બોલિંગ રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. જેની ઓવરમાં અક્ષર પટેલે ૩ સિક્સ લગાવીને દિલ્હીને જીત અપાવી હતી. બ્રાવો સુપર કિંગ્સ તરફથી છ મેચ રમ્યો અને બે ઈનિંગમાં સાત જ રન બનાવી શક્યો હતો. તેણે જો કે છ વિકેટ લીધી હતી અને આ દરમિયાન ૮.૫૭ રન પ્રતિ ઓવરની એવરેજથી રન આપ્યા. સુપર કિંગ્સની ટીમ ૧૦ મેચોમાંથી સાત મેચોમાં હાર સાથે પ્લે ઓફમાંથી લગભગ બહાર થઈ ચૂક્યું છે. અને હાલ તે પોઈન્ટ ટેબલ પર અંતિમ સ્થાન પર છે. આ પહેલાં સુપર કિંગ્સના સીનિયર ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજન સિંહ પણ આ સિઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે પણ ચેન્નાઈની ટીમ નબળી પડી ગઈ હતી. તો સાથે ધોની અને કેદાર જાધવ જેવાં સીનિયર ખેલાડીઓ આ વખતે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. અને તેનું પરિણામ ટીમને ભોગવવું પડ્યું છે.

 

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૨૯
ભાજપ દ્વારા હાલ પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. પરંતુ પક્ષપલટાની નીતિને કારણે ભાજપે અનેક વિસ્તારોમાં જાકારો મળી રહ્યો છે. લોકો ખૂલીને વિરોધ કરી રહ્યાં છે. આવામાં ભાજપે ચૂંટણી જીતવા સ્ટાર નેતાઓને પ્રચાર માટે મેદાને મોકલ્યા છે. પક્ષના દિગ્ગજ નેતા રોજ અલગ અલગ બેઠકો પર ચૂંટણી યોજે છે. ત્યારે આજે નીતિન પટેલ કચ્છમાં જ્યાં સભા કરવાના છે ત્યાં ભાજપ વિરોધી બેનર લાગતા ચકચાર મચી ગઈ છે. જ્યારથી અબડાસામાં પેટાચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારનો અનેક પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વિથોણ નજીક સભા કરવાના છે. ત્યારે તેમના વિરોધમાં બેનર લાગ્યા છે. પક્ષપલ્ટુ પદ્યુમનસિંહ પ્રજાહિત કે સ્વહિત માટે ગયા છે. તેવા સવાલો સાથે અનેક મુદ્દે ભાજપ સરકારનો જાગૃત નાગરીકના નામે બેનર લગાવી વિરોધ કરાયો છે. તાજેતરમાં જ કરજણમાં એક સભા દરમિયાન નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું હતુ, ત્યારે હવે આજે તેમના વિરોધમાં બેનર લાગ્યા છે. તેમની સભા પહેલા જ બેનર અને પોસ્ટ વાયરલ થઈ છે. તો બીજી તરફ ભાજપમાં આંતરિક અસંતોષ કારણભૂત બની રહ્યો છે. અબડાસા ચૂંટણીમાં સ્થાનિક ભાજપના નેતાઓના કાવાદાવા બહાર આવ્યા છે. મુરતિયા વગરની જાનનો અહેસાસ થઈ રહ્યો છે. નખત્રાણા સભામાં સ્ટેજ પરના બેનરમાં ઉમેદવારના ફોટાની બાદબાકીથી ખળભળાટ મચી ગયો છે. કચ્છમા યોજાનાર રૂપાલાની બંને સભામાં ઉમેદવારનો ક્યાંય ફોટો જ જોવા ન મળ્યો. સ્ટેજ પર બેકગ્રાઉન્ડ બેનરમાં પ્રદ્યુમ્નસિંહનો ફોટો જ ન હોવાથી ચકચાર મળી ગઈ છે. આમ સ્ટેજ પરની બેઠકમાં ઉમેદવારને પાછલી હરોળમાં ધકેલાયા હોવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ, ભાજપમા અંદરના જ લોકોએ આ વિશે કાવાદાવા કર્યા હોવાની ચર્ચા છે. અબડાસા
(અનુસંધાન નીચેના પાને)
સભા…
(આગળના પાનાનું ચાલુ)
પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ગદ્દાર હારશે, મતદાર જીતશે વોટ્સ એપ ગ્રૂપ શરૂ થયું છે. પ્રદ્યુમ્નસિંહના હાથમાં નોટોના થપ્પા સાથેનું પ્રોફાઈલ સાથેનું ગ્રૂપ શરૂ કરાતા સનસનાટી મચી ગઈ છે. તો બીજુ એક ગ્રૂપ પણ શરૂ થયું છે.
ગદ્દાર તારું તો ગોઠવાયું, મતદારો નું શુ? ગ્રૂપમાં વધુ પડતા પાટીદારો સભ્ય હોવાથી કચ્છ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા અને આઈબીના કર્મચારીઓ પણ આ ગ્રૂપમાં મેમ્બર છે.
—————————————————————————–

