વર્ષ ૧૯૮૪ની દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતનાં ભોગ બનેલાં લોકોને મોટી પીછેહઠ : સીબીઆઇની અરજી સુપ્રીમ કોર્ટે અંતે ફગાવી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા. ૧૧
વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક હોનારત ભોપાલ ગેસ દુર્ઘટનાનાં ભોગ બનેલાં લોકોને આજે મોટી પીછેહઠ સાંપડી હતી. કારણકે સુપ્રીમ કોર્ટે ભોપાલ દુર્ઘટના કેસને ફરી ખોલવા માટેની સીબીઆઇની અપીલને ફગાવી દીધી હતી. ખૂબજ મોટી દુર્ઘટના હોવા છતાં માત્ર બે વર્ષ જેલની હળવી સજા સાથે છટકી ગયેલા આરોપીઓ સામે ખટલો ચલાવવાની માંગણી કરીને સીબીઆઇ દ્વારા અરજી કરવામાં આવી હતી. મહત્તમ દસ વર્ષની જેલની સજાની જોગવાઇ ધરાવતા કઠોર કાયદા હેઠળ સજા કરવાની માંગણી કરીને આ અપીલ કરવામાં આવી હતી. જસ્ટીસ અલ્તામસ કબીર, આર.વી.રવિન્દ્રન, બી.સુદર્શન રેડ્ડી, આફતાબ અલમની બનેલી સુપ્રીમ કોર્ટેની બચે આ ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટીસ એસ.એચ.કાપડીયાનાં નેતાૃત્વમાં આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સ્પષ્ટીકરણ જે અપાયો છે તે સંતોષજનક નથી. સીબીઆઇ દ્વારા અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે સ્પષ્ટીકરણ અપાયું છે તે સંતોષજનક નથી હોવાથી વાત માનવા જેવી નથી. ૧૪ વર્ષનાં લાંબા ગાળા બાદ આ અરજી દાખલ કરાઇ છે. બચે આ કેસનાં સંદર્ભમાં આટલા લાંબા ગાળા બાદ અરજી બાદ સીબીઆઇની પણ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટ દરરોજનાં આધારે સુનાવણી ચલાવી રહી છે. હવે ભોગ બનેલાં લોકો માટે વળતરની રકમ ૭૫૦ કરોડથી વધારીને ૭૭૦૦ કરોડ કરવા માટેની સુનાવણી ચલાવશે. સુપ્રીમ કોર્ટનાં ૧૪ વર્ષ જૂના ચુકાદાને રિકોલ કરવાની માંગ કરતી અરજી પર ૨૭મી એપ્રિલનાં દિવસે આજ બચે ચુકાદો અનામત રાખ્યો હતો, તેની અરજીમાં સીબીઆઇએ કઠોર આરોપો પુનઃ લાગુ કરવાની માંગણી કરી હતી. બીજીબાજુ મધ્યપ્રદેશ સરકારે પણ સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દરમિયાનગીરીની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૩૧મી ઓગસ્ટનાં દિવસે હળવી સજા તરફ દોરી જનાર પોતાનાં ચુકાદાની ફેરતપાસ કરવાનો નિર્ણય કર્યો હતો. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ ચેરમેન કેસુબ મહિન્દ્રા સહિત કેટલાંક આરોપીઓને જેલની સજા કરવામાં આવી હતી. આ તમામ સાત આરોપીઓને બે-બે વર્ષની સજા કરાઇ હતી.
ભોપાલ ગેસ દુર્ઘટનામાં ગયા વર્ષે સાતમી જૂનનાં દિવસે ટ્રાયલ કોર્ટે તમામ સાત દોષિતોને સાત દોષીઓને બે-બે વર્ષ જેલની સજા ફટકારી હતી. આ ચુકાદો આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. ચુકાદો આવ્યા બાદ લોકોએ જોરદાર દેખાવો પણ કર્યા હતાં. આનાં કારણે ઝૂકી જઇને સરકારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી હતી.
ગેસ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે હળવી સજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. સીબીઆઇ તરફથી હાજર થયેલાં એટર્ની જનરલ ગુલામ ઇ. વહાણવટીએ કહ્યુ હતું કે, સમગ્ર મામલામાં સમીક્ષા કરવાની માંગ કરવાનો તપાસ સંસ્થાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. આ દિશામાં ધ્યાન આપાવમાં તે જરૂરી છે. જોકે આ કેસને ફરી ખોલવાની સીબીઆઇની અરજીને ફગાવી દેવામાં આવી હતી.
ભોપાલ ગેસ દુર્ઘટનાનાં સાત દોષિતો કોણ કોણ
(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા. ૧૧
૧ કેસુબ મહિન્દ્રા (યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં પૂર્વ વડા)
૨. વિજય ગોખલે (યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં તત્કાલીન એમ.ડી)
૩. કિશોર કામદાર (તત્કાલીન ઊપપ્રમુખ)
૪. જે.એન.મુકુંદ (તત્કાલીન વર્કસ મેનેજર)
૫. એસ.બી.ચૌધરી તત્કાલીન પ્રોડકશન મેનેજર
૬. કે.બી.શેટ્ટી (તત્કાલીન પ્લાન સુપ્રિટેન્ડડેન્ટ)
૭. એસ.આઇ.કુરેશી (તત્કાલીન પ્રોડકશન આસિસ્ટન્ટ)