ભારત હાલ ડેન્જર ઝોનમાં : ૧૫ દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ આવી શકે
૧૭ દેશ એવા છે જ્યાં અર્થતંત્રને ફરી શરૂ કરવાની પ્રક્રિયા સાચા રસ્તે છે અને ત્યાં કોરોનાના બીજા ચરણ એટલે કે સેકન્ડ વેવને કોઈ સંકેત જોવા મળતા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૦
કોરોનાના સંકટ અંગે એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં લોકડાઉનમાં અપાયેલી છૂટછાટોને કારણે ચેપગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. ભારત સહિત દુનિયામાં આવા ૧૫ દેશો છે જ્યાં છૂટછાટોને કારણે સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે અને તેના કારણે ફરીથી લોકડાઉન લાગુ કરવું પડી શકે છે. આ દાવો નોમુરા રિસર્ચ સંસ્થાએ તેના અભ્યાસમાં કર્યો છે. રિસર્ચમાં લોકોની અવર-જવર અને કેસ વધવાનો આધાર બનાવવામાં આવ્યો છે જેના કારણે નવા કેસ વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમારા વિજ્યૂઅલ ટૂલે જે પરિણામ આપ્યાં છે તે મુજબ ૧૭ દેશ એવા છે જ્યાં અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરવાની પ્રક્રિયા સાચા રસ્તે એટલે કે ઓન ટ્રેક છે અને ત્યાં કોરોનાના બીજા ચરણ એટલે કે સેકન્ડ વેવને કોઈ સંકેત જોવા મળતા નથી. રિપોર્ટ અનુસાર ૧૩ દેશોમાં કોરોના ફરી પરત ફરવાની આશંકા લાગી રહી છે અને ૧૫ દેશ એવા છે, જયાં સેકન્ડ વેવ આવવાની પૂરી આશંકા છે. રિસર્ચ અનુસાર, લૉકડાઉનમાં છૂટ આપવાથી બે પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. પહેલાં સ્થિતિ સારી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા જેવા દેશમાં લૉકડાઉનમાં છૂટ આપ્યા બાદ લોકોની અવર-જવરમાં વધારો થયો અને રોજના કેસોમાં સામાન્ય વધારાની સાથે વ્યવસાયિક સેવાઓ શરૂ થઈ ગઈ છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ખતમ થયો છે અને લોકોની આવક વધી રહી છે. જેમ-જેમ નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવશે લોકોની વચ્ચે પોઝિટિવ ફીડ બેક જશે. તેનાથી ઉલટું, બીજી પરિસ્થિતિ ખરાબ છે. જ્યાં કોરોના કર્વ ફ્લેટ નથી અને રોજ નવા કેસ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. એવામાં લોકોની અંદર ભય કાયમ છે અને લોકોની અવર-જવર ઘણી ઓછી થઈ રહી છે. ગંભીર સ્થિતિમાં કેટલાક સ્થળો પર ફરીથી લૉકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. વિશ્લેષણ હેઠળ ૪૫ દેશોને સામેલ કરવામાં આવ્યા છે જેમાં ત્રણ સમૂહ બનાવવામાં આવ્યા છે. જેમા પહેલું છે ઓન ટ્રેક એટલે કે સાચા રસ્તે. બીજું છે ચેતવણી એટલે કે ર્વોનિંગ સાઇન અને ત્રીજું ડેન્જર ઝોન છે. ભારત ડેન્જર ઝોનમાં છે. ભારતની સાથે ઇન્ડોનેશિયા, ચિલી અને પાકિસ્તાન, સ્વીડન, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને કેનેડા જેવા દેશ સામેલ છે. દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, તેમ છતાં લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે. ચાર તબક્કામાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું છતાં દેશમાં કોરોના વાયરસની બીમારીના કેસો સતત વધી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈને હવે ગોવામાં લોકોએ એક મોટો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસોને પગલે ગોવાના સત્તારી અને બિચોલિમના કેટલાક ગામોએ નક્કી કર્યું છે કે આગામી ચાર દિવસ સુધી સ્વયં લોકડાઉન રાખવામાં આવશે. સત્તારીનું કેરી ગામ જે કર્ણાટકની સરહદે આવેલું છે, આ ગામમાં મંગળવારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારબાદ તમામ ગતિવિધિ બંધ છે. બિચોલિમ તાલુકાના પાલ ગામ અને સંખલિમ વિધાનસભા ક્ષેત્રની તમામ દુકાનો પણ બંધ રહી છે. આ સિવાય કેરી અને અન્ય ગામોમાં ચાર દિવસ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ મામલે રાજ્યના આરોગ્ય સચિવ નીલા મોહનને કહ્યું કે ગામના લોકોએ જાતે લોકડાઉન લાગુ કરવાની કોઈ આવશ્યકતા નથી.