કોરોનાની મહામારી, વરસાદનો માર અને હવે ભૂકંપનો ડર
૨.૪, ૪.૬ અને ૩.૬ની તિવ્રતા વાળા આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉની નજીક, લોકો બહાર આવ્યા, ગ્રામ્ય વિસ્તારોના મકાનોમાં તિરાડ પડ્યાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ , તા. ૧૫
રવિવારે રાતે આવેલા ૫.૩ના તિવ્ર ભૂકંપ બાદ સોમવારે કચ્છના ભચાઉમાં ફરી ધરા ધ્રૂજી હતી. બપોરે ૧૨ઃ૩૦થી ૧ વાગ્યા સુધીના સમય ગાળામાં ત્રણ કંપનો અનુભવાયા હતા. એમાંય પાંચ મિનિટના અંતરમાં બે મોટા આંચકા અનુભાવાયા હતા. ૧૨ઃ૫૭ વાગે ૪.૬ તથા ૧ઃ૦૧ વાગે ૩.૬ની તિવર્તાનો આંચકો આવ્યો હતો. આ તમામનું કેન્દ્રબિંદુ ભચાઉની આસપાસ રહ્યું હતું. ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ભચાઉ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોને તિરાડો પડી હોવાનું પણ જાણવા મળ્યું છે. સોમવારે પ્રથમ આંચકો ૧૨ઃ૩૩ આવ્યો હતો અને તેની તીવ્રતા ૨.૪ હતી. કેન્દ્રબિંદુ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ હતું. બીજો આંચકો ૧૨ઃ૫૭એ આવ્યો હતો જેની તીવ્રતા ૪.૬ રિક્ટર સ્કેલની હતી અને ભચાઉથી ૧૫ કિમી દૂર ઉત્તર-ઉત્તરપૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. ત્યારબાદ ત્રીજો આંચકો ૧ઃ૦૧ મિનિટે આવ્યો હતો જેની તીવ્રતા ૩.૬ રિક્ટર સ્કેલ પર હતી અને કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૧ કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં હતું. કચ્છમાં ભૂકંપ આવ્યા પછી ૬ આફટર શોક આવ્યાં. ઈન્ડિયન સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટએ આ માહિતી આપી. કચ્છના ભચાઉમાં રવિવારે રાતે ૮.૧૩ વાગ્યે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારબાદ ૬ આફટર શોક આવ્યા હતાં. પહેલો આફટરશોક રાતે ૮.૧૯ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો, બીજો આફ્ટરશોક ૮.૩૯ વાગ્યે ૨.૯ની તીવ્રતાનો, ત્રીજો આફ્ટર શોક ૮.૫૧ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો, ચોથો આફ્ટરશોક ૮.૫૬ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો, જ્યારે પાંચમો આફ્ટરશોક ૧૦.૦૨ વાગ્યે ૩.૭ની તીવ્રતાનો, અને છઠ્ઠો આફ્ટરશોક ૧૦.૦૪ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં રવિવારે રાતે ભૂકંપનાં આંચકા અનુભવાયા. ૫.૩ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો. અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં મોટા ભાગનાં મહાનગરોમાં ધરતીકંપનો અનુભવ થયો. તીવ્રતા અનુસાર કોરોનાના સંકટ વચ્ચે ધરતીકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, કોરોનાના સંકટનાં કારણે લોકો એકત્ર થઈ શકે તેમ નથી તો બીજી તરફ ધરતીકંપ આવવાનાં કારણે હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેવું પણ હિતાવહ નથી. જેનાં કારણે હાલ લોકોમાં ભારે અવઢવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આજના ભૂકંપનું એપી સેન્ટર ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપની નજીક જ હતું. સિસ્મોલોજી સેન્ટરના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંતોષકુમારે જણાવ્યું હતું કે, આફ્ટરશોક હજુ આવી શકે છે. રાત્રે ૮.૧૩ મિનિટે આવેલો ભૂકંપ ૫.૩ની તીવ્રતાવાળો હતો ત્યારબાદ ચારથી વધુ આફ્ટરશોક અનુભવવામાં આવ્યા છે. આ પ્રકારે આફ્ટરશોક એક અઠવાડિયાથી દસ દિવસ સુધી આવી શકે છે. ગુજરાતમાં છેલ્લે જૂન ૨૦૧૨ના રોજ ૫.૧ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ એક સપ્તાહ સુધી આફ્ટરશોક અનુભવાયા હતા. સિનિયર સાયન્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે, ભૂતકાળના અનુભવો ઉપરથી જાણવા મળે છે કે એકવાર કોઈ મોટો ભૂકંપ આવે તો ત્યારબાદ નજીકના ભવિષ્યમાં બીજો કોઈ મોટો ભૂકંપ નથી આવતો. આમ છતાં ભૂકંપની ભવિષ્યવાણી કરવી શક્ય નથી તેવી વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી.