ઈજાને લીધે ઋષભ પંત કેટલિક મેચો ગુમાવી શકે છે

ઋષભ પંતના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા
પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમનું સંતુલન બગડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ,તા.૧૫
દિલ્હી કેપિટલ્સને પોતાના આક્રમક વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંતની સાતથી દસ દિવસ સુધી સેવાઓ નહીં મળે. મૂળે, તેના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા થઈ છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ શિમરોન હેટમાયરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. પંત પોતાની ઈજાના કારણે આ સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. એવામાં દિલ્હી કેપિટલ્સ લલિત યાદવને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે. બુધવારે દિલ્હી કેપિટલ્સની મેચ રાજસ્થાન રોયલ્સની સાથે છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ માં છેલ્લી વાર જ્યારે બંને ટીમો સામ-સામે આવી હતી તો જીત દિલ્હી કેપિટલ્સની થઈ હતી. અગાઉની મેચમાં કોઈ ભારતીય વૈકલ્પિક વિકેટકીપર નહીં હોવાના કારણે કેપિટલ્સને હેટમાયરને બદલે એલેક્સ કૈરીને ઉતારવા માટે મજબૂર થવું પડ્યું હતું. ટીમે જોકે ઇનિંગના અંતમાં બે આક્રમક બેટિંગની ખોટ વર્તાઈ, કારણ કે શિખર ધવને અણનમ ૬૯ રનની ઇનિંગ ૫૨ બોલમાં રમી. આ મામલાની જાણકારી રાખનારા આઈપીએલના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, દિલ્હી કેપિટલ્સે સ્કેનનો રિપોર્ટ બીસીસીઆઈની મેડિકલ ટીમને મોકલ્યો છે.
કારણ કે બીસીસીઆઈએ કેન્દ્રીય કોન્ટ્રાક્ટ કરેલા ખેલાડીઓના મામલામાં આવું કરવું અનિવાર્ય કર્યું છે. તેનાથી જાણી શકાય છે કે પંતને ગ્રેડ એકની ઈજા છે. આક્રમક બેટિંગ માટે પંતનો વિકલ્પ લલિત યાદવઋષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમનું સંતુલન બગડ્યું, કારણ કે તેણે બે આક્રમક ગુમાવ્યા છે. દિલ્હીના હાલના બેટિંગ ક્રમમાં એકમાત્ર વિકલ્પ આક્રમક ઓલરાઉન્ડર લલિત યાદવ છે, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટૂર્નામેન્ટની ૩૦થી વધુ મેચોમાં ૧૩૬થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે. આ ઓલરાઉન્ડરને કેપિટલ્સે ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર પોતાની ટીમમાં લીધો હતો. નોંધનીય છે કે, એલેક્સી કૈરી વિકેટકીપરના રૂપમાં પ્રબળ દાવેદાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે ૩૦ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેઓએ માત્ર ૬ સિક્સર મારી છે. કૈરીને આઈપીએલ ૨૦૨૦ હજારીમાં દિલ્હી કેપિટલ્સે ૪૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

 

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ૧૭ ઑક્ટોબરથી ખુલ્લું મૂકાશે

પ્રવાસીઓ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા
૩૧મી ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે તૈયારીેનો ધમધમાટ : સી-પ્લેનના લેન્ડીંગ માટે જેટી તૈયાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા,તા.૧૫
સ્ટેચ્યુ ઑફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે. કોવિડ-૧૯ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી. કોવિડ-૧૯ અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે. આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતાં રાજ્ય સરકારે હવે પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા. ૧૭ ઓક્ટોબર શનિવારથીએટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સીંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બનેલ હોવાથી દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જે પૈકી માત્ર ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ ઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ સી-પ્લેન અમદાવાદની સાબરમતીથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે, અને આગામી ૩૧ઑક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજનાર છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરનાર છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે, તે તળાવ નંબર ૩ પાસે સીપ્લેન માટેની જેટી બનવવાનું કામ પૂર્ણતાના આરે છે. જે અંગે નર્મદા નિગમ દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે. આજે જેટી બનાવવા માટે કોન્ક્રીટનાં ૬ પોન્ટુન, મુંબઈથી લાવવામાં આવ્યા છે જેને જોડીને અહીંયા ફ્લોટિંગ જેટી બનાવવામાં આવી છે.

