શબાના આઝમીએ આપી એવોર્ડની જાણકારી
અખ્તરને એવોર્ડ તર્કસંગત વિચાર, ધર્મનિરપેક્ષતા, માનવ વિકાસ, માનવીય મૂલ્યોને મહત્ત્વ આપવા માટે મળ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૮
બોલિવુડના દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તરના ફેન્સ માટે ખુશખબરી આવી છે. પીઢ ગીતકારને રિચર્ડ ડોકિન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પહેલા ભારતીય બન્યા છે. જાવેદ અખ્તરના પત્ની શબાના આઝમીએ ટિ્વટ કરીને આ એવોર્ડ વિશે જાણકારી આપી છે. શબાનાએ ટિ્વટ કરીને કહ્યું કે, જાવેદ અખ્તરે રિચર્ડ ડોકિન્સ એવોર્ડ પોતાની ક્રિટિકલ થિંકિંગ, ધાર્મિક જડતા માટેની સ્ક્રૂટની, માનવ પ્રગતિ અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા માટે જીત્યો છે. જાવેદ અખ્તરને રિચર્ડ ડોકિન્સ એવોર્ડ તર્કસંગત વિચાર, ધર્મનિરપેક્ષતા અને માનવ વિકાસ અને માનવીય મૂલ્યોને મહત્ત્વ આપવા માટે મળ્યો છે. બોલિવુડ સેલેબ્સ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી રહ્યા છે. નોંધનીય છે કે, રિચર્ડ ડોકિન્સ એવોર્ડ વર્ષ ૨૦૦૩થી આપવામાં આવી રહ્યો છે. આ એવોર્ડ તેવા વ્યક્તિને આપવામાં આવે છે. જે જાહેર રીતે તર્કસંગત, ધર્મનિરપેક્ષતાના મૂલ્યો અને સાઈન્ટિફિક ટ્રૂથને જાળવી રાખવાની જાહેરાત કરતો રહે છે. એવોર્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સાયન્સ અને પબ્લિક અંડરસ્ટેન્ડિંગના પ્રોફેસર રિચર્ડ ડોકિન્સના નામે અપાય છે.