 

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણે રસી પહોંચાડવા માટેની યોજના તૈયાર, રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન પર કામ ચાલે છે : નિશુલ્ક કોરોના રસીની વાતને વેગ મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
દેશમાં કોરોના કેસ ૮૦ લાખના આંકડે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના રસી બનાવવામાં આવ્યા પછી દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોરોના રસીના રસીકરણ અંગે તેમની સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે દેશના છેવાડાના વ્યક્તિ સુધી આ રસી પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોરોન રસીના સંગ્રહ માટે રસીકરણ માટે કોલ્ડ ચેન પર કામ ચાલી રહ્યું છે.
એક મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ આખા દેશને ખાતરી આપવા માંગે છે કે જ્યારે પણ કોરોના રસી મળશે ત્યારે દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોઈને પણ બાકાત રાખવામાં નહીં. વડાપ્રધાન મોદી દ્વારા દરેક દેશવાસીના રસીકરણની ખાતરીને લઈને ફરી એકવાર નિઃશુલ્ક કોરોના રસીકરણના સમાચારોને વેગ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર આરોગ્ય યોજના હેઠળ આ રસીકરણ અભિયાન ચલાવી શકે છે. ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ’હું દેશને ખાતરી આપવા માંગું છું કે જ્યારે પણ કોરોના રસી બનાવવામાં આવશે ત્યારે દરેકને રસી આપવામાં આવશે. કોઈને છોડશે નહીં. હા, આ રસીકરણ અભિયાનની શરૂઆતમાં કોરોનાનું જેને સૌથી વધુ જોખમ છે તેવા લોકોને શામેલ કરવામાં આવશે. તેમાં કોરોના સામે યુદ્ધ લડતા ફ્રન્ટલાઈન કર્મચારીઓનો સમાવેશ થશે. વડાપ્રધાનએ કહ્યું કે, ખાસ કરીને કોરોના રસી માટે બનાવવામાં આવેલ રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ રસીકરણ કઈ રીતે કરવું તેના પર કામ કરી રહ્યું છે. વડાપ્રધાનએ કહ્યું, આપણે એ જાણી લેવું જોઈએ કે રસી બનાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. પરીક્ષણો ચાલી રહ્યા છે. નિષ્ણાતો હજુ સુધી એ કહી શકવાની સ્થિતિમાં નથી કે આ રસી કેવા પ્રકારની હશે, દરેક વ્યક્તિને કેટલા ડોઝ આપવાના રહેશે કે પછી તે એકવાર આપવી પડશે કે એકથી વધુ વાર લેવી પડશે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ જ અમે દેશમાં રસીકરણ તરફ આગળ વધીશું.
કોરોના રસી માટે સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૮ હજારથી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ કોરોના રસીનો સંગ્રહ કરશે અને દેશના જુદા જુદા ભાગોમાં સપ્લાય ચેઇનનો ભાગ હશે. છેવાડાના દરેક નાગરિકને કોરોના રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય, જિલ્લા અને સ્થાનિક કક્ષાએ આ અભિયાનને સમર્પિત ટીમો રસી અભિયાનનો ભાગ બનશે.

