દિલ્હીમાં ફરી લોકડાઉનની યોજના નથી : કેજરીવાલ
અન્ય જિલ્લામાં કોરોનાના કેસ વધશે તો ત્યાંની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકાડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે તમિલનાડુમાં ફરી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ વખતે ચેન્નાઈ, તિરુવલ્લૂર, ચેંગાલપેટ અને કાંચીપુરમ જિલ્લામાં ૧૯ થી ૩૦ જૂન સુધી લોકાડાઉન લાગુ રહેશે. જોકે, લોકડાઉન દરમિયાન કરિયાણાની દુકાનો, હોટલ(ફક્ત ટેક-અવે) અને જીવન જરુરી ચીજવસ્તુઓ વેચતી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે, જેના કારણે કોરોના વાયરસની બીમારીને ફેલાવો વધુ થાય નહીં તે હેતુસર રાજ્યના મુખ્યમંત્રી ફરી ચાર જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન દરમિયાન હોસ્પિટલ, લેબ્સ, ફાર્મસી સહિતની સેવાઓ ચાલું રહેશે.
મુખ્યમંત્રીના કહેવા આ સમય દરમિયાન ચુસ્ત લોકડાઉન લાગુ રહેશે, જે કોઈ લોકડાઉનનો ભંગ કરશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, જો અન્ય જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધશે તો ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકાડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દિલ્હીમાં એકવાર ફરી લોકડાઉન લાગુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં એવી કોઈ યોજના નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૨૨૪ કેસ નોંધાયા છે, જ્યારે ૫૬ લોકોના મોત થયા છે. આ સાથે દિલ્હીમાં કોરોના વાયરસની બીમારીથી કુલ ૧૩૨૭ લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૩૫૦૦૦થી ઉપર પહોંચી ગઈ છે અને હજુ કોરોના વાયરસની બીમારી વકરી રહી છે, જેના કારણે દિલ્હી સરકારની ચિંતા વધી ગઈ છે.