એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં નાણામંત્રી અરુણ જેટલીએ આજે એક મોટી જાહેરાત કરી દીધી હતી. આના ભાગરુપે કેન્દ્ર સરકારે ઓબીસી અનામત માટે ક્રિમિલેયરની આવક મર્યાને વધારી દીધી છે. હવે આઠ લાખ રૂપિયા સુધી વાર્ષિક કમાણી કરનાર અન્ય પછાત જાતિ (ઓબીસી) ક્રિમિલેયરમાં આવશે. પહેલા આ મર્યાદા છ લાખ રૂપિયા હતી. સરકારના આ નવા નિર્ણયના પરિણામ સ્વરુપે હવે ઓબીસી વર્ગમાં વધુ લોકોને નોકરી અને ભરતીમાં અનામતના લાભ મળી શકશે.
જેટલીએ કહ્યું હતું કે, ઓબીસીની યાદીમાં સબ કેટેગરી બનાવવા માટેની દિશામાં એક પંચની રચના કરવા માટે રાષ્ટ્રપતિની પાસે ભલામણ મોકલવામાં આવી છે. આનાથી લાભથી વંચિત રહી ગયેલા લોકોને પણ સામેલ કરી શકાશે. હજુ સુધી છ લાખ રૂપિયા અથવા તો તેનાથી વધુની વાર્ષિક આવક ધરાવનાર ઓબીસી પરિવારનો લાભ મેળવનારની યાદીથી દૂર કરીને ક્રિમિલેયરમાં રાખવામાં આવ્યા હતા. આ આવક વર્ગના ઓબીસીને કોઇ પ્રકારના લાભ મળી રહ્યા ન હતા.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ક્રિમિલેયરની પરિભાષા ફરીવાર નક્કી કરવા તૈયારી કરી છે. વધુ જરૂરિયાતવાળા લોકોને તથા સમાજના નિચલા વર્ગના લોકોને અનામતના લાભ મળી શકે તે દિશામાં પહેલ થઇ રહી છે. ઓબીસી અનામત માટે છેલ્લી સમીક્ષા ૨૦૧૩માં કરવામાં આવી હતી. અરુણ જેટલીએ આજે આ જાહેરાત કર્યા બાદ તેનો સીધો ફાયદો સામાન્ય લોકોને મળી શકે છે. જેટલીએ આજે કહ્યું હતું કે, સરકાર દ્વારા અન્ય પછાત જાતિ અથવા તો ઓબીસીની પેટા કેટેગરીની ચકાસણી કરવા એક કમિશનની રચના કરશે.
ઓબીસી ક્રિમિલેયરની મર્યાદાને છ લાખથી વધારીને હવે આઠ લાખ કરી દેવામાં આવી છે. આ કમિશન ચેરમેનની નિમણૂંકના ૧૨ સપ્તાહની અંદર અહેવાલ સુપરત કરશે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ (એનસીબીસી)એ તેના અહેવાલમાં ત્રણ કેટેગરીની અંદર પેટા કેટેગરી બનાવવા માટે સરકારને ભલામણ કરી હતી. એનસીબીસીએ ઓબીસીની અંદર પેટા કેટેગરીની ભલામણ કરીને આમા સૌથી પછાત જાતિ (ગ્રુપએ), વધુ પછાત વર્ગ (ગ્રુપ બી), પછાત વર્ગ (ગ્રુપ સી)ની વાત કરી હતી. એવી ભલામણ પણ કરવામાં આવી હતી કે, સૌથી પછાત જાતિઓને અલગગ્રુપમાં રાખવામાં આવે તે જરૂરી છે. આનાથી તેમને વધુ સુવિધા આપી શકાશે. ઓબીસી અનામતના સંદર્ભમાં આજે કરવામાં આવેલી જાહેરાતને ખુબ મોટી જાહેરાત તરીકે ગણવામાં આવે છે. આનાથી ઓબીસી વર્ગના વધુ લોકોને નોકરી અને ભરતીમાં સીધો ફાયદો થશે.