મુંબઇ,જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે સાતમા વેતન પંચની ભલામણોને હવે ટૂંક સમયમાં જ અમલી બનાવવામાં આવનાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની આગામી મહિનાથી પગાર વધારાનો લાભ મળવાની શરૃઆત થઇ જાય તેમ માનવામાં આવે છે. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવા વધારવામાં આવેલા પે સ્કેલ આગામી મહિનાથી આપવામાં આવશે. દરમિયાન કેબિનેટ સેક્રેટરી પીકે સિંહાના નેતૃત્વમાં ગ્રુપ ઓફ સેક્રેટરીની બેઠક ૧૧મી જૂનના દિવસે યોજનાર છે જેમાં સાતમાં વેતન પંચની ભલામણોના મામલામાં ફેરફારને આખરી ઓપ આપવામાં આવશે.
જાન્યુઆરી મહિનામાં સરકારે સાતમાં વેતન પંચની ભલામણોની પ્રક્રિયાને હાથ ધરવા કેબિનેટ સેક્રેટરી પીકે સિંહાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરી હતી. પેનલની રચના કરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત થશે. પગાર વધારાનો લાભ આગામી મહિનાથી મળવાની શરૃઆત થશે. સાતમાં વેતન પંચની ભલામણોથી ૪૭ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને બાવન લાખ પેન્શનરોને ફાયદો થશે. સેક્રેટરીની એમ્પાવર્ડ કમિટિ સ્ક્રીનિંગ કમિટિ તરીકે કામ કરશે.
કમિશનના તમામ સંબંધિત પરિબળોના સંદર્ભમાં ભલામણોની પ્રક્રિયાને આગળ વધારશે. પ્રાપ્ત માહિતી મુજબ સાતમાં વેતન પંચની ભલામણોને અમલી બનાવવાને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી હતી. સરકાર કહી ચુકી છે કે, સાતમાં વેતન પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ નવા પગાર સ્કેલના અમલીકરણથી તિજોરી ઉપર જંગી બોજ પડનાર છે. વર્ષ ૨૦૧૬-૧૭માં તિજોરી ઉપર ૧.૦૨ લાખ કરોડનો વધારાનો બોજ પડશે અથવા તો જીડીપીના ૦.૭ ટકા સુધીનો વધારાનો બોજ પડશે.