 

મેડિકલ ઓક્સિજનમાં છેલ્લા પાંચ દિવસમાં ૨૦% ઘટાડો

મહિના પહેલા મેડિકલ ઓક્સિજનની ખૂબ માગ હતી
૭ ઓક્ટોબરે ૨૦૯ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો,૧૨ ઓક્ટોબરે ઘટી ૧૬૮ મેટ્રિક ટને પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
લગભગ એક મહિના પહેલા રાજ્યને મેડિકલ ઓક્સિજનની ખૂબ જ જરૂર હતી, જેણે રાજ્ય સરકારને કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજનનો જથ્થો સુવ્યવસ્થિત કરવા માટે પ્રેરિત કર્યા હતા. હવે એક મહિનાના સમયગાળામાં ઓક્સિજનની માગમાં ઘટાડો થયો છે. ૭ ઓક્ટોબરે ૨૦૯ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો હતો, જે આંકડો ૧૨ ઓક્ટોબરે ઘટીને ૧૬૮ મેટ્રિક ટન પર પહોંચ્યો હતો. ૨૧ સપ્ટેમ્બરની વાત કરીએ તો, પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગુજરાતમાં એ દિવસે ૨૪૦ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની જરૂર પડી હતી. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં આ સૌથી ઓછી દૈનિક માગ છે, જ્યાં સરેરાશ દૈનિક માગ આશરે ૨૦૦ મેટ્રિક ટન છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. જેપી મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે કારણ કે, તે દવા જેટલો સારો છે. ’હાલના સમયમાં ઓક્સિજન પર દર્દીઓ હોય તેવા ૫૦ ટકા બેડ છે, જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે’, તેમ તેમણે કહ્યું હતું. શહેરની હોસ્પિટલોએ બે પરિબળો વિશે વાત કરી હતી- કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં એકંદર ઘટાડો અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં ઘટાડો-આ બાબત માટે જવાબદાર છે. ’છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-૧૯ સંક્રમણની ગંભીરતા થોડી ઓછી થઈ છે, જેના પરિણામરૂપે તેવા દર્દીઓની પણ સંખ્યા ઘટી છે જેમને ઓક્સિજન આપવાની જરૂર હતી’, તેમ શેલ્બીહોસ્પિટલના ગ્રુપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું. તેમણે તેમ પણ કહ્યું કે, દેશમાં અન્ય કેટલીક જગ્યાઓમાં પણ આવું વલણ જોવા મળી રહ્યું છે.

 

