ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ ૯૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ગત મહિને કોરોના સંક્રમણ થયું હતું. છેલ્લા ઘણા સમયથી ઉંમરને લગતી તકલીફોનો પણ તેઓ સામનો કરી રહ્યા હતા. ૯૨ વર્ષીય કેશુભાઈ પટેલની કોરોનાની સારવાર ચાલી રહી હતી અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે ઓક્સિજન લેવામાં તેમને તકલીફ પડતી હોવાની ફરિયાદને પગલે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક એરેસ્ટને પગલે થયું હતું. કેશુભાઈ પટેલના નિધનને પગલે ભાજપે પેટા ચૂંટણી માટેના તમામ પ્રચારકાર્યો અને જાહેરસભા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ ગાંધીનગર આવવા રવાના થયા છે. સીએમ રૂપાણી દ્વારા ગાંધીનગરમાં કેબિનેટમાં કેશુભાઈ પટેલના નિધન બદલ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે આજે સાંજે ગાંધીનગર ખાતે કરાશે.

 

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણે રસી પહોંચાડવા માટેની યોજના તૈયાર, રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન પર કામ ચાલે છે : નિશુલ્ક કોરોના રસીની વાતને વેગ મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
દેશમાં કોરોના કેસ ૮૦ લાખના આંકડે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના રસી બનાવવામાં આવ્યા પછી દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોરોના રસીના રસીકરણ અંગે તેમની સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે દેશના છેવાડાના વ્યક્તિ સુધી આ રસી પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોરોન રસીના સંગ્રહ માટે રસીકરણ માટે કોલ્ડ ચેન પર કામ ચાલી રહ્યું છે.
એક મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ આખા દેશને ખાતરી આપવા માંગે છે કે જ્યારે પણ કોરોના રસી મળશે ત્યારે દરેક દેશવાસીને રસી આપવામાં આવશે. કોઈને પણ બાકાત રાખવામાં નહીં. વડાપ્રધાન મોદી દ્વારા દરેક દેશવાસીના રસીકરણની ખાતરીને લઈને ફરી એકવાર નિઃશુલ્ક કોરોના રસીકરણના સમાચારોને વેગ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર આરોગ્ય યોજના હેઠળ આ રસીકરણ અભિયાન ચલાવી શકે છે. ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ’હું દેશને ખાતરી આપવા માંગું છું કે જ્યારે પણ કોરોના રસી બનાવવામાં આવશે ત્યારે દરેકને રસી આપવામાં આવશે. કોઈને છોડશે નહીં. હા, આ રસીકરણ અભિયાનની શરૂઆતમાં કોરોનાનું જેને સૌથી વધુ જોખમ છે તેવા લોકોને શામેલ કરવામાં આવશે. તેમાં કોરોના સામે યુદ્ધ લડતા ફ્રન્ટલાઈન કર્મચારીઓનો સમાવેશ થશે. વડાપ્રધાનએ કહ્યું કે, ખાસ કરીને કોરોના રસી માટે બનાવવામાં આવેલ રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ રસીકરણ કઈ રીતે કરવું તેના પર કામ કરી રહ્યું છે. વડાપ્રધાનએ કહ્યું, આપણે એ જાણી લેવું જોઈએ કે રસી બનાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. પરીક્ષણો ચાલી રહ્યા છે. નિષ્ણાતો હજુ સુધી એ કહી શકવાની સ્થિતિમાં નથી કે આ રસી કેવા પ્રકારની હશે, દરેક વ્યક્તિને કેટલા ડોઝ આપવાના રહેશે કે પછી તે એકવાર આપવી પડશે કે એકથી વધુ વાર લેવી પડશે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ જ અમે દેશમાં રસીકરણ તરફ આગળ વધીશું.
કોરોના રસી માટે સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૮ હજારથી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ કોરોના રસીનો સંગ્રહ કરશે અને દેશના જુદા જુદા ભાગોમાં સપ્લાય ચેઇનનો ભાગ હશે. છેવાડાના દરેક નાગરિકને કોરોના રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય, જિલ્લા અને સ્થાનિક કક્ષાએ આ અભિયાનને સમર્પિત ટીમો રસી અભિયાનનો ભાગ બનશે.

