રાંધણ ગેસમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૫૦નો કમરતોડ વધારો ઝીંકી દેવાયો
તીવ્ર મોંઘવારીની વચ્ચે વધારો તાત્કાલિક અમલી : ગરીબ અને મધ્યમ વર્ગ વધુ ભીંસમાં : ભાજપ અને તૃણમૂલે વિરોધ કરી સરકાર પર દબાણ વધાર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા. ૨૪
મોંઘવારી આસમાને છે ત્યારે સરકારે આજે ગરીબ અને મધ્યમવર્ગ તથા અન્ય તમામ લોકોની ચિંતામાં અને તકલીફમાં અનેકગણો વધારો કરી દીધો હતો. મોંઘવારી વધુ વધે તેવાં એક નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારે આજે ડીઝલ, એલપીજી ગેસ તથા કેરોસીનની કિંમતમાં કમરતોડ વધારો ઝીંકી દીધો હતો. આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મળેલી મિટીંગમાં આ અંગેનો નિર્ણય કરાયા બાદ ભાજપ સહિતનાં રાજકીય પક્ષોમાં રોષનું મોજું ફરી વળ્યું છે. ડીઝલનાં ભાવમાં લીટર દીઠ રૂપિયા ત્રણનો વધારો ઝીંકવામાં આવ્યો છે ત્યારે તમામ લોકો માટે અતિઉપયોગી એવા રાંધણગેસની કિંમતમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૫૦નો અભૂતપૂર્વ વધારો ઝીંક્યો હતો. પેટ્રોલિયમ પ્રધાન એસ.જયપાલ રેડ્ડીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કેરોસીનની કિંમતમાં લીટર દીઠ રૂપિયા બેનો વધારો કરાયો છે. એમપાવર્ડ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ આજે બપોરે યોજાનાર હતી પરંતુ ગૂંચવણનાં કારણે કેટલાંક કલાકો સુધી આ બેઠકને ટાળી દેવામાં આવી હતી. મતભેદો ગંભીર રીતે ઉભરીને સપાટી પર આવ્યા હતાં. જોકે સરકાર ભાવ વધારા પર મક્કમ રહી હતી. યુપીએનાં સાથી તૃણમૂલ કોંગ્રેસે ભાવ વધારાનો વિરોધ કર્યો છે. નાણાપ્રધાન પ્રણવ મુખર્જીનાં નેતૃત્વમાં મળેલી ઈજીઓએમની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું છે કે, તેઓ ભાવ વધારાને ટેકો આપતાં નથી. ભાવ વધારાથી કટોકટીનો સામનો કરી રહેલી ઓઈલ કંપનીઓને ફાયદો થશે કારણકે ફયુઅલની કિંમતો માર્કેટ રેટ કરતાં ઓછઈ હતી. ડીઝલ ઉપર લીટર દીઠ રૂપિયા ૧૫, કેરોસીન ઉપર લીટર દીઠ ૨૭ અને સિલિન્ડર પર ૩૮૧ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં એસ. જયપાલ રેડ્ડી પ્રણવ મુખર્જીને મળ્યાં હતાં. ડીઝલની કિંમતાં જુન ૨૦૧૦માં રૂપિયા બે નો વધારો કરાયો હતો જયારે એલપીજીની કિંમતમાં રૂપિયા ૩૫નો વધારો કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષના લાંબા ગાળા બાદ ડિઝલ, રાધણગેસ અને કેરોસીનની કિમતમાં વધારો કરવામાં આવ્યો છે. રિફાઈનર્સ દ્વારા પણ લિક્વીડીટી કટોકટીનો સામનો કરવામાં આવી રહ્યો છે. માર્કેટ ધીરાણની રકમ માર્ચ મહિનામાં ૯૭૦૦૦ કરોડથી વધીને ૧૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. જો આવુ થશે તો ફયુઅલની અછત ઉભી થઈ શકે છે. ફયુઅલની કિંમતોમાં વધારો કરવા જેની પાસે સત્તા છે તે એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મિનિટર્સની મિટિંગ આજે મળી હતી. કેરોસીનમાં લીટરદીઠ ૨૭.