સર્વેમાં ચોંકાવનારી હકીકત બહાર આવી
કેટલાકની નોકરી ગઇ તો કેટલાકના પગારમાં ધરખમ કાપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
કોરોનાને કારણે દેશમાં થયેલા લોકડાઉનની અસર મોટી વયના લોકોની આજીવિકા પર સૌથી વધુ પડી છે. આશરે ૬૫ ટકા લોકો તેની અસર હેઠળ આવી ગયા છે. આ ગાળામાં કેટલાકના કામ બંધ થઇ ગયા છે અથવા તો તેમના પગારમાં ધરખમ કાપ મુકાયા છે તેમ એક નવા અભ્યાસમાં જણાવાયું છે. ’વર્લ્ડ એલ્ડર એબ્યુઝ એવારનેસ ડેના દિવસે ’ધ એલ્ડર સ્ટોરીઃ ગ્રાઉન્ડ રીએલ્ટી ડ્યુરિંગ કોવિડ ૧૯’ રિલીઝ થઇ હતી. આ અભ્યાસ હેલ્પએજ દ્વારા હાથ ધરાઇ હતી. જેમાં ૧૭ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના ૫,૦૯૯ની મોટી વયની વ્યક્તિઓનો સર્વે કરાયો હતો. એવું જાણવા મળ્યું છે કે જેમની આજીવિકાને અસર થઇ છે તે ૬૫ ટકા મોટી વયની વ્યક્તિઓમાં ૬૭ ટકા લોકો ૬૦-૬૯ વર્ષની વયજૂથના છે. એ પછી ૨૮ ટકા લોકો ઓલ્ડ-ઓલ્ડ કેટેગરી (૭૦-૭૯ વર્ષ)ના છે અને પાંચ ટકા લોકો ’વયોવૃદ્ધ જૂથ’ના (૮૦ ઉપરના) છે. અભ્યાસમાં ઉમેરાયું છે કે ’આશરે ૭૧ ટકા વૃદ્ધ પ્રતિવાદીઓએ કહ્યું છે કે લોકડાઉનને કારણે તેમના પરિવારના મોભીની આજીવિકાને અસર થઇ છે. આમાંથી ૬૧ ટકા લોકો ગ્રામ્ય વિસ્તારોના છે, જ્યારે ૩૯ ટકા લોકો શહેરી વિસ્તારોના છે.’ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે લોકડાઉનને કારણે ૪૨ ટકા મોટી વયની વ્યક્તિઓની આરોગ્યની સ્થિતિ વણસી હતી. આમાં ૬૪ ટકા લોકો ગ્રામ્ય વિસ્તારોના હતા. તેની સામે શહેરી વિસ્તારોના ૩૬ ટકા લોકો છે. આમાં પણ ૬૧ ટકા લોકો ઓછી મોટી વયના હતા, જ્યારે ૩૧ ટકા લોકો થોડાક વધુ વયના હતા જ્યારે આઠ ટકા લોકો વયોવૃદ્ધ છે. અભ્યાસમાં ઉમેરાયું છે કે લોકડાઉનને કારણે ૭૮ ટકા વૃદ્ધોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવવામાં રાષ્ટ્રીયસ્તરે ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ લોકોને જીવનજરૂરી જે ચીજો અને સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી તેમાં ભોજન, ગ્રોસરી અને દવાઓ મુખ્યત્વે હતા. એ પછી તેમને નોકરો અને બેન્કિંગ સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી. અભ્યાસમાં ઉમેરાયું છે કે ’ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિવાદીઓમાં જોઇએ તો ૮૪ ટકા વૃદ્ધોને આવશ્યક ચીજો અને સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી અને શહેરમાં ૭૧ ટકા લોકો મુશ્કેલીમાં હતા. ૬૧ ટકા લોકોને ઘરમાં કેદ થયાનો અને તેમના ઘરોમાં સામાજિકરીતે અલગ પડી ગયાનો અનુભવ થયો હતો.’ રિપોર્ટમાં જણાવાયું છે કે ’અહીં ગ્રામ્ય-શહેરી વિતરણનું માળખું સમાન છે.’ હેલ્પએજ ઇન્ડિયાના સીઇઓ રોહિત પ્રસાદે કહ્યું હતું કે મોટી વયની વ્યક્તિઓને ત્રણ જાતના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમને ત્રણ મોરચે લડાઇ લડવાની હતી. જેમાં આરોગ્યનું વધુ જોખમ, સોશિયલ આઇસોલેશનના પડકારો અને આવક ઘટી જતાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડી હતી. પ્રસાદે ઉમેર્યું હતું કે કોઇ યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ ન હોવાથી ભારતમાં મોટાભાગના વૃદ્ધોને તેમનું ઘર ચલાવવા માટે કામ કરવું પડ્યું હતું. જોકે આમાંના મોટાભાગના લોકો અસંગઠિત ક્ષેત્રના છે.