 

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૧૧૨ કેસ : ૬નાં મૃત્યુ થયાં

૨૪ કલાકમાં ૧૨૬૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૧૧૨ કેસ : ૬નાં મૃત્યુ થયાં
અત્યાર સુધીમાં કુલ ૫૬૩૮૩૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૪૭૫૭૨ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૩
ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૧૨ નવા કેસ અને ૬ મોત નોંધાયા છે. જેથી કોરોનાનો કુલ આંકડો ૧૬૫૨૩૩ થયો છે.૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૨,૯૪૭ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૫૬,૩૮,૩૯૨ થયો છે. રાજ્યમાં ૧૧૧૨ નવા દર્દીઓ સામે ૧૨૬૪ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૪૭,૫૭૨ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૮૧૪.૫૭ ટેસ્ટ થાય છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૩૩,૮૯૨ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.જે પૈકી ૫,૩૩,૬૩૯ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૨૫૩ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૩,૯૮૫ એક્ટિવ કેસ છે.જેમાંથી ૬૯ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૩,૯૧૬ની સ્થિતિ સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં આજરોજ કોવિડ-૧૯ના કારણે વધુ ૬ વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ નોંધાયેલા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨, બનાસકાંઠામાં ૧, સુરત કોર્પોરેશનમાં ૨, ગાંધીનગરમાં ૧ એમ કુલ ૬ મોત નીપજ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૬૭૬ પર પહોંચ્યો છે.ભારતમાં બે મહિના પછી એક્ટિવ કેસ ૭ લાખથી ઓછા થયા છે.જ્યારે ૨૨ ઓગસ્ટના રોજ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૭ લાખને પાર થઈ હતી. અત્યાર સુધીમાં કોરોનાને ૬૯,૪૮,૪૯૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે તો ૧,૧૭,૩૦૬ લોકો મોતને ભેટી ચૂક્યા છે.

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ

સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમે એમ પણ જણાવ્યું હતું કે મારા જેવા કેટલાય યુવા કાર્યકર્તાઓ કેશુભાઈના હાથ નીચે તૈયાર થયા છે. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલનો આજે ૯૨ વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ કેશુભાઈની વિદાયથી ખૂબ જ દુઃખી છે. કેશુભાઈને આલા દરજ્જાના નેતા ગણાવતા મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ સમાજના દરેક માનવીની સંભાળ લેતા હતા. કેશુભાઈનું જીવન ગુજરાતના વિકાસને સમર્પિત હતું તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે દરેક ગુજરાતીને સશક્ત બનાવવાની દિશામાં તેમણે સિંહફાળો આપ્યો હતો. કેશુભાઈના ભાજપમાં પ્રદાન અંગે પીએમે કહ્યું હતું કે તેઓ જનસંઘ અને ભાજપને મજબૂત બનાવવા ગુજરાતના ગામડેગામડાંમાં ફર્યા હતા. કેશુભાઈએ ઈમરજન્સીનો પૂરી ક્ષમતાથી પ્રતિકાર કર્યો હતો. ખેડૂતોનું