જમ્મુ,કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું છે કે, કોંગ્રેસને ચિંતા કરવાની કોઇ જરૃર નથી. કારણ કે, આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રહેનાર છે. પાસવાને મિડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શહેનશાહ તરીકે ગણાવવાના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના આક્ષેપનો જવાબ આપતા આ મુજબની વાત કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી. કારણ કે દેશના લોકોએ જનમત આપેલો છે. ગઇકાલે જ સોનિયા ગાંધીએ કાર્યક્રમ દરમિયાન મોદીને શહેનશાહ તરીકે ગણાવ્યા હતા. એનડીએ સરકારની બે વર્ષની પૂર્ણાહૂતિ બાદ ચાલી રહેલી ઉજવણીના સંદર્ભમાં સોનિયા ગાંધીએ આ મુજબની વાત કરી હતી. સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ દ્વારા આ પ્રકારની પ્રતિક્રિયાથી ભાજપના નેતાઓ તથા એનડીએના અન્ય નેતાઓ લાલઘૂમ થયેલા છે.
પાસવાને આજે એવી પ્રતિક્રિયા આપીને કોંગ્રેસની છાવણીમાં વધુ ચિંતા ફેલાવી દીધી હતી કે, નરેન્દ્ર મોદી આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહેનાર છે. મોદીને દેશના લોકો હજુ પણ પસંદ કરી રહ્યા છે. તેમની વધતી લોકપ્રિયતાના સર્વે વારંવાર આવી રહ્યા છે જેમાં મોદીને સમર્થન આપનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પાસવાને કહ્યું છે કે, એનડીએ સરકારની બે વર્ષની કામગીરી લોકો જોઇ ચુક્યા છે. આવી સ્થિતિમાં લોકો આ સરકારને વધુ તક આપવા માટે પણ તૈયાર છે. રાજ્યોના પરિણામો પણ આ મુજબની સાબિતી આપે છે. અત્રે નોંધનીય છે કે, હ ાલમાં યોજાયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં એકબાજુ આસામમાં ભાજપે એકલા હાથે બહુમતિ મેળવી છે. જ્યારે બંગાળ, કેરળમાં પણ શાનદાર એન્ટ્રી કરી છે.