 

જીવના જોખમને જોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપો : સુપ્રીમ

અંબાણી બંધુઓની સુરક્ષા પાછી ખેંચવાની અરજી રદ

અંબાણી બંધુ પોતાના પૈસે સુરક્ષા કરવા સક્ષમ હોવાની દલિલ સાથે તેમને સરકારી સુરક્ષા પાછી ખેંચવા અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૮
સુપ્રીમ કોર્ટે મંગળવારે અંબાણી બંધુઓ- મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પાસેથી ઝેડ પ્લસ સિક્યોરિટી કવર પાછું લેવાની અરજીને રદ કરી નાખી. તેણે બોમ્બે હાઈકોર્ટની તે ટિપ્પણીનું સમર્થન કર્યું છે કે, ઉચ્ચસ્તરીય સુરક્ષા તેમને આપવી જોઈએ જેમના જીવને જોખમ હોય અને જે સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર હોય. અરજીકર્તા હિમાંશુ અગ્રવાલે એમ કહીને બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો કે, અંબાણી બંધુઓ પાસેથી સુરક્ષા પાછી લેવાની માગણી કરી હતી કે, તેઓ ધનિક છે અને પોતાના ખર્ચે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં સક્ષમ છે.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું રાજ્યની જવાબદારી છે. એમાં એવા નાગરિકોને સુરક્ષા આપવી પણ સામેલ છે જેમના જીવને જોખમ હોય. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ની રેવન્યૂનો ભારતના જીડીપી પર મોટો પ્રભાવ છે. આ લોકોના જીવના ખતરાના હળવાશમાં ન લઈ શકાય. અગ્રવાલે પોતાના વકીલ કરણ ભારીહોકે દ્વારા જસ્ટીસ અશોક ભૂષણ, આર.એસ રેડ્ડી અને એમ.આર શાહની બેંચમાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિને જીવનું જોખમ હોવાના કડક પુરાવા ન હોય અને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવી તે પક્ષપાતી વલણ દર્શાવે છે. રાજ્ય સરકાર તરફથી પોતાનો પક્ષ રજૂ કરવા માટે કોર્ટમાં કોઈ ઉપસ્થિત નહોતું. જ્યારે અંબાણી ભાઈઓ તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું, બંને ઉદ્યોગપતિ ભાઈઓ અને તેમના પરિવાર પર ખતરો છે. તેમણે કહ્યું, અમે સરકાર તરફથી મળતી સુરક્ષાના બદલામાં પેમેન્ટ કરી રહ્યા છીએ.’ જેના પર અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે, આ જીવના જોખમનો પોતાનો દ્રષ્ટિકોણ છે. રાજ્ય માટે કોઈને સિક્યોરિટી કવર આપવા જીવને જોખમ અને સિક્યોરિટી કવર વચ્ચે વાજબી સંબંધ હોવો જોઈએ.જીવના…
(આગળના પાનાનું ચાલુ)
જેના પર કોર્ટે સવાલ કર્યો કે, જો કોઈ નાગરિકને જીવનું જોખમ હોય અને તે પોતાની સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર હોય, તો શું સરકાર તરફથી સુરક્ષા પ્રદાન કરવી જોઈએ? સરકાર દ્વારા નાગરિકના જીવનના જોખમના દ્રષ્ટિકોણનું છેલ્લીવાર રિવ્યૂ ક્યારે કરાયું હતું? બેન્ચ દ્વારા અંબાણી બંધુઓની ઝેડ પ્લસ સુરક્ષા કેન્સલ કરવાની અરજી નકારી દેવાઈ. આ સાથે કહેવાયું કે, રાજ્યએ સમય સમય પર અંબાણી ભાઈઓ પર જોખમનું રિવ્યૂ કરવું જોઈએ અને તેમને સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં જરૂરી પગલા ભરવા જોઈએ. એડવોકેટ રોહતગીએ કહ્યું, અંબાણી આ માટે પૈસા ચૂકવવા તૈયાર છે. જવાબમાં બેન્ચે કહ્યું, અમને કોઈ શંકા નથી કે તમે તેના માટે ચૂકવી શકો છો..

