વિપુલ અગ્રવાલની કાયમી જામીન મેળવવાની અરજી
સીબીઆઇને નોટિસ : ૨૦મીએ વધુ સુનાવણી હાથ ધરાશે પાલનપુર કોર્ટે વિપુલ અગ્રવાલના જામીન ફગાવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા. ૧૨
તુલસી એન્કાઉન્ટરમાં ધરપકડ કરાયેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તત્કાલીન વડા વિપુલ અગ્રવાલે પાલનપુર કોર્ટના ચૂકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી સમગ્ર પ્રકરણમાંથી કાયમી જામીન મેળવવા માટે અરજી કરી છે. જે અરજી હાઇકોર્ટે દાખલ કરી સીબીઆઇને નોટિસ ફટકારી આ અંગેની વધુ સુનાવણી ૨૦મી ઓક્ટોબરના રોજ નિયત કરી છે.
આ કેસની વિગત એવી છે કે, અમદાવાદથી કોર્ટની મુદતથી પરત ફરી રહેલા તુલસી પ્રજાપતિનું અંબાજી નજીકના છાપરી ગામની સીમમાં એસઓજી અને એટીએસના સયુક્ત ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે તુલસીની માતાએ સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે સીબીઆઇ તપાસની દાદ માગતી રિટ કરી હતી. જે અંગેની પક્ષકારોની રજૂઆતના અંતે સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલાની તપાસ સીબીઆઇને સુપરત કરી હતી. જે અગાઉ સીઆઇડી ક્રાઇમે સમગ્ર મામલામાં એસઓજીના તત્કાલીન વડા વિપુલ અગ્રવાલ સહિતના સાત આરોપીઓની ધરપકડ કરી જેલના હવાલે કર્યા હતા.
જયારે બીજી તરફ, સમગ્ર મામલામાં ઝડપાયેલા એસઓજીના તત્કાલીન વડા વિપુલ અગ્રવાલે પાલનપુર કોર્ટમાં કાયમી જામીન મેલવવા માટે અરજી કરી હતી. જે અરજી પર પક્ષકારોની રજૂઆતના અંતે પાલનપુર કોર્ટના એડિશનલ સેશન્સ જજ આરોપી વિપુલ અગ્રવાલની કાયમી જામીન અરજી ફગાવી દીધી હતી. જે ચૂકાદાને વિપુલ અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. જે ઘટનાક્રમમાં વિપુલ અગ્રવાલે ગઇકાલે કાયમી જામીન અરજી કરી હતી. જે હાઇકોર્ટે દાખલ કરી સીબીઆઇને કારણદર્શક નોટિસ ફટકારી આ અંગેની વધુ સુનાવણી ૨૦મી ઓક્ટોબરના રોજ નિયત કરી છે.