જૂનાગઢ : ૨૪મી ઓક્ટોમ્બરે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ

ગિરનાર રોપ-વેના લોકાર્પણની તારીખ નક્કી
ગગનચૂંટબી ગિરનાર પરથી એશિયાનો સૌથી મોટો રોપવે ખૂલ્લો મૂકવાની તૈયારીઓ પૂર દોરમાં ચાલી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ,તા.૧૫
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગિરનાર રોપ-વેના લોકાર્પણનો દિવસ નજીક આવી ગયો છે. આગામી ૨૪મી ઑક્ટોબરને ગિરનાર રોપવેના લોકાર્પણની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના સ્વપ્નનો આ પ્રોજેક્ટ વર્ષો સુધી અટવાયા બાદ પૂરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે આગામી ૨૪મી ઑક્ટોબરે ગિરનાર રોપૃવે પ્રોજેક્ટને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. વડાપ્રધાન મોદી ગિરનાર રોપ-વે પ્રોજેકટનું ઇ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે ગિરનારના અંબાજી સુધીનો આ રોપવે જૂનાગઢ – એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે. અંબાજી સુધીનું અંતર જ ૫૦૦૦ કરતાં વધુ પગથિયાનું છે ત્યારે આ રોપવે એક બેંચ માર્ક સાબિત થશે. હાલમાં ગિરનાર રોપ-વે માટે આવેલી ટ્રોલીનું ટ્રાયલ રોજ કરવામાં આવે છે. લોડ ટ્રાયલ સાથે એર વેન્ટિલેશન વગેરેનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગિરનાર રોપ-વેની ઊંચાઇ અને હવાના દબાણને ધ્યાનમાં રાખતા આ રોપ-વેની ટ્રોલી કાચ વાળી પેક રાખવામાં આવશે. રોપ-વેમાં સેફ્ટિની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોઈ હોનારત થાય તો રેસ્ક્યૂ માટેના કેટલાક પોઇન્ટ નક્કી કરવાં આવ્યા છે. ગિરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જોવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યુપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો. નિયત સમય મુજબ ગત વર્ષે દિવાળીએ જ પ્રોજેક્ટ શરૂ કરવાની ગણતરી હતી પરંતુ ગિરનાર રોપવની ટેકિનિકલ ચેલેન્જીસ અને ત્યાર બાદ કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનના લીધે આ પ્રોજેક્ટ અટવાયા કર્યો હતો. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ આગામી ૨૪મી ઑક્ટોબરે આ રોપવે વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે.

 

નવરાત્રીના દિવસો દરમિયાન અંબાજી મંદિર ખુલ્લું રહેશે

અંબાજી મંદિર અને ગબ્બર બંને ખુલ્લા રહેશે
કોરોનાના લીધે ચાલુ વર્ષે મંદિરના દર્શન ચાલુ રહેશે પરંતુ ગરબાનું આયોજન નહીં કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અંબાજી,તા.૧૫
કોરોનાકાળમાં અનેક મંદિરો નવરાત્રિમાં બંધ રહેવાના છે. તો બીજી તરફ, સરકારે ગરબાના આયોજન પર મુકેલા પ્રતિબંધથી માતાજીના આરાધકોમાં નિરાશા જોવા મળી છે. પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર એ છે કે, ૫૧ શક્તિપીઠમાંથી એક એવા આદ્યશક્તિ મા અંબાનું મંદિર અને તેમનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ નવરાત્રિમાં ભાવિક ભક્તો માટે ખુલ્લું રહેશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરની ફરતે સ્થાપિત કરાયેલી ૫૧ શક્તિપીઠોની પ્રતિકૃતિને કારણે ભક્તોને અહીં એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દુર્લભ લ્હાવો સાંપડે છે. રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. કોરોનાના પગલે અંબાજી દર્શન માટે પધારતા ભક્તોના આરોગ્યની સલામતી પર વિશેષ ભાર મુકતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કોવિડ ૧૯ અંગેની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધા અને વ્યવસ્થા મંદિર પરિસર અને મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વતે કરવામા આવી છે. આ ઉપરાંત સ્થાનિક લોકો, ઓટો અને ટેક્સી ચાલકો, ધર્મશાળા અને હોટલો દ્વારા દર્શનાર્થીઓને કોરોનાથી બચાવવા માટેના સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવામાં આવી રહ્યા છે. ૧૬૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું માં અંબાનું મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વત અંબાજી ધામ પણ ભાવિકભક્તો માટે ખુલી ગયું છે. માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર પર્વત અંબાજીથી ત્રણ કિમીના અંતરે સ્થિત છે. માતાજીના ૫૧ શક્તિપીઠોમા પ્રમુખ શક્તિપીઠ મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપર મા અંબાજીના અખંડ જ્યોતના સંપૂર્ણ દર્શન માટે રોપવે (ઉડનખટોલા) યાત્રિકોની સેવામાં તકેદારી અને સભાનતાની સાથે કાર્યરત રહેશે. અરવલ્લીની ગિરિમાળામા ગબ્બર પર્વત વર્ષો જુનો છે. દેવી સતીનું હૃદય આ સ્થાન પર પડેલ હોવાથી હદયપીઠ પણ કહેવામાં આવે છે. ગબ્બર પર્વત ઉપર હજારો વર્ષોથી માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. માં અંબાના પવિત્ર પ્રાગટ્ય સ્થાને માંના પગલા અને રથના નિશાન આજે પણ મોજુદ છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ચૌલકર્મ (બાબરી) વિધિ ગબ્બર પર્વત ઉપર થઇ હતી. ગબ્બર પર્વત સ્થિત પારસ પીપળીના વૃક્ષ પર મહિલાઓ અખંડ સૌભાગ્યની રક્ષા માટે દોરો અને બંગડી બાંધે છે. અતિ પ્રાચીન સમયમા રાવણને મારવા માટે માં અંબાએ પવિત્ર પ્રાગટ્ય સ્થાન ગબ્બર ઉપર રામને અજય બાણ આપ્યું હતું, જે બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. આ પવિત્ર સ્થાન ૫૧ શક્તિપીઠોમાં હૃદયસમાન છે. ગબ્બર ઉપર માં અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત હોય છે, જે હાલના અંબાજી મંદિરથી સીધી લીટીમા દેખાય છે. તો બીજી તરફ, ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરના ચોકમાં નવરાત્રિમાં ગરબા નહિ યોજવાનુ નક્કી કરાયુ છે. મંદિરના ટ્રસ્ટીઓએ કોરોનાની મહામારીને લઈને ગરબા નહિ કરવા નિર્ણય લીધો છે. નવરાત્રિમાં મંદિરમાં માતાજીનું ઘટ સ્થાપન, પૂજન અને આરતી થશે. પરતુ માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ભક્તો નવરત્રિમાં માતાજીના દર્શન કરી શકશે. ભક્તો ઘેર બેઠા પણ માતાજીના દર્શન સોશિયલ મીડિયા દ્વારા કરી શકશે.

