પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપીને પનામા ગેટ મામલામાં વડાપ્રધાન નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા. આની સાથે જ તેમને આજીવન માટે વડાપ્રધાન પદ માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. દેશની સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યા બાદ નવાઝ શરીફે તરત જ વડાપ્રધાન હોદ્દાથી રાજીનામુ આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નવાઝ શરીફનું રાજકીય ભાવિ પણ ખતમ થઇ ગયું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શરીફ અને તેમના પરિવારની સામે કેસ દાખલ કરવા માટે પણ આદેશ આપી દીધા છે. વડાપ્રધાન તરીકે નવાઝ શરીફની આ ત્રીજી અવધિ હતી. આશ્ચર્યની બાબત એ છે કે, ત્રણેય વખત નવાઝ શરીફ પોતાની અવધિને પૂર્ણ કરી શક્યા નથી. ૧૪મી ઓગસ્ટના દિવસે પાકિસ્તાનની સ્થાપનાના ૭૦ વર્ષ પુરા થઇ રહ્યા છે. આટલા લાંબા ગાળામાં પણ લોકશાહીરીતે ચૂંટાયેલા પાકિસ્તાનના કોઇપણ વડાપ્રધાન પોતાની અવધિને પરિપૂર્ણ કરી શક્યા નથી.
ચુકાદો આપતા જજાની બેંચે કહ્યું હતું કે, પાકિસ્તાની સંસદ અને અદાલતો પ્રત્યે નવાઝ શરીફ ઇમાનદાર રહ્યા નથી જેથી તેઓ વડાપ્રધાન પદ ઉપર રહી શકે નહીં. પાકિસ્તાની બંધારણની કલમ ૬૨ અને ૬૩ના આધાર પર સુપ્રીમ કોર્ટે ૫-૦ બહુમતિથી નવાઝ શરીફને વડાપ્રધાન પદ માટે અયોગ્ય જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૮મી જુલાઈના દિવસે કરવામાં આવેલી ટિપ્પણીથી આ બાબત સ્પષ્ટ થઇ ગઇ હતી ક નવાઝ શરીફ સામે આગામી દિવસો ખતરનાક રહી શકે છે. તેમની સામે કોર્ટે બે વિકલ્પ મુક્યા હતા. એક વિકલ્પ એ હતો કે, આ કેસ સાથે જાડાયેલા તથ્યોને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટ પોતે ચુકાદો આપે અથવા તો આ મામલો નેશનલ એકાઉન્ટએબિલીટીને સોંપી દેવામાં આવે.
ચુકાદો આપતા જસ્ટિસ એઝાઝ અફઝલે કહ્યું હતું કે, નવાઝ શરીફ હવે પાકિસ્તાની સંસદમાં ઇમાનદાર અને સમર્પિત સભ્ય હોવાને યોગ્ય નથી. કોર્ટે મરિયમહસન, હસન, હુસૈન અને ઇશાક દારની સામે મામલાની તપાસ કરવા માટે આદેશ કર્યો છે. એનએબી પાકિસ્તાનને ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા છે જે સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા છે. આનુ કામ ભ્રષ્ટાચાર સાથે જાડાયેલા મામલામાં તપાસ કરવાનું રહ્યું છે. હજુ આ સ્પષ્ટતા થઇ નથી કે, સત્તાની જવાબદારી હવે કોને સોંપવામાં આવનાર છે. અગાઉ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પનામાગેટના મામલામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આખરે દોષિત જાહેર કરી દેતા ખળભળાટ મચી ગયો હતો.
નવાઝ શરીફને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ તેઓ હવે વડાપ્રધાનપદ માટે અયોગ્ય થઇ ગયા હતા. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમ સંખ્યા એકમાં પાંચ સભ્યોની ખંડપીઠે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પાંચ જજની સંમતિની સાથે આ ચુકાદો જાહેર કરવામા ંઆવ્યો હતો. આ નિર્ણયની ગંભીરતાને ધ્યાનમાં લઇને ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં સાવચેતીના પગલા રૂપે હાઇ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અને પાકિસ્તાની સંસદની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. કોઇ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પગલા લેવામાં આવ્યા હતા.
કોર્ટની બહાર ૩૦૦૦ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. અર્ધ લશ્કરી દળોને ફરજ પર લેવામાં આવ્યા હતા. ગુરૂવારના દિવસે સાંજે સુપ્રીમ કોર્ટ ઓફિસે શુક્રવારના દિવસે પનામા ગેટ પર ચુકાદા આપવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ આસિફ સઇદ ખોસાના નેતૃત્વમાં બનેલી પાંચ સભ્યોની બેંચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પાકિસ્તાનની રાજનીતિમાં હમેંશા અસ્થિરતા રહી છે. નવાઝ શરીફને ગેરલાયક જાહેર કરવામા ંઆવ્યા બાદ તેમની પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.