ટેમ્પો ચાલકની આકરી પુછપરછ હાથ ધરાઇ
ભરૃચ નજીક બે મુનિઓના અકસ્માતમાં મોતની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસને અંતે સફળતા : વધુ તપાસ જારી
(સંપૂર્ણ સમાચાર સેવા) ભરૃચ,તા. ૧૦
જૈન મુનિઓને અકસ્માતમાં મોતને ઘાટ ઉતારી દેનાર ટેમ્પોચાલકની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત આ ઘટનાનો ભેદ ઉકેલી લેવામાં પોલીસને સફળતા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. બનાવના એક સપ્તાહ બાદ જિલ્લા પોલીસને ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સમગ્ર બનાવ આકસ્મિક હોવાની બાબત સપાટી પર આવી છે. કોઇ ઇરાદાપૂર્વક જૈન મુનિઓને ટક્કર મારવામાં આવી ન હતી તેવી દલીલ ટેમ્પો ચાલકે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૃચ નજીક રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર આઠ પર નવા વર્ષની સવારમાંજ આ બનાવ બન્યો હતો. ભરૃચના ઉપાશ્રય ખાતેથી પાલિતાણા તરફ વિહાર કરી રહેલા હસ્તગિરિ વિજયજી મહારાજ અને જ્ઞાનશેખર વિજયજી મહારાજને અસુરિયા ગામ નજીક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જૈન મુનિઓ કાળધર્મ પામ્યા હતા. બનાવને લઇને ભારે હોબાળો થયો હતો. જૈન સમુદાયના લોકોએ આ બનાવની સામે જોરદાર વિરોધ કર્યો હતો. વિશા શ્રીમાળી ઘોઘારી જૈન સમાજ સાથે સંકળાયેલા અને વર્ષો પહેલા દિક્ષા લેનાર મૂળ સાવરકુંડલાના પીયાવા ગામના જ્ઞાનશેખરજી મહારાજ, ચેન્નાઇના હસ્તગિરી મહારાજ અને પ્રેમસુદંર વિજયજી મહારાજ, દક્ષિણ ગુજરાતના બિલિમોરાના મુળ રહેવાસી પારિજાત વિજયજી મહારાજ સુરતથી પાલિતાણા વિહાર માટે નિકળ્યા હતા. ૩૧મી ડિસેમ્બરના દિવસે તેઓ ભરૃચ પહોંચ્યા હતા. જ્યા તેઓ રાત્રી રોકાણ માટે રોકાયા હતા. પહેલી જાન્યુઆરીના દિવસે તેઓ આગળ વધ્યા હતા. અસુરિયા ગામ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી આવતા વાહને તેમને ટક્કર મારી હતી. જેમાં હસ્તગિરીજી મહારાજ અને જ્ઞાનશેખરજી મહારાજ સ્થળ પર જ કાળધર્મ પામ્યા હતા. આ મામલે ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અનેક વાહનોની ઓળખ કરી હતી. ટેમ્પો ચાલક અશ્વિનની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.