 

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૧૧૨ કેસ : ૬નાં મૃત્યુ થયાં

૨૪ કલાકમાં ૧૨૬૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૧૧૨ કેસ : ૬નાં મૃત્યુ થયાં
અત્યાર સુધીમાં કુલ ૫૬૩૮૩૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૪૭૫૭૨ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૩
ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૧૨ નવા કેસ અને ૬ મોત નોંધાયા છે. જેથી કોરોનાનો કુલ આંકડો ૧૬૫૨૩૩ થયો છે.૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૨,૯૪૭ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૫૬,૩૮,૩૯૨ થયો છે. રાજ્યમાં ૧૧૧૨ નવા દર્દીઓ સામે ૧૨૬૪ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૪૭,૫૭૨ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૮૧૪.૫૭ ટેસ્ટ થાય છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૩૩,૮૯૨ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.જે પૈકી ૫,૩૩,૬૩૯ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૨૫૩ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૩,૯૮૫ એક્ટિવ કેસ છે.જેમાંથી ૬૯ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૩,૯૧૬ની સ્થિતિ સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં આજરોજ કોવિડ-૧૯ના કારણે વધુ ૬ વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ નોંધાયેલા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨, બનાસકાંઠામાં ૧, સુરત કોર્પોરેશનમાં ૨, ગાંધીનગરમાં ૧ એમ કુલ ૬ મોત નીપજ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૬૭૬ પર પહોંચ્યો છે.ભારતમાં બે મહિના પછી એક્ટિવ કેસ ૭ લાખથી ઓછા થયા છે.જ્યારે ૨૨ ઓગસ્ટના રોજ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૭ લાખને પાર થઈ હતી. અત્યાર સુધીમાં કોરોનાને ૬૯,૪૮,૪૯૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે તો ૧,૧૭,૩૦૬ લોકો મોતને ભેટી ચૂક્યા છે.

 

સુરત ખાતે કાકાના મિત્રએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

તરુણીએ બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો
કાકાના મિત્રએ એકલતાનો લાભ ઉઠાવીને વારંવાર દુષ્કર્મ આચરતા ૧૭ વર્ષની તરુણીની તબિયત બગડી ગઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૨૧
સુરતમાં ફરી એક વખત શરમજનક ઘટના બની છે. જેમાં એક કુંવારી તરુણીએ જ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તેણી પર બળાત્કાર થયાનો ખુલસો થયો છે. સુરતના ઉધના ખાતે પિતા સાથે રહેતી ૧૭ વર્ષીય તરૂણીની તબિયત અચાનક બગડી હતી. જે બાદમાં સગીરાને હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે તરુણીએ એક બાળકને જન્મ આપતા તરુણી સાથે તેના કાકાના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદમાં પરિવારે આ યુવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ફરી એકવાર માનવતાને શરમાવવું પડે તેવી ઘટના સામે આવી છે. પીડિત તરુણી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને હાલમાં સુરત ખાતે આવેલા ઉધનાના હરિનગર ખાતે પિતા સાથે રહેતી છે. ૧૭ વર્ષીય તરૂનીના પિતા રીક્ષા ચલાવી પરિવારનું આર્થિક ભરણ પોષણ કરે છે. તરુણીના કાકાનો એક મિત્રો તેમના ઘરની નજીક રહેતો હતો. તે અવારનવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તરૂણીને ઘરે એકલી જોઈને કાકાના મિત્રની દાનત બગડી હતી અને તેમી પર દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર દુષ્કર્મ ગુજારવા છતાં તરુણીએ આ અંગે ડરના માર્યા પરિવારને જાણ કરી ન હતી. જોકે, બે દિવસ પહેલા તરુણીની તબિયત બગડતા તેણીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરે તરુણી પ્રેગનેન્ટ હોવાનું જણાવ્યું હતું. જેના એક દિવસ બાદ તરુણીએ હૉસ્પિટલ ખાતે એક બાળકને જન્મ આપ્યો હતો. આ બાબતે તરુણીએ પરિવારને જણાવ્યું હતું કે તેના કાકાના મિત્રએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વાત સાંભળીને તરુણીના પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે આ મામલે કાકાના મિત્રો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્ત્રી અત્યાચારના બનાવો છેલ્લા થોડા દિવસોથી અટકવાનું નામ નથી લઈ રહ્યા. સૌરાષ્ટ્રમાં એક પછી સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા હતા. તો સાબરકાંઠામાં એક તરુણીનું ગળું કાપીને તેના નજીકના જ સંબંધીએે હત્યા કરી નાખી હતી.