કલ્યાણ હંમેશા તેમના હ્રદયમાં રહેતું. એક ધારાસભ્ય તરીકે તેમજ સીએમ તરીકે તેમણે હંમેશા ખેડૂતો માટે હિતકારી પગલાં સરકાર લેતી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. કેશુભાઈને પોતાના ગુરુ ગણાવતા પીએમે લખ્યું હતું કે તેમણે મારા જેવા અનેક યુવા કાર્યકર્તાઓને તૈયાર કર્યા છે. દરેક વ્યક્તિને તેમનો સાલસ સ્વભાવ પસંદ પડતો. તેના અવસાનથી ક્યારેય પૂરી ના શકાય તેવી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, મોદી ૨૦૦૧માં ગુજરાતના સીએમ બન્યા ત્યારથી લઈને તેઓ પીએમ બન્યા ત્યાં સુધી ચૂંટણીમાં વિજય મળ્યા બાદ તેઓ કેશુબાપાના આશિર્વાદ લેવા માટે ભૂલ્યા વિના જતા હતા. પીએમ બન્યા બાદ તેઓ ગાંધીનગર આવ્યા હોય ત્યારે લગભગ કેશુભાઈને મળવાનું નહોતા ચૂકતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા ત્યારે મહાત્મા મંદિરમાં તેમના સમ્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશુબાપા પણ હાજર હતા. તે વખતે મોદી કેશુબાપાનો હાથ પકડી તેમને સ્ટેજ પર લાવ્યા હતા, અને ખુરશી પર બેસાડ્યા હતા. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ટ્વીટ પર કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે કેશુભાઈ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. કેશુબાપાના નિધન પર લાલકૃષ્ણ અડવાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની પ્રગતિમાં તેમનું યોગદાન વિશેષ હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કેશુભાઈ અંગે કહ્યું કે
તેમનું જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, તેમનું રાજ્યના વિકાસમાંનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની પ્રગતિમાં કેશુબાપાનું યોગદાન ખાસ હોવાનું કહ્યું હતું. કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, કેશુભાઈ ભાજપના સન્નિષ્ઠ નેતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કેશુબાઈને અંજલિ આપી હતી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સાથીદાર એવા શંકરસિંહ વાઘેલાએ પણ ટિ્વટ કેશુબાપા…
(આગળના પાનાનું ચાલુ)
કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ટિ્વટમાં લખ્યું કે, પરમ મિત્ર અને જનસંઘના સમયથી સાથી રહેલા આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. પરમાત્મા સદગત આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે તેવી પ્રાર્થના. ગણપત વસાવાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી છે, એમના દિવ્ય આત્માને પરમકૃપાળુ શાંતિ આપે એજ પ્રાર્થના. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ અનેક કાર્યકર્તાઓ માટે અને સમગ્ર પાર્ટી માટે એક વડીલ પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા હતા. કેશુભાઈ ધરાતલ સાથે જોડાયેલા નેતા તરીકે સૌ માટે પ્રેરણારૂપ રહેશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, ખેડૂત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
—————————————————————————————————————–