 

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપમાં જોડાયા

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ
પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં ટિકિટ ન મળતા કિશોર ચીખલિયાએ કૉંગ્રેસથી નારાજ થતા પક્ષ પલટો કરી લીધોે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી,તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવામાં થોડા જ દિવસો બાકી છે ત્યારે આજે મોરબી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ટિકિટ વહેંચણીથી નારાજ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે. પોતે પ્રબળ દાવેદાર હોવા છતાં, ટિકિટ ન મળતા કિશોર ચીખલિયા કૉંગ્રેસથી નારાજ થતા આ પગલું ભર્યું છે. મોરબી બેઠક પર કૉંગ્રેસે જયંતિ જેરાજને ટિકિટ આપતા કિશોર ચીખલિયા નારાજ થયા હતા. ત્યારે આજે જ્યારે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન સમયે કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિશોર ચીખલીયા પર એસીબીમાં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટેની ભાજપે કમિટમેન્ટ કર્યું છે. કિશોર ચીખલીયા અને જ્યંતી જેરાજ પટેલના નામમાંથી કોંગ્રેસે જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા છે. ગત મોડી રાત્રીથી કિશોર ચીખલીયા કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા છે. પાર્ટીના સિનિયર નેતાઓ કિશોર ચીખલીયાને મનાવવા માટે આતુર હતા. પરંતુ કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા થતા સિનિયર નેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે. પ્રદેશ કોંગ્રેસ નેતાના મતે કિશોર ચીખલીયા પ્રબળ ઉમેદવાર હતા. જ્યારે સ્થાનિક કોંગ્રેસના નેતાના મતે જ્યંતિ જેરાજ પટેલ પ્રબળ ઉમેદવાર માનવામાં આવતા હતા. આજ કારણને લઈને પ્રદેશ અને સ્થાનિક નેતાઓ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૧૬ ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ૧૭ ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. ૧૯ ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે પરિણામ જાહેર થશે.

