ઉદ્યોગપતિ રતન ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડ્યા પછી ડાબેરીઓએ સત્તા ગુમાવી : અર્જુનભાઇ મોઢવાડિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
પાંચ રાજયોની ચૂંટણીના આવેલ પરિણામોમાં ત્રણ રાજયોમાં કોંગ્રેસ અને તેના સહયોગી દળોએ વિજય મેળવ્યો છે. તે અંગે તે રાજયોના આગેવાનો, કાર્યકરો અને પ્રજાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ અભિનંદન આપ્યા છે.
મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું છે કે, આ પાંચ રાજયોમાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું છે. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકમાંથી માત્ર એક સીટ, આસામમાં ૧૨૬ માંથી ચાર બેઠક મળતાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે. જયારે કેરલમાં ૧૪૦માંથી અને તામિલનાડુમાં ૨૩૪ બેઠકમાંથી ભાજપને સમ ખાવા પૂરતી એક બેઠક પણ ન મળતાં તેનાં સૂપડા સાફ થઇ ગયાં છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ગુજરાતના મુખ્યમંત્રીએ સ્ટાર પ્રચારક તરીકે આસામ અને પશ્ચિમ બંગાળની જે જે બેઠકો ઉપર પ્રચાર કરવા ગયા તે તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે અને તેમનો સખત પરાજય થયો છે.
મોઢવાડિયાએ જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના ગઠબંધનને ૨/૩ કરતાં પણ ભારે બહુમતિ મળી છે. અને ૩૪ વર્ષ બાદ બંગાળમાંથી ડાબેરીઓનો સફાયો થયો છે. પશ્ચિમ બંગાળમાં શ્રમજીવીઓ, કામદારો, ખેડૂતો, ખેતમજૂરો વગેરેને સાથ સહકારને કારણે વર્ષો સુધી ડાબેરીઓએ પશ્ચિમ બંગાળમાં સત્તા ટકાવી રાખી હતી. પરંતુ આ ખેડૂતો, શ્રમજીવી, મધ્યમવર્ગ અને યુવાનોને ભૂલીને ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડ્યા પછી પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓએ સત્તા ગુમાવી છે. ગુજરાતમાં પણ ખેડૂતો, ખેત મજૂરો, શ્રમજીવીઓ, બેકાર શિક્ષિત યુવાનો, ઝૂંપડપટ્ટીમાં રહેનાર ગરીબ લોકોના પ્રશ્નોને નજર અંદાજ કરીને ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડનાર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ સરકારે પણ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આજે સાંજે કોંગ્રસ ભવન ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.