એક્ટિવ કેસોની સંખ્યા ૫.૮૬ લાખ પર પહોંચી
દેશમાં કોવિડ-૧૯ના ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૧૮.૫૫ લાખને પાર થઇ ગઇ : મૃત્યુ આંક ૩૮,૯૩૮ પર પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૪
દેશમાં કોરોના વાયરસ દિનપ્રતિદિન બેકાબૂ થતો જઈ રહ્યો છે. મંગળવારે સવારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ હજાર ૦૫૦ નવા કેસ નોંધાયા છે અને ૮૦૩ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ ૧૮ લાખ ૫૫ હજાર ૭૪૬ કેસ નોંધાયા છે. જેમાંથી ૫ લાખ ૮૬ હજાર ૨૯૮ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં ૧૨ લાખ ૩૦ હજાર ૫૧૦ કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ ૩૮ હજાર ૯૩૮ લોકો મૃત્યુ પામ્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના આંકડાઓ મુજબ, ભારતમાં બીજી ઓગસ્ટ સુધીમાં કોરોનાના ૨,૨૦,૦૦,૮૫૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં હાલ રિકવરી રેટ ૬૬.૩૦ ટકા જોવા મળી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૫.૮૬ લાખને પાર થઈ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ હજાર ૩૦૬ દર્દીઓ સાજા થયા છે. પોઝીટીવિટી રેટની વાત કરીએ તો દેશમાં હાલ પોઝીટીવિટી રેટ ૭.૮૬ ટકા ચાલી રહ્યો છે. એટલે કે જેટલા પણ ટેસ્ટીંગ થઈ રહ્યા છે, તેમાંથી ૭.૮૬ ટકા સેમ્પલ વાયરસથી સંક્રમિત નીકળી રહ્યા છે. માત્ર ૩જી ઓગષ્ટના રોજ એક જ દિવસમાં ૬ લાખ ૬૧ હજાર ૮૯૨ સેમ્પલના ટેસ્ટીંગ થયા હતા. જ્યારે કુલ ટેસ્ટીંગનો આંકડો બે કરોડથી વધુ થઈ ચૂક્યો છે. દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે, તેવા રાજ્યોમાં સૌપ્રથમ મહારાષ્ટ્ર છે, અહીંયા એક જ દિવસમાં ૮૯૬૮ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં ૭૮૨૨, તામિલનાડુ ૫૬૦૯, કર્ણાટક ૪૭૫૨ અને ઉત્તરપ્રદેશમાં ૪૪૪૧ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મૃત્યુમાં પણ મહારાષ્ટ્રમાં ૨૬૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ તામિલનાડુમાં ૧૦૯, કર્ણાટકમાં ૯૮, આંધ્રપ્રદેશમાં ૬૩ અને પશ્ચિમ બંગાળમાં ૫૩ લોકોના મૃત્યુ થયા છે.
કર્ણાટકમાં પૂર્વ પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાને પણ કોરોના, હોસ્પિટલમાં દાખલ :
કર્ણાટકમાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા બાદ કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એસ સિધ્ધારમૈયા પણ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે. તેઓએ મંગળવારે સવારે જ ટ્વીટ કરીને તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. તેમજ હાલ તબીબોની સલાહ મુજબ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. તેની સાથે તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ સાવેચત કરવાની સાથે પોતાને ક્વોરન્ટીન કરી લેવા સલાહ આપી છે. તેમની પહેલાં ભાજપ સરકારના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા પણ વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. તેમનો રવિવારે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમની ઓફિસમાં કામ કરતા છ કર્મચારીઓ પણ પોઝીટીવ થતા સારવાર હેઠળ છે. સોમવારે તેમની એક પુત્રી પણ વાયરસથી સંક્રમિત હોવાની વાત સામે આવી હતી. યેદિયુરપ્પા અને તેમની પુત્રી હાલ મણિપુર હોસ્પિટલમાં દાખલ છે.
ભારતમાં કોરોનાનો ટેસ્ટીંગ રેટ ઓછો છેઃ WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા મુજબ જર્મની, તાઈવાન, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા કેટલાક દેશોની તુલનામાં ભારતમાં કોરોનાનો ટેસ્ટીંગ રેટ ઓછો છે.