૨ ટકા વ્યાજે ૧ લાખની લોન લોકો સાથે છેતરપિંડી
બેન્કો દ્વારા ફોર્મમાં ૧૦ પુરાવા અને બે લોકોના જામીન અને તેમના ફોટોગ્રાફ સાથેની વિગતો માગવામાં આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
નાના વેપારીઓ અને ઓછી આવક ધરાવતા લોકોને લોકડાઉનમાં કામધંધા બંધ થઈ જતાં બે ટકા વ્યાજે એક લાખ સુધીની લોન આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. જો કે, આ મામલે સુરત સ્થિત એક્ટિવિસ્ટ દ્વારા સીએમ વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી પર લોકો સાથે વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ કરી લીગલ નોટિસ મોકલવામાં આવી છે. સંજય એઝહાવા નામના એક્ટિવિસ્ટે પોતાના વકીલ ગિરીશ હરેજા મારફતે ૨૩મે ના રોજ લીગલ નોટિસ મોકલી હતી અને સાત દિવસમાં તેનો જવાબ માગ્યો હતો. તેમની માગ છે કે સરકારે લોન મેળવવા ઈચ્છતા લોકો પાસેથી કોઈના જામીન માગ્યા સિવાય પ્રાઈવેટ બેન્કો મારફતે રકમની ફાળવણી કરવી જોઈએ. વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની ૧૪મી મેના રોજ જાહેરાત કરી હતી. જેમાં દાવો કરાયો હતો કે લોકડાઉનને કારણે આવક ગુમાવનારા દસેક લાખ જેટલા નાના વેપારીઓ અને કારીગરોને આ યોજનાને મારફતે એક લાખ રૂપિયા સુધીની લોન મળશે. રૂપાણીએ તો એવો દાવો પણ કાર્યો હતો કે આ લોન લેવા માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે, અને કોઈ જામીન (ગેરંટી) આપ્યા વિના જ તેનો લાભ લઈ શકાશે. જો કે, સહકારી બેન્કો દ્વારા અપાતા ફોર્મમાં ૧૦ જેટલા પુરાવા અને બે લોકોના જામીન અને તેમના ફોટોગ્રાફ સાથેની વિગતો મગાતી હોવાનું બહાર આવ્યું હતું. અરજકર્તા પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ આખા પરિવારની વિગતો, આવકનું પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારાનું પ્રમાણપત્ર, શ્રમયોગી નંબર, એડવાન્સ ચેક જેવી વિગતો મગાય છે. સીએમ આ યોજનાની જાહેરાત કરતાં જે દાવો કર્યો હતો તેની વિરુદ્ધ બેન્કો ઢગલાબંધ પુરાવા અને જામીન માગી રહી હોવાથી લોકોમાં પણ
રોષ જોવા મળી રહ્યો છે. રૂપાણી સરકારને આ અંગે લીગલ નોટિસ મોકલનારા સંજય એઝહાવાએ જણાયું હતું કે, સરકારે વચન આપ્યું હતું. તે અનુસાર લોકોને લોન તો મળી જ રહી. બેન્કો સામાન્ય અરજકર્તાઓ પાસેથી જામીન ઉપરાંત અનેક પ્રકારના દસ્તાવેજો માગે છે. જેથી લોકોને પોતે છેતરાયા હોવાની લાગણી અનુભવાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીએ આ યોજનાનો સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો હતો. પરંતુ લોકોને તો ફોર્મ મેળવવા માટે પણ લોકોએ લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું હતું. સંજયભાઈના વકીલ ગિરીશ હરેજાના જણાવ્યા મુજબ, જો સરકારે સાત દિવસમાં લીગલ નોટિસનો જવાબ ના આપ્યો તો તેઓ આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરશે. પોતે આ નોટિસ ઈમેલ દ્વારા મોકલી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નોટિસમાં જણાવાયું છે કે, કોઈ જામીન વિના લોન સરળતાથી મળી રહેશે તેવું લોકોને કહીને આપે તેમની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચર્યા છે. જેથી આપને આ લીગલ નોટિસ મોકલવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના દાવા અનુસાર આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠલ મળનારી એક લાખ રૂપિયા સુધીની લોનનું અરજકર્તાએ માત્ર બે ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે. બેન્ક આ લોન આઠ ટકા વ્યાજ દરે આપશે. પરંતુ તેનું છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે. આ લોન ત્રણ વર્ષમાં ભરવાની રહે છે અને તેના હપ્તા છ મહિના શરૂ થશે.