પ્રધાનમંત્રીએ તેમની મિલકતોની વિગતો રજૂ કરી
ગાંધીનગરમાં મોદીના નામે એક ઘર-સોનાની ચાર વીંટી છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે, કોઈ ઉધારી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
મોટાભાગના ભારતીયોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના રુપિયા બેંકમાં રાખે છે. તેમણે પોતાની આવકનો મોટો ભાગ ટર્મ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કર્યો છે. ૧૨ ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ પોતાની મિલકતોની વિગતો રજૂ કરી છે. ૩૦ જૂન સુધીમાં વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિ ૧,૭૫,૬૩,૬૧૮ રૂપિયા હતી. ૩૦ જૂનના રોજ તેમની પાસે ૩૧,૪૫૦ રૂપિયાની રોકડ રકમ હતી. ગયા વર્ષની સરખામણીએ તેમની ચલ સંપત્તિમાં ૨૬.૨૬ ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ તેમના પગારમાંથી બચત અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી વ્યાજના પુનઃ રોકાણનો સમાવેશ છે.
૩૦ જૂનના રોજ મોદીના બચત ખાતામાં ૩.૩૮ લાખ રૂપિયા હતા. તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ની ગાંધીનગર શાખામાં ફિક્સ્ડ ડિપોઝિટ કરી છે. ગયા વર્ષે તેની કિંમત ૧, ૨૭, ૮૧,૫૭૪ રૂપિયા હતી. જે વધીને ૩૦ જૂન, ૨૦૨૦ સુધીમાં ૧, ૬૦, ૨૮,૦૩૯ થઈ ગઈ છે. મોદીએ ટેક્સ બચાવવા માટે નાણાં મૂક્યાં છે. તેમનું રોકાણ લાઇફ ઇન્શ્યોરન્સ ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (એનએસસી) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં છે. તેમણે એનએસસીમાં વધુ પૈસા રોક્યા છે અને તેમનું વીમા પ્રીમિયમ પણ ઘટી ગયું છે. મોદી પાસે ૮,૪૩,૧૨૪ રુપિયાના એનએસસી છે અને વીમા પ્રીમિયમ ૧,૫૦,૯૫૭ રૂપિયા સુધી ભરે છે. જાન્યુઆરી ૨૦૧૨માં તેમણે ૨૦,૦૦૦ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે હજુ સુધી મેચ્યોર નથી થયા.
વડાપ્રધાનની સ્થાવર મિલકતોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. છેલ્લી વિગતો મુજબ ગાંધીનગરમાં તેમના નામે એક ઘર છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે. આ ઘરનો માલિકી હક્ક મોદી અને તેમના પરિવારનો છે. મોદી પર કોઈ ઉધારી નથી અને તેઓ પાસે કોઈ કાર પણ નથી. તેમની પાસે સોનાની ચાર વીંટી છે.
ગત વર્ષની લોકસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં મોદીએ કુલ ૧.૪૧ કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી હતી. ત્યારે બેંકમાં તેમના ૧.૨૭ કરોડ રૂપિયા જમા હતા. કેન્દ્રીય મંત્રીઓએ પોતાની મિલકતોની વિગતો આપવાની પદ્ધતિ ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયી સરકારમાં શરૂ કરવામાં આવી હતી. સાંસદોએ પણ દર વર્ષે તેમના પરિવારની આવક જાહેર કરવી પડે છે. લોકપાલ અને લોકાયુક્ત એક્ટ વર્ષ ૨૦૧૩ બાદથી તમામ સરકારી કર્મચારીઓ માટે તેમની વાર્ષિક આવકની માહિતી સાર્વજનિક કરવી ફરજિયાત છે.
વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત મોટાભાગના વરિષ્ઠ મંત્રીઓએ તેમની સંપત્તિની વિગતો આપી છે. રામદાસ અઠાવલે, બાબુલ સુપ્રિયો સહિત કેટલાક જુનિયર મંત્રીઓએ હજુ સુધી આ માહિતી સાર્વજનિક કરી નથી.