 

કોરોનાના કારણે ગુજરાત હાઇકોર્ટ ચાર દિવસ બંધ

સ્ટાફનો એન્ટીજન ટેસ્ટ કરાશે
ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્‌યુલર મુજબ ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં ૧૧૭૫ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૪૧૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે ૧૧ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટની કામગીરી ૪ દિવસ એટલે ૧૬થી ૧૯ ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્‌યુલર મુજબ, ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે. આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનેટાઇઝ કરાશે. ૧૬ ઓક્ટોબરના કેસ લિસ્ટ ૨૦ ઓક્ટોબરથી લેવામાં આવશે. ૧૯, ૨૦ અને ૨૧ ઓક્ટોબરથી ફિક્સ મેટર ૨૧ ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ ૨૦ ઓક્ટોબરથી શરૂ થશે. જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો ૨૦ ઓક્ટોબરથી લેવાશે. આ સાથે આદેશ જાહેર કરાયો છે કે, સર્ક્‌યુલરમાં એસીએસ હોમ અને રાજ્ય પોલીસ વડાને જાણ કરી કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટમાં ફરજ પર રહેલા સિક્યુરિટી સ્ટાફ જે જગ્યાએ ડ્યુટી પર છે તેમણે તે જગ્યાએ જ હાજર રહેવાનું રહેશે અલગ અલગ જગ્યાએ ફરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

 

લારી પર નાસ્તો કરવા માસ્ક ઉતારનારને પોલીસે દંડ કર્યો

અમદાવાદમાં લોકોમાં રોષ ફેલાયો
લારી પર જાવ તો માસ્ક કાઢતા નહીં નહીંતર ૨૦ના વડાપાઉં અને ૧૦ની પાણીપુરી માટે ૧૦૦૦નો દંડ ભરવો પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
અંગ્રેજીમાં એક કહેવત છે જેના મુજબ હોઠ અને કપ વચ્ચે ઘણી સ્લિપ હોઈ શકે છે. આ કહેવત બે અમદાવાદી આઈટી પ્રોફેશનલ્સ માટે બિલકુલ સાચી ઠરી જ્યારે તેમણે પાણીપૂરી ખાવા માટે પોતાનું માસ્ક નીચે કર્યું અને પોલીસે તેમને ૧૦૦૦નો દંડ ફટકારી દીધો. કોરોના મહામારીને લઈને પોલીસ અને કોર્પોરેશન જાહેરમાં માસ્ક ન પહેરનારાઓ પર કડક પગલા લઈ રહી છે અને ૧૦૦૦ સુધીનો દંડ કરવામાં આવે છે. આ ઘટના શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ એક જાણીતા પાણીપુરીના સ્ટોલ પાસે ઘટી છે. પોલીસ આઈટી પ્રોફેશનલ્સની એ વાતને માન્ય ન રાખી કે તેઓ પાણીપુરી ખાવા માટે માસ્ક ઉતારીને ઉભા છે. બીજા આવા જ એક કેસમાં ઘાટલોડિયામાં ફિઝિયોથેરાપિસ્ટ મહિલાને વડાપાઉન ખાવાની તેની ઈચ્છા મોંઘી પડી જ્યારે બટરમાં શેકાયેલા વડાપાઉનનો ટેસ્ટ મોઢામાં જાય તે પહેલા જ પોલીસે તેને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકારી દીધો. જોકે મહિલાએ તેનો જોરદાર વિરોધ કરતા કહ્યું કે તેણે કોઈ ગુનાનો ભંગ નથી કર્યો અને ફક્ત વડાપાઉં ખાવા માટે તેણે માસ્ક નીચે કર્યું છે. જોકે પોલીસે તેની વાત ન માનતા મહિલા ફિઝિયોથેરાપિસ્ટ સામે કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી એફઆઈઆર નોંધી છે. નારણપુરા પોલીસ દ્વારા આ દંડની કાર્યવાહીનો ભોગ બનેલી મહિલાએ પૂછ્યું કે મને વડાપાઉની પ્લેટ હજુ હાથમાં મળવાની જ હતી અને પોલીસે માસ્ક ન પહેરવા માટે દંડ કર્યો. માસ્ક પહેરીને હું કઈ રીતે ખાઈ શકું? રાજ્ય સરકાર દ્વારા અનલોકના જુદા જુદા તબક્કા હેઠળ રાજ્યમાં વેપાર ધંધા અને ઉદ્યોગને ખોલવાની મંજૂરી આપતા રાજ્યના અર્થતંત્રને પાટે ચડાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ બીજી તરફ પોતાની ભૂખને શાંત કરવા માટે લારી કે સ્ટોલ પર જતા લોકોને માસ્ક ન પહેરવા માટે દંડવામાં આવી રહ્યા છે. જેના બચાવમાં પોલીસ કહી રહી છે કે આ એક જરુરી પગલું છે. ખાસ કરીને ટી સ્ટોર અને નાસ્તાપાણીની લારીઓ પર વધુ ભીડને જામતી રોકવા અને મહામારીને ફેલાતી રોકવા માટે લોકોમાં કોરોના હાઈજીન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કડક નિયમની અમલવારી જરુરી છે.

