રથયાત્રા પહેલાં શહેરમાં લૂંટારૂઓનું રાજ : નારણપુરામાં છ કલાકના ગાળામાં ૩ મહિલાના ગળામાંથી ચેન ખેચાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૭
અમદાવાદમાં ત્રીજી જુલાઈએ નીકળનારી રથયાત્રાને લઈ પોલીસ તમામ મોરચે સજજ હોવાનું ભલે ઉચ્ચઅધિકારીઓ કહી રહ્યાં હોય પરંતુ છતાં મહિલાઓ રથયાત્રામાં દાગીના પહેરીને જતાં પહેલા આ વખત વિચારજો નહીંતર તમારા દાગીના તો ગયા જ સમજજો અને તમારો જીવ પણ જોખમમાં મુકાય શકે છે. કારણ કે રથયાત્રાને ગણીને પાંચ દિવસ બાકી છે છતાં શહેરમાં લૂંટારુંઓનું રાજ ચાલી રહ્યું છે. ગઈકાલે નારણપુરામાં માત્ર છ કલાકના ગાળામાં ત્રણ મહિલાના ગળામાંથી ચેન ખેચાઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
રવિવારે નીકળનારી ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાને ગણીને પાંચ દિવસ બાકી છે. રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ તમામ મોરચે સજજ હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ કહી રહ્યાં છે. રથયાત્રા પર દરવર્ષે ત્રાસવાદના વાદળો ઘેરાયેલા હોય છે. ત્રાસવાદી પ્રવૃત્તીને પણ નાથવા પોલીસ સજજ હોવાનું અધિકારીઓ કહી રહ્યાં છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ત્રાસવાદીઓ સામે સજજ અમદાવાદ પોલીસ નાના અમથા ચોર, લૂંટારુઓ અને ચેન સ્નેચરો સામે કેમ નમાલી સાબીત થઈ રહી છે. રથયાત્રાને લઈ શહેરભરની પોલીસ વાહનચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. છતાં ચોરી, લૂંટ અને ચેઈન સ્નેચીંગના ગુના રોકવાનું નામ નથી લઈ રહ્યાં.
ગઈ કાલે નારણપુરા વિસ્તારમાં માત્ર છ કલાકના ગાળામાં બનેલી ત્રણ-ત્રણ ચેઈનસ્નેચીંગની ઘટનાએ રીતસર અમદાવાદ પોલીસના ગાલ પર સણસણતો તમાચો ઠોંકી દીધો છે. ચેઈન સ્નેચીંગની બે ઘટનામાં તો મંદિરે દર્શન કરી પરત ફરતી મહિલાઓ ચેઈનસ્નેચરોનો ભોગ બનવા પામી છે.
પ્રગતીનગરના બગીચા પાસેની અંગીતો સોસાયટીમાં રહેતી નંદા અને તેના દાદી ગઈ કાલે સોલા ખાતે જૈન દેરાસરમાં ગયા હતા. ૧૧:૧૫ વાગે તેઓ એ.ઈસી ચાર રસ્તા પાસેથી પસાર થતાં હતા ત્યારે પલ્સર મોટર સાયકલ પર આવેલા બે શખ્સો નંદાના દાદીના ગળામાંથી ૩૦ હજારની કિંમતની સોનાની ચેન લૂંટી ફરાર થઈ ગયા હતા. આ મામલે તેમણે નારણપુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. અન્ય એક ઘટનામાં ૬૫ વર્ષીય માયાબેન દવે ગઈ કાલે બપોરે ૪ઃ૬૦ વાગે વિજયનગર સ્કૂલથી પસાર થતા હતા. ત્યારે મોટરસાઈકલ પર આવેલા શખ્સો તેમના ગળામાંથી ૧૦ હજારની કિંમતની સોનાની ચેન ખેચી બિન્દાસ્ત ભાગી છૂટ્યા હતા.
વધુ અન્ય એક ઘટનામાં તો ભરચક એવા અખબારનગર સર્કલ પાસે પોતાના પતિ સાથે જઈ રહેલા કૈલાસબેન દશરથભાઈ ગજજરના ગળામાંથી ચેઈન સ્નેચરો ૧૫ હજારની કિંમતની સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા.