પ્રવીણકુમાર, ઇશાંત અને મુનાફની સાથે ભારત મેદાનમાં ઉતરવા ઇચ્છુક : અમિત મિશ્રાને પડતો મુકાય તેવી વકી
(સપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા. ૨૫
૨૭મી જુનથી શરૂ થતી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. બીજી ટેસ્ટ મેચ બાર્બડોસ ખાતે રમાનાર છે. અહીંની વિકેટ હમેશા ઝડપી બોલરોને મદદ કરતી રહી છે જેથી ભારતીય ટીમ કોઈ પણ જોખમ લઈને મેદાનમાં ઉતરવા તૈયાર નથી. કેન્સિગ્ટન ઓવલ ખાતેની વિકેટ ઝડપી બોલરો માટે મદદરૂપ થશે. વેસ્ટઇન્ડિઝના કેપ્ટન ડેરેન સમ્મીનું કહેવુ છે કે કેમર રોચ આ વિકેટ ઉપર છવાઈ જાય તેવી શક્યતા છે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ ૬૩ રને જીત્યા બાદ ૧-૦ની લીડ ધરાવે છે. જયારે વિન્ડિઝની ટીમ બીજી ટેસ્ટ મેચ કોઈ પણ સંજોગોમાં જીતીને ટેસ્ટ શ્રેણીમાં બરોબરી કરવાની ઇચ્છા ધરાવે છે. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા કોઈ વધારે પ્રયોગ કર્યા વગર ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. જયારે બીજીબાજુ વિન્ડિઝ ઉપર બીજી ટેસ્ટ મેચમાં દબાણ રહેશે. કેપ્ટન ધોની અને કોચ ડંકન ફલેચરે સંકેત આપ્યો છે કે જો મુનાફ પટેલ ફિટ થઈ જશે તો તેને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈ ચિત્ર સ્પષ્ટ થયુ નથી.
ઇશાંત શર્મા અને પ્રવીણ કુમારની જોડીને જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છેકારણ કે પ્રથમ ટેસ્ટ મેચમાં આ બંને બોલરોએ ખુબ સારી બોલીંગ કરી હતી જેના પરિણામસ્વરૂપે ભારતની જીત થઈ હતી. મુનાફના સમાવેશથી ટીમ ઇન્ડિયાની બોલીંગ તાકાતમાં વધારો થશે. જો મુનાફને ટીમમાં સામેલ કરવામાં આવશે તો લેગ સ્પિનર અમિત મિશ્રાને પડતો મુકી દેવામાં આવશે. અમિત મિશ્રાએ વેસ્ટ ઇન્ડિઝની બંને ઇનિંગ્સમાં માત્ર બે વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાના નિરાશાજનક દેખાવથી ટીમ ઇન્ડિયાના સિનિયલ ખેલાડીઓ ખુશ દેખાઈ રહ્યા નથી. કેગ્સિન્ટનની વિકેટ પર ધોની પોતે નિરિક્ષણ કરી ચુક્યો છે. ધોનીનો મત છે કે ત્રણ ઝડપી બોલરો અને સ્પેશિયાલિસ્ટ સ્પિનર હરભજનસિંહ સાથે મેદાનમાં ઉતરવામાં આવશે. હરભજન ફુલ ટાઈમ સ્પિનર તરીકે રહેશે. સુરેશ રૈના અને વિરાટ કોહલી પાર્ટ ટાઈમ બોલર તરીકે કામ કરશે. ધોનીએ બંને ઇનિંગ્સમાં ઉલ્લેખનીય બેટીંગ કરવા બદલ રાહુલ દ્રવિડની પ્રશંસા કરી હતી. સુરેશ રૈના અને હરભજનસિંહે પણ ઉપયોગી બેટીંગ કરીને ભાગીદારી નોંધાવી હતી. બોલીંગમાં પ્રવિણ અને ઇશાન શર્મા છવાઈ ગયા હતા. ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા વનડે શ્રેણી ભારતે ૩-૨થી જીતી લીધી હતી.