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ

સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમે એમ પણ જણાવ્યું હતું કે મારા જેવા કેટલાય યુવા કાર્યકર્તાઓ કેશુભાઈના હાથ નીચે તૈયાર થયા છે. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલનો આજે ૯૨ વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ કેશુભાઈની વિદાયથી ખૂબ જ દુઃખી છે. કેશુભાઈને આલા દરજ્જાના નેતા ગણાવતા મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ સમાજના દરેક માનવીની સંભાળ લેતા હતા. કેશુભાઈનું જીવન ગુજરાતના વિકાસને સમર્પિત હતું તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે દરેક ગુજરાતીને સશક્ત બનાવવાની દિશામાં તેમણે સિંહફાળો આપ્યો હતો. કેશુભાઈના ભાજપમાં પ્રદાન અંગે પીએમે કહ્યું હતું કે તેઓ જનસંઘ અને ભાજપને મજબૂત બનાવવા ગુજરાતના ગામડેગામડાંમાં ફર્યા હતા. કેશુભાઈએ ઈમરજન્સીનો પૂરી ક્ષમતાથી પ્રતિકાર કર્યો હતો. ખેડૂતોનું કલ્યાણ હંમેશા તેમના હ્રદયમાં રહેતું. એક ધારાસભ્ય તરીકે તેમજ સીએમ તરીકે તેમણે હંમેશા ખેડૂતો માટે હિતકારી પગલાં સરકાર લેતી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. કેશુભાઈને પોતાના ગુરુ ગણાવતા પીએમે લખ્યું હતું કે તેમણે મારા જેવા અનેક યુવા કાર્યકર્તાઓને તૈયાર કર્યા છે. દરેક વ્યક્તિને તેમનો સાલસ સ્વભાવ પસંદ પડતો. તેના અવસાનથી ક્યારેય પૂરી ના શકાય તેવી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, મોદી ૨૦૦૧માં ગુજરાતના સીએમ બન્યા ત્યારથી લઈને તેઓ પીએમ બન્યા ત્યાં સુધી ચૂંટણીમાં વિજય મળ્યા બાદ તેઓ કેશુબાપાના આશિર્વાદ લેવા માટે ભૂલ્યા વિના જતા હતા. પીએમ બન્યા બાદ તેઓ ગાંધીનગર આવ્યા હોય ત્યારે લગભગ કેશુભાઈને મળવાનું નહોતા ચૂકતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા ત્યારે મહાત્મા મંદિરમાં તેમના સમ્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશુબાપા પણ હાજર હતા. તે વખતે મોદી કેશુબાપાનો હાથ પકડી તેમને સ્ટેજ પર લાવ્યા હતા, અને ખુરશી પર બેસાડ્યા હતા. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ટ્વીટ પર કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે કેશુભાઈ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. કેશુબાપાના નિધન પર લાલકૃષ્ણ અડવાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની પ્રગતિમાં તેમનું યોગદાન વિશેષ હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કેશુભાઈ અંગે કહ્યું કે
તેમનું જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, તેમનું રાજ્યના વિકાસમાંનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની પ્રગતિમાં કેશુબાપાનું યોગદાન ખાસ હોવાનું કહ્યું હતું. કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, કેશુભાઈ ભાજપના સન્નિષ્ઠ નેતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કેશુબાઈને અંજલિ આપી હતી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સાથીદાર એવા શંકરસિંહ વાઘેલાએ પણ ટિ્વટ કેશુબાપા…
(આગળના પાનાનું ચાલુ)
કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ટિ્વટમાં લખ્યું કે, પરમ મિત્ર અને જનસંઘના સમયથી સાથી રહેલા આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. પરમાત્મા સદગત આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે તેવી પ્રાર્થના. ગણપત વસાવાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી છે, એમના દિવ્ય આત્માને પરમકૃપાળુ શાંતિ આપે એજ પ્રાર્થના. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ અનેક કાર્યકર્તાઓ માટે અને સમગ્ર પાર્ટી માટે એક વડીલ પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા હતા. કેશુભાઈ ધરાતલ સાથે જોડાયેલા નેતા તરીકે સૌ માટે પ્રેરણારૂપ રહેશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, ખેડૂત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
—————————————————————————————————————–

 