 

કાકાએ જ ભત્રીજી ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યું

કાકાને પોલીસે ઝડપી પાડ્યો
માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં કામના બહાને લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર,તા.૧૫
જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં કામના બહાને લઈ જઈ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. જેથી માનસિક અસ્વસ્થ ભત્રીજીએ નવજાતને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. પીડિતાના પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે કાકાને થોડા જ કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આ મામલે મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં માનસિક અસ્વસ્થ યુવતી તેના પરિવાર સાથે જ રહેતી હતી. ૨૭ વર્ષીય આ યુવતી ભલે માનસિક અસ્વસ્થ હતી પરંતુ તેને કોઈપણ કામ કહો તે હોંશે હોંશે કરી આપતી અને તેના આ સ્વભાવને કારણે કુટુંબ અને ફળીયાના લોકો તેને કંઇકને કંઇક કામ સોંપતા. તેના આ સ્વભાવને લઈ તેના પિતાના ફોઈના દીકરા પ્રવીણ રાઠવા એટલે કે યુવતીના કૌટુંબિક કાકા તેને અવાર નવાર ખેતરમાં કામ માટે લઇ જતા હતા. પરિવારને એમ કે કાકા છે, કામ માટે બોલાવી જાય છે ખેતરમાં કામ કરતાં કરતાં કાકા પ્રવીણની દાનત આ માનસિક અસ્વસ્થ ભત્રીજી ઉપર બગડી અને તેણે ભત્રીજીની મંદ બુદ્ધિનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. પરંતુ પીડિતા મંદ બુદ્ધિની હોવાને લઈ તેણે આ બાબતે કોઈને કંઇ કહ્યું નહીં. ત્યારબાદ આ હવસખોર કાકાની હિંમત વધી ગઇ. હવસખોર આધેડ કાકાને એમ હતું કે તેની આ કરતૂતની ક્યારેય કોઈને ખબર નહીં પડે. જેથી તે અવાર નવાર તેને પોતાના ખેતરે લઈ જતો અને પોતાની હવસનો શિકાર બનાવતો. પરંતુ કહેવાય છે ને કે પાપ એક દિવસ છાપરે ચડીને પોકારે છે. દુષ્કર્મ આચર્યા બાદ માનસિક અસ્વસ્થ આ યુવતીનું પેટ વધવા લાગ્યું ત્યારે તેના માતા પિતાએ તેની આરોગ્ય તપાસ કરાવતા તે સગર્ભા હોવાની જાણ થતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ પોતાની માનસિક અસ્વસ્થ દીકરી સાથે કોણે આ કુકર્મ કર્યું હશે તેની ચિંતા તેમણે થવા લાગી. માનસિક અસ્વસ્થ દીકરીને આ વિષે તેઓ પૂછે તો કઈ રીતે પૂછે તે એમના માટે મોટો પડકાર હતો. આખરે પીડિતાની માતાએ તેને તેની સૂઝબૂઝથી પીડિતા પાસેથી આ વિષે પૂછપરછ કરી હતી. પોતાના જ ફળિયામાં રહેતો અને પીડિતાના ફોઈનો દીકરો પ્રવીણ રાઠવા જ તેનો ગુનેગાર હોવાનું સામે આવ્યું. આ દરમિયાન પીડિતાએ એક નવજાતને જન્મ આપ્યો તો પોતાની દીકરીને ન્યાય પણ અપાવવો જરૂરી છે. તેમ વિચારી પીડિતાના પિતાએ નવજાતના જન્મના બે દિવસ બાદ કવાંટ પોલીસમાં પોતાના કૌટુંબિક ભાઈ પ્રવીણ રાઠવા સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાજ નરાધમ પ્રવીણ રાઠવાને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ પોલીસે આ જઘન્ય દુષ્કર્મના આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની સાથે તેનું મેડિકલ અને સાથે નવજાત ના ડીએનએ ની તપાસ કરાવી આરોપીના ગુનાના પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.

