મમતા બેનર્જીનો મોદી સરકાર પર પ્રહાર
બંગાળની સરહદો ઘણા દેશ સાથે જોડાયેલી હોવાીથી તે ઘણું સંવેદનશીલ : પૂરતી કાળજી રાખવી જોઈએ : મમતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૨
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રવાહ કર્યા છે. મમતા બેનર્જીએ સોમવારે વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં માહિતી આપતા કહ્યું હતું કે તેમના રાજ્યએ દેશના અન્ય ઘણા રાજ્યો કરતાં કોરોના વાયરસ સામેની લડાઈમાં સારી કામગીરી કરી છે. બાદમાં તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર બંગાળ સાથે ભેદભાવ ભરેલું વર્તન કરી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પોતાની જાતે નિર્ણયો લઈ શકતી નથી અને રાજ્યોને થોડી જ માહિતી આપે છે. સમગ્ર પ્રક્રિયામાં સમવાયી રીતે થવી જોઈએ. કોવિડ-૧૯ના પડકાર સામે કેન્દ્ર સરકારે રાજ્યોની સરકાર સાથે મળી લડવાનું છે.
તેમણે પરપ્રાંતીય મજૂરોના મુદ્દા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને લખેલા પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પત્રો લીક થઈ જવા તે ફેડરલ સ્પિરટ નથી. આપણે રાજકારણથી બહાર આવીને લડવાનું છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નાણા મંત્રી નિર્મલા સીતારમણ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ બેઠકમાં ભાગ લીધો હતો. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, બંગાળની સરહદો ઘણા દેશ સાથે જોડાયેલી છે. અને તેથી તે ઘણું સંવેદનશીલ રાજ્ય છે. તેથી તેના માટે પૂરતી કાળજી રાખવી જોઈએ. પરપ્રાંતીય મજૂરો અંગે તેમણે કહ્યું કે અમે અન્ય રાજ્યોમાંથી બંગાળમાં આવેલા મજૂરોની કાળજી લઈ રહ્યા છીએ પરંતુ ટ્રેનોની વ્યવસ્થા સાવચેતીપૂર્વક આયોજન કરીને તથા રાજ્યોની સલાહ લઈને કરવી જોઈએ નહીંતર કોરોના ફેલાવવાનું જોખમ વધી જશે.