કોરોનાની વચ્ચે બિહારમાં ૭૧ બેઠક પર ૫૩.૪૬ ટકા મતદાન

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન

રાજકીય રીતે જાગૃત મનાતા રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ ભાજપ અને નીતિશને મુશ્કેલીના એંધાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણા, તા. ૨૮
કોરોના મહામારી દરમિયાન બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. જો કે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને એ શંકા હતી કે કોરોના કાળમાં મતદારો ઘરમાંથી નીકળશે કે નહીં.જોકે, કોરોના કાળમાં પણ રાજ્યમાં ૭૧ બેઠકો માટેના પ્રથમ તબક્કામાં સાંજના છ વાગ્યા સુધી ૫૩.૪૬ ટકા મતદાન થયું હતું. ચૂંટણી આયોગ સામે વૉટિંગ પર્સન્ટેજ અને મતદાતાઓની સુરક્ષા એક મોટો પડકાર હતો, પરંતુ ત્રણ તબક્કામાં થનારી બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના વોટિંગ માટે મતદાતાઓનો ઉત્સાહ એ જણાવે છે કે બિહાર રાજકીય રીતે જાગૃત પ્રદેશ છે. કોરોના કાળમાં મતદાતાઓને લઇને બિહારની જનતાનો આ ઉત્સાહ વર્તમાન સરકાર પર ભારે પડશે કે વિપક્ષ પર એ તો ૧૦ નવેમ્બરના જ ખબર પડશે. ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની કોઈ પણ ચૂંટણીમાં ક્યારેય ૧૦૦ ટકા મતદાન નથી થતું. મતદાન દરમિયાન એ માનીને ચાલવામાં આવે છે કે સંબંધિત વિધાનસભા અથવા લોકસભા ક્ષેત્રના ૫ ટકા લોકો શહેર અથવા રાજ્યની બહાર હોવાના કારણે મતદાન નથી કરી શકતા, એટલે ૯૫ ટકા મતદારોના આધારે જ વોટિંગ પર્સેન્ટેજ માનવામાં આવે છે. કોઈ પણ ચૂંટણીમાં ૬૦ ટકાથી ઓછું મતદાન થવા પર ઓછું મતદાન, ૬૦થી ૭૦ ટકા મતદાન સારું વોટિંગ અને ૭૦ ટકાથી વધારે મતદાન કરવામાં આવે તો તેને ભારે મતદાન કહેવામાં આવે છે.
વિધાનસભા ચૂંટણીમાં ૧૯૫૨માં ૩૯.૫૧ ટકા, ૧૯૫૭માં ૪૧.૩૭, ૧૯૬૨માં ૪૪.૪૭, ૧૯૬૭માં ૫૧.૫૧, ૧૯૬૯માં ૫૨.૭૯, ૧૯૭૨માં ૫૨.૭૯, ૧૯૭૭માં ૫૦.૫૧, ૧૯૮૦માં ૫૭.૨૮, ૧૯૮૫માં ૫૬.૨૭, ૧૯૯૦માં ૬૨.૦૪, ૧૯૯૫માં ૬૧.૭૯, ૨૦૦૦માં કોરોનાની…
(આગળના પાનાનું ચાલુ)
૬૧.૫૭, ૨૦૦૫ ફેબ્રુઆરીમાં ૪૬.૫૦, ૨૦૦૫ ઑક્ટોબરમાં ૪૫.૮૫, ૨૦૧૦ ઑક્ટોબરમાં ૫૨.૭૩ અને ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં ૫૬.૯૧ ટકા વોટિંગ થયું હતુ. મતદાન દરમિયાન એ માનીને ચાલવામાં આવે છે કે વોટિંગ દરમિયાન મતદાતા વધારે સંખ્યામાં મતાધિકારનો પ્રયોગ કરે છે તો તેનો મતલબ કે તેઓ ત્યાં બદલાવ ઇચ્છે છે. એટલે કે વધારે મતદાન થવા પર એ માનવામાં આવે છે કે તે રાજ્ય અથવા દેશમાં વર્તમાન સરકારથી જનતા નાખુશ છે અને ત્યાં બદલાવ ઇચ્છે છે.