 

૧૦ લાખ નહીં આપે તો હોસ્પિટલ નહીં ચાલવા દઉં

અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ બન્યા
પ્રકાશ પટેલ હૉસ્પિટલ ખાતે હાજર હતા તે દરમિયાન મોબાઈલ ઉપર કરણ રબારી નામની વ્યક્તિએ ફોન કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
અમદાવાદ શહેરમાં લુખ્ખાઓએ જાણે કે હવે હદ જ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. ચોરી, લૂંટ બાદ હવે ખંડણીના એક પછી એક બનાવો સામે આવી રહ્યાં છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા ડૉકટર પાસે રૂપિયા ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી છે. ડૉક્ટર તરફથી આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ડૉક્ટરની ફરિયાદ પ્રમાણે આરોપી કોણ છે અને શું કરે છે તેના વિશે તેમને કોઈ માહિતી નથી. આ ઉપરાંત આરોપી સાથે તેમણે ભૂતકાળમાં પૈસાની કોઈ લેદીદેતી પણ કરી નથી. ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા પ્રકાશ પટેલ ગઇકાલે બપોરે તેમની હૉસ્પિટલ ખાતે હાજર હતા તે દરમિયાન તેમનાં મોબાઈલ પર કરણ રબારી નામથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનાર શખ્સે જણાવ્યું હતું કે, તે લોકોની બહુ પત્તર ફાડી છે. તું મને ૧૦ લાખ રૂપિયા આપી દે. જોકે, ડૉકટરે ડર્યા વગર ફોન કરનાર વ્યક્તિે કહ્યું હતું કે, તારા જેવા મેં કેટલાય જોયા છે. હું પોલીસ ફરિયાદ કરીશ. ડૉક્ટરની આવી વાત બાદ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલી ધમકી આપી હતી કે, તું મને ૧૦ લાખ નહીં આપે તો હું જોઉં છું તારી હૉસ્પિટલ કેવી રીતે ચાલે છે. બાદમાં તેણે ફોન કાપી નાખ્યો હતો. આ મામલે ડૉક્ટરે તેનાં કમ્પાઉન્ડરને જાણ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ડૉક્ટરના કહેવા પ્રમાણે આ કરણ રબારી કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે તેની તેમને કોઈ જાણ નથી. ઉપરાંત તેની સાથે પૈસાની કોઈ લેતીદેતી કરી હોવાનો ઇન્કાર કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં ખંડણી માંગવાના બે ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં વટવામાં એક વેપારી પાસે રૂપિયા ૫૦ લાખની ખંડણી તેમજ ઓઢવમાં પણ વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope