બોલિવૂડે છેલ્લા માસમાં ઈરફાન-ઋષિ ગુમાવ્યા
વાજિદે ત્રણ મહિના પહેલાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી : રવિવારે રાતે ફરી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧
વર્ષ ૨૦૨૦ બોલિવૂડ માટે આંચકો આપનારું છે. ગયા મહિને ઇરફાન ખાન અને ઋષિ કપૂરનું નિધન થયું હતું અને હવે પ્રખ્યાત સંગીતકાર અને ગાયક વજિદ ખાનના નિધનનો સમાચાર આવી રહ્યા છે. સાજિદ-વાજિદ જોડી તરીકે જાણીતા સંગીતકાર વાજિદ ખાને મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બોલિવૂડ આઘાતમાં છે બોલિવૂડના તેજસ્વી સંગીતકારો અને ગાયકોમાંના એક વાજિદે ૪૨ વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. એક અહેવાલ મુજબ, વાજિદ ખાન કિડનીની બિમારીથી પીડિત હતો અને છેલ્લા ઘણા દિવસોથી મુંબઇની હોસ્પિટલમાં દાખલ હતો. ૩ મહિના પહેલા તેણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી પરંતુ ફરી એકવાર સમસ્યાના કારણે તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે મોડી રાત્રે તેમની તબિયત અચાનક વણસી ગઈ હતી અને તેમનું મોત નીપજ્યું હતું. કમ્પોઝર સલીમ મર્ચન્ટે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. સલીમ વાજિદના નજીકના મિત્રોમાંનો એક છે. તેમને શંકાસ્પદ કોરોના હોવાનું જાણવા મળી રહ્યું છે. વાજિદને મુંબઈની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતાં, જ્યાં તેઓ વેન્ટિલેટર પર હતાં. જો કે, તેમના મૃત્યુના કારણની હજુ સત્તાવાર રીતે પુષ્ટિ નથી થઈ શકી. બોલિવુડની દબંગ, વોન્ટેડ, જય હો સહિતની અનેક ફિલ્મોમાં મ્યુઝિક આપનારા વાજિદને છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની પણ સમસ્યા હતી. સાજિદ-વાજિદ યુપીના સહાનપુરના વિખ્યાત તબલાવાદક શરાફત અલી ખાનના દીકરા છે. વિશાલ દદલાણી, હર્ષદીપ કૌર, સ્વરા ભાસ્કર, સેલિના જેટલી તેમજ અન્ય લોકોએ પણ વાજિદને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.