કેન્દ્રની સહાય મામલે મોદી વિધાનસભાનું સત્ર બોલાવ
એનડીએનાં શાસનકાળમાં સાત વર્ષમાં ડેમની ઊંચાઈ ન વધી : ભાજપ શાસનમાં ૧૫ હજાર કિમીનું કેનાલનું કામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૨
નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનાં સરકારી કાર્યક્રમોને રાજકીય પ્લેટફોર્મ બનાવી દઈને કોંગ્રેસનાં સસંદસભ્યોની ગેરહાજરીમાં કોઈ આધાર વગર વારંવાર ઝેર ઓકવાની આકરી ઝાટકણી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીમાં જો હિંમત હોય તો ગુજરાતનો વિકાસ અને કેન્દ્ર સરકારની સહાય બાબતે ચર્ચા કરવા વિધાનસભાનું એક અઠવાડિયાનું સત્ર બોલાવીને ચર્ચા કરાવે. ગુજરાતની પ્રજા મુખ્યમંત્રીનો ભ્રષ્ટાચાર અને ઉદ્યોગપતિઓ સાથેની ભાગીદારી જાણી ગઈ છે, તેનાં ઉપર ઢાંકપિછોડો કરવા મુખ્યમંત્રી કોઈ આધાર કે આંકડાઓ વગર કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરે છે.
અર્જુન મોઢવાડીયાએ મુખ્યમંત્રીને નર્મદા યોજના બાબતે સણસણતા સવાલો પૂછ્યા હતાં કે, જયારે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી ત્યારે સાત વર્ષમાં ડેમની ઊંચાઈમાં કોઈ પ્રગતિ કરી શકાઈ નહોતી.
આજે નર્મદા ડેમની ૧૨૧ મીટરની ઊંચાઈએ કમાન્ડ એરીયાના તમામ ૧૮ લાખ હેક્ટર જમીનને પાણી આપી શકાય તેમ છે. પરંતુ ભારતીય જનતા પક્ષની રાજય સરકાર છેલ્લાં ૧૭ વર્ષથી શાસનમાં હોવા છતાં કેનાલ નેટવર્ક પૂરું કરવામાં કોઈની મંજુરીની જરૂર નહોતી, છતાં ૮૫૦૦૦ કિ.મી. લાંબા કેનાલ નેટવર્કમાંથી માત્ર ૧૫૦૦૦ કિ.મી.નું કામ કરી શકાયું છે.ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં જ મુખ્યમંત્રીએ માનીતા ઉદ્યોગપતિઓને ૪ લાખ એકર જેટલી જમીન ૧૫૦ રૂપિયે એકરથી માંડીને ૧૫૦૦ રૂપિએ એકરનાં ભાવે આપી છે. એસ્સાર, એલએન્ડટી અને અદાણીને લાખો ચોરસમીટર જંગલ અને દરિયાકાંઠાની જમીન આપી દીધી.
શહેરી ગરીબો માટે યુપીએ સરકારે સ્લમ ફ્રી સીટી યોજના હેઠળ રાજીવ આવાસ યોજના હેટળ જેટલાં મકાન બાંધવા હોય તેટલાં તમામની સહાય આપવાનું નક્કી કર્યું છે.
આ ઉપરાંત ગુજરાતમાં ભારત સરકાર સંચાલિત વીજ ઉત્પાદન યુનિટો સસ્તા ભાવથી ૨૪૦૦ મેગાવોટ કરતાં વધારે વીજળી ગુજરાતને આપે છે. આ વીજળી ખેડૂતોને બદલે બીજાં રાજયોને અને મોટા ઉદ્યોગ ગૃહોને વેચી દેવાય છે. ગુજરાત સાક્ષરતાનો દર, માતા અને બાળ આરોગ્ય, ઉચ્ચ શિક્ષણની સુવિધા, આઈટી ક્ષેત્રનો વિકાસ તથા વિદેશી મૂડી રોકાણનાં ક્ષેત્રમાં ભાજપનાં ૧૭ વર્ષનાં શાસનમાં દેશનું છેવાડાનું રાજય બન્યું છે. માથાદીઠ રૂ. ૧૮૦૦૦નાં કરજ અને કુલ ૧,૨૧,૦૦૦ કરોડનાં દેવા સાથે ગુજરાત દેશનું સૌથી દેવાદાર રાજય પૈકીનું એક બન્યું.