આને જો બીજી ભાષામાં સમજીએ તો સરકારના એન્ટીઇનકમ્બેંસી ફેક્ટરના કારણે મતદાનની ટકાવારી વધે છે, પરંતુ દર વખતે એન્ટી ઇનકમ્બેંસીના કારણે જ મતદાનની ટકાવારી વધે તેવું નથી. અનેકવાર વિરોધ પક્ષના વધારે પ્રહાર બાદ પણ કોઈ પ્રદેશ અથવા દેશમાં પ્રો-ઇનકમ્બેંસી ફેક્ટર પણ કામ કરે છે. બિહાર વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામોને જોઇએ તો ૧૯૯૦માં લાલૂ પ્રસાદ યાદવ બિહારની સત્તા પર બિરાજ્યા હતા અને ૧૯૯૦માં ૬૨.૪ ટકા મતદાન થયું હતુ. જે ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીના પરિણામથી ૮ ટકા વધારે હતુ. ત્યારબાદ ૧૯૯૫માં ૬૧.૭૯ ટકા અને ૨૦૦૦માં ૬૨.૫૭ ટકા મતદાન રેકૉર્ડ થયું હતુ. બિહારમાં ૨૦૦૫માં લાલૂ યાદવની સત્તા જતી રહી હતી અને ૨૦૦૫ના ઑક્ટોબરમાં થયેલી ચૂંટણી દરમિયાન ફક્ત ૪૫.૮૫ ટકા જ મતદાન થયું હતુ. ત્યારબાદ બિહારમાં નીતિશ કુમાર સત્તામાં આવ્યા હતા.
૨૦૧૦માં મતદારોએ બમ્પર વૉટિંગ કર્યું હતુ જેનાથી મતદાન ટકાવારી વધીને ૫૨.૭૩ ટકા થઈ ગયું અને ૨૦૬ સીટની સાથે નીતિશ કુમાર ફરીવાર બિહારની ગાદી પર આવ્યા હતા. એટલે કે વોટિંગ વધવાથી એનડીએની સીટોમાં વધારો થયો હતો. એટલે કે વોટિંગ વધવાથી દર વખતે સરકારની વિરુદ્ધ જ હોય તેવું ના કહી શકાય છે. કહેવામાં આવે છે કે બિહારમાં રાજનીતિને લઇને મતદારોનો જે અતિ ઉત્સાહ જોવા મળે છે તે ઇવીએમ સુધી નથી પહોંચી શકતો, કેમકે અતિ ઉત્સાહી લોકો વોટ આપવા જ નથી જતા. બિહારમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનની સરેરાશ ૫૧ ટકાથી થોડીક વધારે રહી છે, જેનો મતલબ છે કે લગભગ અડધા મતદારોએ પોતાના લોકશાહી મતાધિકારની તાકાતનો પ્રયોગ જ નથી કર્યો.
બિહાર વિશે કહેવામાં આવે છે કે અહીંની પ્રજા રાજનીતિને લઇને ઘણી જાગૃત છે અને લોકો રાજનીતિમાં ઘણો રસ લે છે. જો આ સત્ય છે કે તો શું કારણ છે કે બિહારમાં મતદાનની ટકાવારી હંમેશા ખરાબ રહે છે. પ્રશ્ન એ પણ ઊઠે છે કે અહીંની જનતા વોટ આપવા કેમ નથી જતી? ૧૯૯૫માં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાનના ચૂંટણી સુધાર બાદ બિહારમાં નીચેના સ્તરે મનાતા મતદારોએ જોરદાર વોટિંગ કર્યું હતું. ત્યારબાદ જ ૧૯૯૫ની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવની સરકાર બની હતી.

