રાજયસભાની ચૂંટણીમાં ભારે હાઇવોલ્ટેજ થ્રીલર અને ડ્રામા જેવા યોજાયેલા મતદાન વચ્ચે આજે વહેલી સવારે જ કોંગ્રેસપક્ષમાંથી છેડો ફાડનાર વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ચોંકાવનારો ધડાકો કર્યો હતો કે, તેમણે તેમના ખાસ એવા એહમદભાઇ પટલેને મત નથી આપ્યો. બાપુના આ શબ્દો સાંભળતાં જ સૌકોઇ અવાચક થઇ ગયા હતા. બાપુએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ જીતવાની જ ન હતી અને તેથી મારો મત બગાડીને કોઇ અર્થ ન હતો અને તેથી મેં મારા અઝીઝ એવા એહમદભાઇને મારો મત આપ્યો નથી. જેનો મને અફસોસ પણ છે.
શંકરસિંહ વાઘેલાના આ ધડાકા બાદ રાજયસભાની ત્રણ બેઠકોનું મતદાન જયાં ચાલી રહ્યું હતું તે સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. વાઘેલાએ વોટીંગ કર્યા બાદ બહાર નીકળ્યા બાદ તરત જ પત્રકારોને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસ પક્ષ (હાઇકમાન્ડ)ને પહેલેથી જ કહેતો હતો અને સમજાવતો હતો કે, ધારાસભ્યો જઇ રહ્યા છે, તેઓને રોકો રોકો પરંતુ પક્ષે મારી વાત સમજી નહી અને ગંભીરતાથી લીધી નહી. આખરે મેં તા.૨૧ જૂલાઇ,૨૦૧૭એ કોંગ્રેસપક્ષને અલવિદા કરી તો પક્ષે પણ આજે મને મુકત કર્યો અને મને કહ્યું હતું કે, તમે મુકત છો, તમારે જે કરવું હોય તે કરો..તેથી મેં મારો મત એહમદ પટેલને આપ્યો નથી.
વાઘેલાએ ભારપૂર્વક જણાવ્યું કે, હાલના સંજાગો જાતાં કોંગ્રેસ જીતવાની જ નથી અને તેથી તેમનો મત બગાડીને કોઇ મતલબ ન હતો અને તેથી તેમણે કોંગ્રેસને એટલે કે, એહમદભાઇ પટેલને મત નથી આપ્યો. મારા સિવાય કોંગ્રેસના જે ૪૪ ધારાસભ્યો છે, તેમાંથી પણ કેટલાક મતો તૂટવાના છે તે નક્કી છે. એહમદભાઇ હારશે તે નક્કી છે. એહમદભાઇને હરાવવાનું આ એક ષડયંત્ર છે. મને લાગે છે કે, કોંગ્રેસપક્ષે એહમદભાઇની રેપ્યુટેશન સાથે આવી મજાક કરવા જેવી ન હતી.