૨૦૨૦માં ટી-૨૦ વર્લ્ડકપ ન યોજાય તેવી વકી
આજે આઇસીસીની મહત્વની બેઠક, વર્લ્ડ કપ મોકૂફ રહે તો ઇન્ડિયન પ્રિમિયર લીગ માટેનો માર્ગ મોકળો બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૭
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારો ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ મોટા ભાગે મુલતવી રહે અને ૨૦૨૨માં તેનું આયોજન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે અને આમ થશે તો આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું આયોજન કરવા માટેનો માર્ગ મોકળો બની રહેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની શકિતશાળી બોર્ડ મિટિંગ ગુરુવારે ટેલિકોન્ફરન્સ દ્વારા યોજાનારી છે અને તેમાં વર્લ્ડ કપ અંગે નિર્ણય લેવાશે. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટની પ્રવૃત્તિ અટકી ગઈ છે ત્યારે ગુરુવારની બેઠકમાં આ નિર્ણય લેવાય તો અન્ય દેશના ક્રિકેટ બોર્ડ પણ વિવિધ દ્વિપક્ષીય સિરીઝનું આયોજન કરી શકે તેમ છે. આઇસીસીના બોર્ડ સદસ્યે આ અંગે જણાવ્યું હતું કે ગુરુવારની બેઠક દરમિયાન આગામી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ખસેડવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જોકે તે અંગે સત્તાવાર જાહેરાત થશે કે નહીં તે જ સવાલ રહેશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો આ વર્ષે ઓક્ટોબરમાં ટી૨૦ વર્લ્ડ કપ યોજાય તેવી શક્યતા નહિવત છે. વર્લ્ડ કપ મુલતવી રખાય તો મને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કે અન્ય દેશના ક્રિકેટ બોર્ડ તેમાં કોઈ વાંધો ઉઠાવે. અગાઉ એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે આઇસીસીની ક્રિકેટ ઇવેન્ટ સમિતિ આ માટે કેટલાક વિકલ્પો રજૂ કરશે જેમાં વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૨માં યોજાય. જ્યારે ૨૦૨૧નો વર્લ્ડ કપ તો અગાઉથી જ ભારતમાં યોજનારો છે. આઇસીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપ મુલતવી રખાયો હોવાના પ્રકાશિત થયેલા અહેવાલ અયોગ્ય છે. જોકે તેમણે એમ કબૂલ્યું હતું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વિકલ્પો વિચારી રાખવામાં આવ્યા છે. સાથે સાથે એવી પણ શક્યતા છે કે આ વર્ષને અંતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે કેમ કે દરેક સદસ્ય બોર્ડ આર્થિક નુકસાન ભરપાઈ કરવા માટે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન કરવા માટે તત્પર છે.