 

બારાબંકીમાં દલિત બાળકી પર ખેતરમાં દુષ્કર્મ કરી હત્યા

ઉત્તર પ્રદેશમાં હાથરસ કાંડ જેવી ઘટના ફરી બની
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પપષ્ટી બાદ પોલીસે વધુ કલમો ઉમેરી, પરિવારની સીબીઆઈ તપાસની માગણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા. ૧૬
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત મહિલા પર કથિત દુષ્કર્મ બાદ બારાબંકીમાં આ પ્રકારની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. અહીંના સતરિખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાંગરની લણણી કરવા ગયેલી ૧૫ વર્ષની દલિત યુવતીની દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. પીડિત પક્ષની ફરિયાદ પર અજાણ્યા સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાથરસ કેસમાં સીબીઆઈની તપાસ ચાલી રહી છે, ત્યારે બારાબંકી કેસના આરોપીની શોધ હજી ચાલુ છે.
બારાબંકીના ગ્રામ પંચાયત સતરિખ ગામના સેઠમૌ ગામમાં રહેતી અનુસૂચિત જાતિ કિશોરીની હત્યાના કેસમાં પોલીસે તેના પિતાની ફરિયાદ પર બુધવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. દુષ્કર્મ બાદ કિશોરીની હત્યા કરવામાં આવી હતી. અહીં ડોકટરો અને વીડિયોગ્રાફીની પેનલમાં પોસ્ટમોર્ટમ કરીને દુષ્કર્મની પુષ્ટિ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે દુષ્કર્મની કલમ વધારી છે અને કસ્ટડીમાં રહેલા કેટલાક શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે. ઘટના બાદ હાલમાં ગામમાં સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઈજી અયોધ્યા ડો. સંજીવ ગુપ્તાએ પણ આ ઘટના સથળની મુલાકાત લીધી હતી અને પરિવારના સભ્યોનું નિવેદન નોંધ્યું હતું. બારાબંકીમાં સગીર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યાના મામલાની પીડિતાના પરિવારજનોએ હાથરસ કેસની જેમ સીબીઆઈ તપાસની માગ કરી છે. મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે પોલીસે અહીં અમારા પર ખૂબ દબાણ કર્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવે તે પૂર્વે પોલીસે તેની પુત્રીનો અંતિમ સંસ્કાર ગામમાં જ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી પુત્રી સગીર અને કુંવારી હતી, અમે તેને દફનાવવા માંગતા હતા, પરંતુ પોલીસે દબાણ કરીને તેની ચિતાને આગ લગાવડાવી દીધી હતી. તેઓએ અમને પૈસા અને મકાનની લાલચ પણ આપી હતી. અમે ખૂબ ગરીબ છીએ, ન તો રહેવાની જગ્યા છે અને ન ખાવાના પૈસા છે. અમે એવા લોકો છીએ જે સખત મહેનત અને મજૂરી કરીએ છીએ. અમારી પાસે મોટા ધિકારીઓ આવવા લાગ્યા તો અમે ડરી ગયા. અમને પૈસા અને મકાનની લાલચ આપવામાં આવી. દુષ્કર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકો હોવા જોઈએ. હવે પોલીસ આરોપીઓને પકડવાના બદલે અમારા ઘરના લોકોની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ સતત અમારા ભાઇના ઘરે પણ આવી રહી છે. અમને ન્યાય મળે બસ અમે એમ જ ઈચ્છીએ છીએ. પોલીસ શરૂઆતમાં આ કેસને દબાવતી હતી, પરંતુ ગુરુવારે મોડી સાંજે આવેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ ગળું દબાવીને હત્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. માતા-પિતાએ જણાવ્યું હતું કે માત્ર મૃતદેહને બાળી નાખવા માટે, પોલીસ અમારી સગીર પુત્રીને પુખ્ત ગણાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ વિસ્તારના એક ગામની રહેવાસી ૧૭ વર્ષીય કિશોરી બુધવારે ડાંગરના ખેતરમાં ડાંગર લણવા ગઈ હતી. મોડી સાંજે તેનો મૃતદેહ ખેતરમાં પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે કિશોરીના હાથ અને પગ બાંધેલા હતા અને કપડા અસ્ત વ્યસ્ત હતા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગુરુવારે કિશોરીના પોસ્ટમોર્ટમમાં કિશોરી સાથેની ક્રૂરતાની પુષ્ટિ થઈ હતી. આ ઘટનામાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવાનું જણાવાયું છે. અહેવાલમાં મોઢું દબાવીને મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમે પુરાવાઓનું સંકલન કર્યું. ઇન્ચાર્જ એસપી આર એસ ગૌતમે જણાવ્યું હતું કે દુષ્કર્મની પુષ્ટિ થયા બાદ કલમોમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલાક શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ઘટનામાં રાજકીય પક્ષો પણ સક્રિય હતા. ઝૈદપુરના સપા ધારાસભ્ય ગૌરવ રાવત અને કોંગ્રેસના નેતા તનુજ પુનિયા સમર્થકો સાથે પોસ્ટમોર્ટમ હાઉસ અને ગામ પહોંચ્યા હતા અને પરિવાર સાથે વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. સપાના ધારાસભ્યએ વહીવટ પર આરોપ લગાવ્યો છે કે પીડિતોને પોસ્ટ મોર્ટમ ગૃહમાં આવતાં રોકાયા હતા. ભીમ આર્મીના અધિકારીઓ પણ પીએમ હાઉસ પહોંચ્યા હતા.