મુંબઈ,બોલીવુડના લોકપ્રિય કોમેડી અભિનેતા અને ગોલ્ડનભાઈના નામથી ચાહકોમાં લોકપ્રિય રઝાક ખાનનું અવસાન થયું છે. તેમના અવસાનથી ચાહકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. રઝાક ખાને અનેક યાદગાર ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. રઝાક ખાનને હાર્ટએટેકનો મોટો હુમલો થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રઝાક ખાને પોતાની કેરિયર દરમિયાન સલમાન ખાન, ગોવિંદ, શાહરુખ ખાન સાથે અનેક ફિલ્મો કરી હતી. મોડી રાત્રે ૧૨.૩૦ વાગે તેમને એટેક આવ્યો હતો. બાંદ્રાની હોસ્પિટલમાં રઝાક ખાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો પુત્ર અશદ ખાન હાલ ક્રોએશિયામાં છે. તે પરત ફર્યા બાદ તેમની દફનવિધિ નારિયેળવાડીમાં કરવામાં આવનાર છે. રઝાક શાહરુખખાન અભિનિત બાદશાહમાં માણેકચંદ, સલમાન ખાન અભિનિત હેલો બ્રધર્સમાં નિન્જા ચાચા ્ને ગોવિંદા અભિનિત અખિયોં સે ગોલી મારેમાં ટક્કર પહેલવાન તરીકે ખુબ જ લોકપ્રિય થયા હતા. તેમના ભાઈ શહેઝાદ ખાને ફેસબુક ઉપર આજે સવારે આ મુજબની જાહેરાત કરી હતી. શહેઝાદ ખાને ફોટો શેર કરતા કહ્યું હતું કે, કાર્ડિયા હુમલાના લીધે રઝાકનું અવસાન થયું છે. તેમના પુત્રની હવે રાહ જોવાઈ રહી છે.
રઝાક ખાન સૌથી પહેલા રૃપ કી રાની ચોરો કા રાજા સાથે કેરિયરની શરૃઆત કરી હતી. આ ફિલ્મ ૧૯૯૩માં આવી હતી. તેમની યાદગાર ફિલ્મોમાં ક્યા કુલ હૈ હમ સિરીઝ, બાદશાહ, રાજા હિન્દુસ્તાની, હેરાફેરી, ફિર હેરાફેરી, ભાગમ ભાગ, અખિયો સે ગોલી મારે, પ્યાર કિયા તો ડરના ક્યા, લોહા, ઇશ્કનો સમાવેશ થાય છે. આ અભિનેતાએ ૩૦૦થી પણ વધારે ફિલ્મો કરી હોવાના અહેવાલ છે. ૧૯૯૯માં રજૂ થયેલી બાદશાહમાં માણેકચંદના રોલમાં પણ રઝાક છવાઈ ગયા હતા. રૃપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ ૧૯૯૩માં સુપરહિટ સાબિત થઇ હતી જેમાં શ્રીદેવી અને અનિલ કપૂરની ભૂમિકા હતી. વર્ષ ૨૦૧૪માં આવેલી એક્શન જેક્શન રઝાકની અંતિમ ફિલ્મ હતી. રઝાકના અવસાનથી બોલીવુડમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. તમામ કલાકારાઓ પોતપોતાનીરીતે પ્રતિક્રિયાઓ આપી છે.