(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા. ૧૨
શહેરના ચમનપુરા વિસ્તારમાં આવેલી હસનજીવાની ચાલીમાં રહેતો પરિવાર પુનમના ગરબા જોવામાં મસ્ત હતોને તસ્કરો ઘરસાફ કરી ગયા હતા. આ અંગેની જાણ થતાં મેઘાણીનગર પોલીસ દોડી આવી હતી.
ઘટનાની વિગતવાર માહિતી એવી છે કે ચમનપુરા હસનજીવાની ચાલીમાં જમનાબેન માનવાળા અને પરિવારના સભ્યો રહે છે. ગતરાત્રીના સુમારે પરિવારના સભ્યો પુનમના ગરબા જોવામાં મસ્ત હતા. દરમ્યાનમાં તસ્કરો તેમના ઘરે ત્રાટક્યા હતા અને મકાનમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાં રાખેલા રોકડ રૂા. ૮૫,૭૭૦ની ચોરી કરી ગયા હતા. બાદમાં પરિવારજનો ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં બુમા-બુમ કરી મૂકી હતી. દરમ્યાનમાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસને થતાં પો.સ.ઈ. ડી.ડી. રાઠોડ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.