દેશના મુખ્ય વિરોધ પક્ષ ગણાતા ભાજપને કુલ ૮૨૪માંથી માત્ર પાંચ જ બેઠકો મળી હોવાનો શક્તિસિંહે દાવો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
દેશમાં યોજાયેલી પાંચ રાજયોની ચૂંટણીઓમાં દેશના મુખ્ય વિરોધપક્ષ ગણાતા ભાજપને કુલ ૮૨૪માંથી માત્ર પાંચ બેઠકો મળેલી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શક્તિસિંહે ગોહિલે પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભાજપના જુઠાણાઓને દેશના પાંચ રાજયોની જનતાએ જાકારો આપ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી રાષ્ટ્રીય નેતા બનવાના પોતાના સ્વપ્નાઓ લઇને પાંચ રાજયોમાં ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે સભાઓ કરવા ગયા હતા. પરંતુ તેઓએ જયાં જયાં સભાઓ કરી છે ત્યાં ત્યાં ભાજપના ઉમેદવારોનો પરાજય થયો છે. આસામમાં ગુજરાતના મુખ્યમંત્રીએ બેફામ વાણીવિલાસ કરવાના કારણે આસામના પ્રદેશ ભાજપના પ્રમુખ હારી ગયા છે. કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ બેફામ આક્ષેપો અને નીચલી કક્ષાની ભાષાનો પ્રયોગ કરનારા ભાજપને મતદારોએ સાથ આપ્યો નથી.
ભ્રષ્ટાચાર સામે ઝૂંબેશની વાત કરનારા ભાજપના બેવડા ધોરણોને પાંચ રાજયોની જનતા ઓળખી ચૂકી છે. કોંગ્રેસપક્ષે પોતાના પક્ષના કે પોતાના સાથી પક્ષના કોઇપણ મોટા નેતા સામે ભ્રષ્ટાચારનો સહેજ પણ આક્ષેપ આવ્યો તો તેમને નૈતિકતાના ધોરણે પદ પરથી દૂર કર્યા છે. તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપવાળા કોઇને પણ બચાવવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ક્યારેય પ્રયત્ન થયો નથી. ભાજપના કર્ણાટકના મુખ્યપ્રધાન હોય કે ગુજરાતમાં ચાલતો ભ્રષ્ટાચાર હોય, ભાજપ દ્વારા હંમેશા પોતાના ભ્રષ્ટાચારી નેતાઓને બચાવવાનો પ્રયત્ન થયો છે. જેને પાંચ રાજયોની જનતા બરોબર ઓળખી ચૂકી છે.