સસ્પેન્ડ કરવામાં આવેલા આઈપીએસ અધિકારી ભટ્ટની જામીન અરજી નામંજૂર કરવા માટે ધારદાર દલીલો કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા. ૧૨
ખોટી એફીડેવીટ કરવાના મામલામાં ધરપકડ કરાયેલાં બરતરફ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ એ કાયમી જામીન મેળવવા માટે કરેલી અરજી ઉપર બંને પક્ષકારોની રજૂઆતો પૂર્ણ થતાં અમદાવાદ ગ્રામ્ય સેસન્સ કોર્ટના જજ વી. કે. વ્યાસે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. ૧૭મીએ ચુકાદો જાહેર થાય તેવી શક્યતા છે.
વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજયમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં. ગોધરાકાંડ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તત્કાલીન આઇબીના વડા સંજીવ ભટ્ટ હાજર હતાં. આ બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દુઓને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા ખુલ્લી છૂટ આપી હતી. જેના કારણે કેટલાક લોકોના મોત નિપજયા હતા. તેવા મતલબનું એફીડેવીટ કરી સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં રીટ પીટીશન કરી હતી. આ બેઠકમાં પોતે હાજર હોવાના પુરાવા રૂપે પો.કો. કે. ડી. પંથે પણ એફીડેવીટ કરી હતી. સંજીવ ભટ્ટે ગેરકાયદેસર ગોંધી રાખી બળજબરીપૂર્વક એફીડેવીટ કરાવી હોવાના મતલબની પો.કો. કે. ડી. પંથે ઘાટલોડિયલા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસ સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. ૭ દિવસના પોલીસ રીમાન્ડની માંગ કરતાં કોર્ટે ફગાવી દીધી હતી.
ભટ્ટના રીમાન્ડ મેળવવા સરકારે સેસન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. આ કેસમાં કાયમી જામીન મેળવવા સંજીવ ભટ્ટે સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. જામીન અરજી મામલે છેલ્લા ચાર દિવસ સુધી લાંબી લાંબી રજૂઆતો ચાલી હતી. બંને પક્ષકારોની રજૂઆતો પૂર્ણ થતાં અમદાવાદ ગ્રામ્ય સેસન્સ કોર્ટના જજ વી. કે. વ્યાસે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ૧૭મી ઓક્ટોબરે ચુકાદો જાહેર થાય તેવી શક્યતા છે.