 

બારાબંકીમાં દલિત બાળકી પર ખેતરમાં દુષ્કર્મ કરી હત્યા

ઉત્તર પ્રદેશમાં હાથરસ કાંડ જેવી ઘટના ફરી બની
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પપષ્ટી બાદ પોલીસે વધુ કલમો ઉમેરી, પરિવારની સીબીઆઈ તપાસની માગણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા. ૧૬
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત મહિલા પર કથિત દુષ્કર્મ બાદ બારાબંકીમાં આ પ્રકારની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. અહીંના સતરિખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાંગરની લણણી કરવા ગયેલી ૧૫ વર્ષની દલિત યુવતીની દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. પીડિત પક્ષની ફરિયાદ પર અજાણ્યા સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાથરસ કેસમાં સીબીઆઈની તપાસ ચાલી રહી છે, ત્યારે બારાબંકી કેસના આરોપીની શોધ હજી ચાલુ છે.
બારાબંકીના ગ્રામ પંચાયત સતરિખ ગામના સેઠમૌ ગામમાં રહેતી અનુસૂચિત જાતિ કિશોરીની હત્યાના કેસમાં પોલીસે તેના પિતાની ફરિયાદ પર બુધવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. દુષ્કર્મ બાદ કિશોરીની હત્યા કરવામાં આવી હતી. અહીં ડોકટરો અને વીડિયોગ્રાફીની પેનલમાં પોસ્ટમોર્ટમ કરીને દુષ્કર્મની પુષ્ટિ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે દુષ્કર્મની કલમ વધારી છે અને કસ્ટડીમાં રહેલા કેટલાક શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે. ઘટના બાદ હાલમાં ગામમાં સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઈજી અયોધ્યા ડો. સંજીવ ગુપ્તાએ પણ આ ઘટના સથળની મુલાકાત લીધી હતી અને પરિવારના સભ્યોનું નિવેદન નોંધ્યું હતું. બારાબંકીમાં સગીર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યાના મામલાની પીડિતાના પરિવારજનોએ હાથરસ કેસની જેમ સીબીઆઈ તપાસની માગ કરી છે. મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે પોલીસે અહીં અમારા પર ખૂબ દબાણ કર્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવે તે પૂર્વે પોલીસે તેની પુત્રીનો અંતિમ સંસ્કાર ગામમાં જ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી પુત્રી સગીર અને કુંવારી હતી, અમે તેને દફનાવવા માંગતા હતા, પરંતુ પોલીસે દબાણ કરીને તેની ચિતાને આગ લગાવડાવી દીધી હતી. તેઓએ અમને પૈસા અને મકાનની લાલચ પણ આપી હતી. અમે ખૂબ ગરીબ છીએ, ન તો રહેવાની જગ્યા છે અને ન ખાવાના પૈસા છે. અમે એવા લોકો છીએ જે સખત મહેનત અને મજૂરી કરીએ છીએ. અમારી પાસે મોટા ધિકારીઓ આવવા લાગ્યા તો અમે ડરી ગયા. અમને પૈસા અને મકાનની લાલચ આપવામાં આવી. દુષ્કર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ લોકો હોવા જોઈએ. હવે પોલીસ આરોપીઓને પકડવાના બદલે અમારા ઘરના લોકોની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ સતત અમારા ભાઇના ઘરે પણ આવી રહી છે. અમને ન્યાય મળે બસ અમે એમ જ ઈચ્છીએ છીએ. પોલીસ શરૂઆતમાં આ કેસને દબાવતી હતી, પરંતુ ગુરુવારે મોડી સાંજે આવેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ ગળું દબાવીને હત્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. માતા-પિતાએ જણાવ્યું હતું કે માત્ર મૃતદેહને બાળી નાખવા માટે, પોલીસ અમારી સગીર પુત્રીને પુખ્ત ગણાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ વિસ્તારના એક ગામની રહેવાસી ૧૭ વર્ષીય કિશોરી બુધવારે ડાંગરના ખેતરમાં ડાંગર લણવા ગઈ હતી. મોડી સાંજે તેનો મૃતદેહ ખેતરમાં પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે કિશોરીના હાથ અને પગ બાંધેલા હતા અને કપડા અસ્ત વ્યસ્ત હતા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગુરુવારે કિશોરીના પોસ્ટમોર્ટમમાં કિશોરી સાથેની ક્રૂરતાની પુષ્ટિ થઈ હતી. આ ઘટનામાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવાનું જણાવાયું છે. અહેવાલમાં મોઢું દબાવીને મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમે પુરાવાઓનું સંકલન કર્યું. ઇન્ચાર્જ એસપી આર એસ ગૌતમે જણાવ્યું હતું કે દુષ્કર્મની પુષ્ટિ થયા બાદ કલમોમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલાક શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ઘટનામાં રાજકીય પક્ષો પણ સક્રિય હતા. ઝૈદપુરના સપા ધારાસભ્ય ગૌરવ રાવત અને કોંગ્રેસના નેતા તનુજ પુનિયા સમર્થકો સાથે પોસ્ટમોર્ટમ હાઉસ અને ગામ પહોંચ્યા હતા અને પરિવાર સાથે વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. સપાના ધારાસભ્યએ વહીવટ પર આરોપ લગાવ્યો છે કે પીડિતોને પોસ્ટ મોર્ટમ ગૃહમાં આવતાં રોકાયા હતા. ભીમ આર્મીના અધિકારીઓ પણ પીએમ હાઉસ પહોંચ્યા હતા.

 

બડગામમાં અથળામણમાં ૧ ત્રાસવાદી ઠાર, એક ઝડપાયો

કાશ્મીરમાં આતંકવાદ સામેનું ઓપરેશન તેજ
પકડાયેલા આતંકવાદી પાસેથી એકે ૪૭ રાઈફલ પણ જપ્ત કરાઈ : કાશ્મીર ખીણમાં દળોને મોટી સફળતા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીનગર, તા. ૧૬
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે અને એકે૪૭ રાઇફલ સાથે જીવિત આતંકવાદીની ધરપકડ કરી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમના નાપાક ઇરાદા છોડી રહ્યા નથી. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, એન્કાઉન્ટરની શરૂઆત બડગામના ચદુરા વિસ્તારમાં થઈ હતી. બડગામ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો હતો, પોલીસ અને સુરક્ષાદળો કાર્યવાહી કરી રહી છે. એસઓજી ચૌડોરાની સંયુક્ત ટીમ, ૫૩ આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન રોકાઈ ગયું છે. કાશ્મીરના બડગામના ચડૂરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મોટી સફળતા હાંસલ કરતી વખતે સુરક્ષા દળોએ ૪૭ રાઇફલ સાથે જીવતા આતંકવાદીની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં શુક્રવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ફાયરિંગ અટકી ગયું છે. તેમણે કહ્યું કે આતંકીઓએ ચડૂરા વિસ્તારમાં એક બગીચામાંથી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ વિસ્તારને ઘેરીને આતંકવાદીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી, જે આતંકવાદીની ધરપકડ બાદ પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના બડગામના ચડૂરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકવાદીની ધરપકડ થયા બાદ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અગાઉ બુધવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની ખાસ માહિતી મળી હતી, જેના આધારે તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ આતંકીઓના ઠેકાણાને ઘેરી લેતાં, ત્યાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી, એન્કાઉન્ટર શરૂ થયું. બીજી તરફ,સશસ્ત્ર સીમા દળ (એસએસબી)નો એક જવાન કે જે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં પોતાના કેમ્પમાંથી એકે-૪૭ મેગેઝિન સાથે ભાગી ગયો હતો જેની શુક્રવારે રાજૌરી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. શ્રીનગરના બડગામ જિલ્લાના નગમ ચડૂરા વિસ્તારમાં બે દિવસ પહેલા એક એન્કાઉન્ટરમાં બે સરકારી એસોલ્ટ રાઇફલો લઈને ભાગી ગયેલા જેહાદીઓના જૂથમાં જોડાયેલો પોલીસ એસપીઓ અલ્તાફ હસન, માર્યો ગયો હતો. હાલમાં પોલીસની સત્તાવાર પુષ્ટિની પ્રતીક્ષા છે. ત્રણ દિવસ પહેલા બડગામથી તેની ઓફિશિયલ ઈન્સાસ રાઇફલ અને મેગેઝિન સાથે ફરાર થઈ ગયેલા એસએસબી જવાનને રાજૌરીથી પકડ્યો છે. એસએસબી જવાનની ઓળખ અલ્તાફ તરીકે થઈ છે અને તે રાજૌરીનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા એસએસબી જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આ જવાન પાસેથી હથિયાર લઇને ભાગી જવાના કારણની તપાસ કરી રહી છે. એસએસબીની ૧૪ મી કોર્પ્સમાં તૈનાત અધિકારીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે. કાશ્મીર ખીણમાં ૧૩ ઓક્ટોબરે સરહદ સશસ્ત્ર દળ એસએસબીના જવાન સહિત બે સુરક્ષાકર્મીઓ તેમના સરકારી હથિયારો લઇ ફરાર થઈ ગયા હતા. આ બંને મામલાની નોંધ લઈ પોલીસે ગુમ થયેલ સુરક્ષા કર્મચારીઓને શોધવા સઘન શોધખોળ હાથ ધરી હતી. ગુમ થયેલો એસપીઓ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હોવાનું જાણવા મળે છે. આ વર્ષે પોલીસ કર્મચારી હથિયાર સાથે ફરાર થઈ ગયો હોય અને આતંકવાદીઓ સાથે ભળી ગયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. ગુમ થયેલ એસપીઓની શોધખોળ માટે પોલીસે આખા કાશ્મીર ખીણમાં કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એસપીઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.આ સંદર્ભે સૈન્યના જવાનો દ્વારા મદદ પણ લેવામાં આવી રહી છે. રાજૌરીનો રહેવાસી અલ્તાફ બડગામ જિલ્લાના ચડૂરા વિસ્તારના નાગમમાં એસએસબીની ૧૪ મી કોર્પ્સમાં પોસ્ટ કરાયો હતો. ૧૩ ઓક્ટોબરના રોજ રાત્રે ૯.૧૫ વાગ્યે તે અચાનક તેની છાવણીમાંથી ગાયબ થઈ ગયો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે આઈએનએસએએસ રાઇફલ અને ડીએ મેગેઝિન પણ લઈ ગયો છે. અલ્તાફ હુસેન રાજૌરી જિલ્લાના રેહાન કોટરંકાનો રહેવાસી છે. તેના કોર્પ્સના કમાન્ડન્ટે ગત બુધવારે સવારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને એફઆઈઆર નોંધવાનો આગ્રહ કર્યો હતો.

 

સુશાંત કેસની તપાસ હજુ ચાલુ જ છે : સીબીઆઈ

તપાસ પૂરી થઈ ગઈ છે તેવા અહેવાલોને રદીયો
સુશાંતના મોતને ૪ મહિના થઈ ચૂક્યા છે અને પરિવાર, ફેન્સ સીબીઆઈના રિપોર્ટ પર મીટ માંડીને બેઠા છેે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૬
સીબીઆઈએ આજે સ્પષ્ટતા કરી છે કે સુશાંત સિંહ કેસની તપાસ હજુ ચાલુ જ છે. આજે સવારે એવા અહેવાલો આવ્યા હતા કે સીબીઆઈએ આ કેસની તપાસ પૂરી કરી લીધી છે, અને તે જલ્દી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. જોકે, આ અહેવાલોને સીબીઆઈએ ફગાવી દીધા છે. સુશાંત સિંહ રાજપૂતના મોતને ૪ મહિના થઈ ચૂક્યા છે. સુશાંતના પરિવાર અને ફેન્સ સહિત આખો દેશ સીબીઆઈના રિપોર્ટ સામે મીટ માંડીને બેઠો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ એમ્સએ સુશાંતનું મોત ગળે ફાંસો ખાવાથી જ થયું હોવાનું દર્શાવતો રિપોર્ટ સોંપ્યો હતો. સુશાંતના મોતને લઈને જાતભાતની અટકળો હતી, જે તમામને એમ્સએ ફગાવી દીધી હતી અને સુશાંતની હત્યા થઈ હોવાનો પણ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. સીબીઆઈની સાથે ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો જેવી કેન્દ્રિય તપાસ એજન્સીઓ પણ આ મામલે તપાસ કરી રહી છે. સુશાંતના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેના અકાઉન્ટમાંથી ૧૫ કરોડ રુપિયા જેટલી રકમની ગોલમાલ થઈ છે. જેની ઈડીએ તપાસ શરુ કરી હતી. આ સિવાય આ કેસમાં ડ્રગ્સ એંગલ નીકળતા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સહિતના કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જેલ પણ થઈ હતી. હાલ તે જામીન પર મુક્ત છે. જો કે, તેના ભાઈ શોવિક ચક્રવર્તીને હજી જામીન મળ્યા નથી. આ તરફ રિયા ચક્રવર્તીએ જેલમાંથી છૂટ્યા બાદ તેની વિરુદ્ધ ખોટું નિવેદન આપનારી તેની પાડોશી સામે કાયદેસરની કાર્યવાહી લીધી છે. પાડોશીએ દાવો કર્યો હતો કે, તેણે ૧૩ જૂનની રાત્રે સુશાંત અને રિયાને સાથે જોયા હતા. બાદમાં સીબીઆઈની પૂછપરછ દરમિયાન તે ફરી ગઈ હતી.

 

બીએઆરસીએ ૧૨ સપ્તાહ માટે રેટિંગ્સ પર રોક લગાવી દીધી

ટીઆરપી સાથે છેડછાડનો વિવાદમાં આકરું પગલું
પોલીસે આ કેસમાં પાંચની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે ત્યારે રેટિંગ એજન્સીનો મહત્વપૂર્ણ નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૬
રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે બનાવટી ટીઆરપીને લઈને થયેલા હોબાળા વચ્ચે મોટો નિર્ણય લીધો છે. બીએઆરસીએ હાલમાં ન્યૂઝ ચેનલોના સાપ્તાહિક જાહેર થતા રેટિંગ્સ પર રોક લગાવી દીધી છે. ૧૨ અઠવાડિયા માટે તમામ ભાષાઓમાં ન્યૂઝ ચેનલોના રેટિંગ્સ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીએઆરસીએ જણાવ્યું છે કે ટીઆરપી ડેટાને માપવાની વર્તમાન સિસ્ટમની સમીક્ષા કરવામાં આવશે. તેમાં વધુ સુધારો કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવટી ટીઆરપીનો આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બીએઆરસીએ હંસ રિસર્ચ ગ્રુપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ટીવી ચેનલો ટીઆરપીમાં ચેડાં કરી રહી છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આવા કેટલાક પરિવારોને કોઈ ખાસ ચેનલ ચલાવવા માટે લાંચ આપવામાં આવી હતી, જેમાં તેમના ઘરોમાં ટીઆરપી ડેટા એકત્રિત કરવાના ઉપકરણો લગાવાયેલા હતા.
પોલીસે આ કેસમાં ઓછામાં ઓછા પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ન્યૂઝ ચેનલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અર્ણબ ગોસ્વામીની આગેવાની હેઠળ રિપબ્લિક ટીવીના અધિકારીઓની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, રિપબ્લિક ટીવીએ કોઈપણ ગેરરીતિનો ઈનકાર હતી. ગયા અઠવાડિયે, મુંબઈ પોલીસ કમિશનર (સીપી) પરમબીરસિંહે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે રિપબ્લિક ટીવી, બોક્સ સિનેમા અને ફક્ત મરાઠી ચેનલોએ જાહેરાતોથી વધુ આવક મેળવવા માટે ટીઆરપીમાં ચેડા કર્યા છે. જો કે, રિપબ્લિક ટીવીએ તેમના દાવાને સંપૂર્ણપણે નકારી દીધો છે.
બીએઆરસી ભારતમાં ટીવી ચેનલો માટે દર અઠવાડિયે રેટિંગ પોઇન્ટ પ્રકાશિત કરે છે. બીએઆરસી એ મીડિયા ઉદ્યોગનું જ એક એકમ છે, જેની રચના સચોટ, વિશ્વસનીય અને સમયસર ટીવી વ્યૂઅરશિપને માપવા માટે કરાઈ છે. તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ના માર્ગદર્શન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની ભલામણો હેઠળ કાર્ય કરે છે.

 

મોદી પાસે ૩૧ હજાર રોકડા, FD અને એનએસસીમાં રોકાણ

પ્રધાનમંત્રીએ તેમની મિલકતોની વિગતો રજૂ કરી
ગાંધીનગરમાં મોદીના નામે એક ઘર-સોનાની ચાર વીંટી છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે, કોઈ ઉધારી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
મોટાભાગના ભારતીયોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના રુપિયા બેંકમાં રાખે છે. તેમણે પોતાની આવકનો મોટો ભાગ ટર્મ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કર્યો છે. ૧૨ ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ પોતાની મિલકતોની વિગતો રજૂ કરી છે. ૩૦ જૂન સુધીમાં વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિ ૧,૭૫,૬૩,૬૧૮ રૂપિયા હતી. ૩૦ જૂનના રોજ તેમની પાસે ૩૧,૪૫૦ રૂપિયાની રોકડ રકમ હતી. ગયા વર્ષની સરખામણીએ તેમની ચલ સંપત્તિમાં ૨૬.૨૬ ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ તેમના પગારમાંથી બચત અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી વ્યાજના પુનઃ રોકાણનો સમાવેશ છે.
૩૦ જૂનના રોજ મોદીના બચત ખાતામાં ૩.૩૮ લાખ રૂપિયા હતા. તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ની ગાંધીનગર શાખામાં ફિક્સ્ડ ડિપોઝિટ કરી છે. ગયા વર્ષે તેની કિંમત ૧, ૨૭, ૮૧,૫૭૪ રૂપિયા હતી. જે વધીને ૩૦ જૂન, ૨૦૨૦ સુધીમાં ૧, ૬૦, ૨૮,૦૩૯ થઈ ગઈ છે. મોદીએ ટેક્સ બચાવવા માટે નાણાં મૂક્યાં છે. તેમનું રોકાણ લાઇફ ઇન્શ્યોરન્સ ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્‌સ (એનએસસી) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં છે. તેમણે એનએસસીમાં વધુ પૈસા રોક્યા છે અને તેમનું વીમા પ્રીમિયમ પણ ઘટી ગયું છે. મોદી પાસે ૮,૪૩,૧૨૪ રુપિયાના એનએસસી છે અને વીમા પ્રીમિયમ ૧,૫૦,૯૫૭ રૂપિયા સુધી ભરે છે. જાન્યુઆરી ૨૦૧૨માં તેમણે ૨૦,૦૦૦ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે હજુ સુધી મેચ્યોર નથી થયા.
વડાપ્રધાનની સ્થાવર મિલકતોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. છેલ્લી વિગતો મુજબ ગાંધીનગરમાં તેમના નામે એક ઘર છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે. આ ઘરનો માલિકી હક્ક મોદી અને તેમના પરિવારનો છે. મોદી પર કોઈ ઉધારી નથી અને તેઓ પાસે કોઈ કાર પણ નથી. તેમની પાસે સોનાની ચાર વીંટી છે.
ગત વર્ષની લોકસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં મોદીએ કુલ ૧.૪૧ કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી હતી. ત્યારે બેંકમાં તેમના ૧.૨૭ કરોડ રૂપિયા જમા હતા. કેન્દ્રીય મંત્રીઓએ પોતાની મિલકતોની વિગતો આપવાની પદ્ધતિ ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયી સરકારમાં શરૂ કરવામાં આવી હતી. સાંસદોએ પણ દર વર્ષે તેમના પરિવારની આવક જાહેર કરવી પડે છે. લોકપાલ અને લોકાયુક્ત એક્ટ વર્ષ ૨૦૧૩ બાદથી તમામ સરકારી કર્મચારીઓ માટે તેમની વાર્ષિક આવકની માહિતી સાર્વજનિક કરવી ફરજિયાત છે.
વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત મોટાભાગના વરિષ્ઠ મંત્રીઓએ તેમની સંપત્તિની વિગતો આપી છે. રામદાસ અઠાવલે, બાબુલ સુપ્રિયો સહિત કેટલાક જુનિયર મંત્રીઓએ હજુ સુધી આ માહિતી સાર્વજનિક કરી નથી.

 

આરોપી અલ્વાને ઝડપવા વિવેક ઓબેરોયના ઘરે રેડ

સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં બેંગલુરૂ સેન્ટ્રલ ક્રાઈમની કાર્યવાહી
અભિનેતનો સાળો ડ્રગ્સ કેસમાં આરોપી હોઈ તેની સામે વોરંટ નિકળતા સીસીબીએ સઘન તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૫
બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (સીસીબી)એ બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે દરોડા પાડ્યા છે. વિવેકની પત્નીના ભાઈ આદિત્ય અલ્વા બેંગલુરુ ડ્રગ્સ કેસમાં આરોપી છે. પોલીસે આદિત્યને શોધવા માટે વિવેકના મુંબઈ સ્થિત નિવાસસ્થાને રેડ પાડી હતી. આદિત્ય વિરુદ્ધ કેસ દાખલ થયો ત્યારથી તે ભાગી છૂટ્યો છે. સીસીબીએ કોર્ટ વોરંટ સાથે વિવેકના ઘરે તપાસ કરી હતી.
સીસીબી દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, કોટનપેટ કેસમાં આદિત્ય અલ્વા ફરાર છે. વિવેક ઓબેરોય તેમના સંબંધી છે, અમને સૂચના મળી હતી કે અલ્વા તેમને ત્યાં સંતાયો છે. તેથી અમે તપાસ કરવા માગતા હતા. જેથી કોર્ટ વોરંટ સાથે સીસીબીની ટીમ મુંબઈમાં વિવેક ઓબેરોયના ઘરે ગઈ હતી.
તમને જણાવી દઈએ કે બોલિવુડ ડ્રગ કેસની જેમ સાઉથમાં છેલ્લા કેટલાક સમયથી સેન્ડલવુડ ડ્રગ કેસમાં ઘણાં મોટાં નામ સામે આવ્યાં છે. આ ડ્રગ કેસમાં રાગિણી દ્વિવેદીનું નામ પણ છે. સીસીબીની ટીમે આદિત્યના ઘરે સીસીબીની ટીમે પહેલા જ દરોડા પાડ્યા હતા.
આ હાઈ પ્રોફાઈલ ડ્રગ કેસમાં ઘણાં મોટાં નામો સામે આવ્યા છે. કેટલાક પેડલર્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા પૈકી એક આરોપીએ આદિત્ય અલ્વાના નામ આપ્યું હતું. તે સમયે હેબ્બલ નજીક આવેલા આદિત્ય અલ્વાના ઘરે તપાસ કરવામાં આવી હતી. આ માહિતી બેંગલુરુના જોઈન્ટ કમિશનર ક્રાઈમ સંદીપ પાટિલે આપી હતી.
આદિત્ય અલ્વા પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાનો દીકરો છે. કહેવાય છે કે હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં આદિત્ય મોટાભાગે જોવા મળતો હતો. તેની બહેન પ્રિયંકા અલ્વાના લગ્ન વિવેક ઓબેરોય સાથે થયા છે. સેન્ડલવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધી એક્ટ્રેસ રાગિણી દ્વિવેદી ઉપરાંત ડ્રગ્સ પેડલર્સ રવિશંકર, શ્રી પ્રકાશ, રાહુલ શેટ્ટી, વિરેન ખન્નાની ધરપકડ કરવામાં આવી છે. રાગિણીએ ડ્રગ ટેસ્ટ દરમિયાન પેશાબમાં પાણી મિક્સ કરીને સેમ્પલ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરીથી તેમના નમૂના લીધા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope