પ્રેસ કોન્ફરન્સ બાદ કેજરીવાલની તબિયત લથડી
દિલ્હીના મુખ્યપ્રધાને સોમવારની તમામ મિટિંગ રદ કરી, દિલ્હીમાં હજુ સુધીમાં કોરોનાના કુલ દર્દીનો આંક ૭૬૫૪
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૮
કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલ દિલ્હી માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબીયત ખરાબ થઈ ગઈ છે. તેમને રવિવારના રોજ સામાન્ય તાવ અને ગળામાં દુઃખાવો થતો હતો. કોરોના વાયરસના ભયના કારણે આવતીકાલે મંગળવારના રોજ તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. તબિયત ખરાબ થઈ જવાના કારણે તેમણે સોમવારની પોતાની તમામ મીટિંગ્સ રદ કરી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર કેજરીવાલે ગઈકાલે દિલ્હીમાં કોરોનાની સ્થિતીની જાણકારી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારબાદથી તેમની તબિયત થોડી બગડી ગઈ હતી. હાલ સાવધાનીના ભાગરુપે તેઓએ પોતાને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે એક ચેનલ સાથેની વાતચીત દરમિયાન કેજરીવાલની તબિયત બગડી હોવાની વાતની પુષ્ટિ કરી હતી. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવ્સમાં મુખ્યમંત્રીના સંપર્કમાં આવનારા લોકોએ પણ સાવચેત રહેવા કહેવાયું છે. મુખ્યમંત્રી સેલ્ફ આઈસોલેશનમાં છે. કાલે સવારે કોરોનાના ટેસ્ટ બાદ સાચી વાતની ખબર પડી જશે. તેમણે જણાવ્યું કે કેબિનેટની મીટિંગ્સ તો દૂર-દૂર બેસીને જ થતી હતી. સરકારી અધિકારીઓને સાવધાની રાખવાની જરૂર છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલને કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઇન યોદ્ધા ગણાવ્યા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, કેજરીવાલને ડાયાબિટિસ છે, જેના કારણે ચિંતા વધી છે. અમે સૌ ચિંતિત છીએ, પરંતુ કેજરીવાલ એક યોદ્ધા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૨૭૬૫૪ છે. ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૨૦ નવા કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં દિલ્હીના ૭૧૬ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. દિલ્હીમાં હાલ ૨૧૯ કન્ટેઈનમેન્ટ ઝોન છે. નોંધનીય છે કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને આઇસોલેશનમાં જવું પડ્યું હોય તેવો આ ત્રીજો મામલો છે. આ અગાઉ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની કેબિનેટના એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા મુખ્યમંત્રી સહિત અન્ય ત્રણ મંત્રીઓને સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે એપ્રિલ મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાત દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહ્યા હતા.