અલકાયદાની મદદથી ઘાતક હથિયારો મેળવે તેવી દહેશત
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા.૧૧
જુલાઇ ૨૦૦૬માં મુંબઇમાં થયેલા ટ્રેન બોમ્બ બ્લાસ્ટ મામલામાં જે લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે લશ્કરે-તોયબાનાં લીડરો પૈકીનાં એક એવા આરીફ કસમાની તેનાં અલકાયદા સાથેનાં સંબંધોનાં કારણે સામૂહિક વિનાશનાં જૈવિક હથિયારો અને એન્થ્રેકસ મેળવવા ભારતીય ત્રાસવાદી સંગઠનોની મદદ કરી રહ્યો હોવાનાં ચાકાવનારા અહેવાલ મળ્યા છે. પાકિસ્તાની બિઝનેસમેન અને ગુવાનટેનામો ખીણમાં અટકાયતી સેફુલ્લા પરાચાની પૂછપરછ કરાયા બાદ જે અહેવાલ તૈયાર કરાયો છે તે ખૂબ ચાકાવનારો છે. આમાં જાણવા મળ્યું છે કે લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ અમેરિકા સ્થિત એન્થ્રેકસ ત્રાસવાદી સાથે સંપર્કમાં છે. તોયબાનાં ત્રાસવાદીઓ સામૂહિક વિનાશનાં હથિયારો મેળવવા સક્રિય થયા છે. કસમાની સહિતનાં ચાર શખ્સોની સંપત્તિ વર્ષ ૨૦૦૬માં મુંબઇ ટ્રેન બ્લાસ્ટમાં સંડોવણી બદલ અમેરિકા દ્વારા ફ્રિજ કરી દેવામાં આવી હતી. અમેરિકી જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, કસમાનીની વર્ષ ૨૦૦૭માં સમજોતા બ્લાસ્ટમાં પણ ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. સરગોધાનાં બિઝનેસમેન પરાચાએ વર્ષ ૨૦૦૮માં અમેરિકી સત્તાવાળાઓ સમક્ષ જણાવ્યું હતું કે, લશ્કરે તોયબાનો કસમાની અમેરિકા સ્થિત ફાર્માસિસ્ટ પાસેથી એન્થ્રેકસ અને અન્ય જૈવિક હથિયારો મેળવવાની તૈયારીમાં હતો. સૂત્રોએ કહ્યું છે કે આ રિપોર્ટ ખૂબ ખતરનાક છે.
લશ્કરે તોયબા અને અલકાયદાનાં આતંકવાદીઓ નજીકની સાંઠગાંઠ રહેલી છે. મુંબઇ ટ્રેન બ્લાસ્ટ કેસમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા હતાં. ભારતીય સંસ્થાઓ આ બાબતથી વાકેફ છે કે આતંકવાદીઓનાં ઇરાદા ખૂબ ખતરનાક છે. પાકિસ્તાનમાં હજુ પણ મોટી સંખ્યામાં કેમ્પ ચાલી રહ્યા છે. ૪૨થી વધુ આતંકવાદી કેમ્પ હાલ સક્રિય છે અને ૭૦૦ જેટલાં ત્રાસવાદીઓ તાલિમ મેળવી રહ્યા છે એવા અહેવાલ તાજેતરમાં જ પ્રકાશિત કરાયા હતાં.