૪૭ અને રાંધણ ગેસમાં સિલિન્ડર દીઠ ૩૮૧ રૂપિયાના વધારાની માંગણી કરવામાં આવી હતી. સરકારે મોંઘવારી વચ્ચે મતદારોમાં ભારે નારાજગી ફરી વળશે તેવી દહેશતના લીધે છેલ્લા એક વર્ષથી ડિઝલ, રાંધણગેસ અને કેરોસીનની કિમતમાં વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ આજે કોઈ વિકલ્પ ન રહેતાં સરકારે તીવ્ર ભાવ વધારો ઝીંકી દીધો હતો. સરકારે છેલ્લે ૨૫ જૂન ૨૦૧૦ના દિવસે રાજકીય રીતે સંવેદનશીલ ફયુઅલની કિમંતમાં વધારો કર્યો હતો, તે વખતે કેરોસીનમાં લીટરદીઠ રૂપિયા ત્રણ, ડિઝલમાં લીટરદીઠ રૂપિયા બે અને રાધણ ગેસમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૩૫નો વધારો કર્યો હતો. ક્રુડની કિમત ૭૫ ડોલરથી વધીને હવે ૧૧૦ સુધી થઈ ગઈ છે. ૨૫મી જુનથી પેટ્રોલ માટે ભાવ સ્વતંત્રતા મેળવનાર ઓઈલ કંપનીઓને પણ આશા છે કે પેટ્રોલમાં પણ ભાવ વધારો કરવામાં આવશે. તેઓ લીટરદીઠ રૂપિયા બેનો વધારો કરવાની માંગણી કરી ચુક્યા છે. બીજીબાજુ ઓઈલ કંપનીઓએ ગયા વર્ષે પેટ્રોલની કિંમત અંકુશ મુક્ત કરાયા બાદથી ૧૦ વખત ભાવ વધારો કરી ચુક્યા છે.
ઓઈલ મંત્રાલયના અધિકારીઓનું કહેવુ છે કે આઈઓસી, બીપીસીએલ અને એપપીસીએલને ઓછી કિંમતે ફયુઅલ વેચવાના કારણે દરરોજ ૪૫૦ કરોડ રૂપિયાનું નુકશાન થઈ રહયુ છે.
તીવ્ર ભાવ વધારો……
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૨૪
* ડીઝલની કિંમતમાં લીટર દીઠ રૂપિયા ત્રણનો વધારો કરાયો
* રાંધણ ગેસની કિંમતમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૫૦નો વધારો ઝીંકાયો
* કેરોસીનની કિંમતમાં લીટર દીઠ રૂપિયા ૨ નો વધારો કરાયો
* એમપાવર્ડ ગ્રુપની મિટીંગમાં નિર્ણય કરાયો
* મિટીંગ બપોરે મળનાર હતી પરંતુ મતભેદોને કારણે સાંજે મળી
* મમતા બેનર્જીએ ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કર્યો
* ભાજપે ભાવ વધારા સામે વાંધો ઉઠાવ્યો
* ડીઝલ ઉપર લીટર દીઠ હાલ રૂપિયા ૧૫નું નુકસાન થઈ રહ્યું હતું
* કેરોસીન ઉપર ઓઈલ કંપનીઓને લીટર દીઠ રૂપિયા ૨૭નું નુકસાન થઈ રહ્યું હતું
* સિલીન્ડર ઉપર ૩૮૧ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું
* છેલ્લે ડીઝલ અને એલપીજીની કિંમતમાં જુન ૨૦૧૦માં વધારો કરાયો હતો
* ઓઈલ માર્કેટની કંપનીઓને અભૂતપૂર્વ નુકસાન થઈ રહ્યું હતું જેમાં દરરોજ ૪૫૦ કરોડનું નુકસાન થઈ રહ્યું હતું