વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શહેરના કાંકરિયા વિસ્તારમાં ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૭નો શુભારંભ કરાવશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે રૂ.૫૦૦ કરોડના ખર્ચે પીપીપી મોડેલ હેઠળ તૈયાર થયેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમનું પણ ઉદ્ઘાટન કરાશે.ખેલ મહાકુંભના લોન્ચીંગ પ્રસંગે વિવિધ રમતોના ૯ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઓલમ્પીક મેડલ વિજેતા ખેલાડીઓ ખાસ હાજર રહેશે.
વર્ષ ૨૦૧૦માં નરેન્દ્ર મોદી રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજયમાં રમતગમતની સંસ્કૃતિના નિર્માણ, આરોગ્ય અને ફિટનેસની જાળવણી તેમ જ પાયાગત અભ્યાસની સાથે સાથે ખેલ પ્રતિભાની આગવી ઓળખ સમા પ્લેટફોર્મ સર્જનના ઉદ્દેશથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેગા કોમ્પીટીશનમાં નવ વર્ષથી નાના બાળકોથી લઇને ૬૦ વર્ષથી મોટી ઉમંરના વડીલોને સાંકળી લેવામાં આવ્યા હતા.
ખેલ મહાકુંભના મંચ થકી સામાન્ય માણસને પણ તેની પ્રતિભા અને પ્રવેશનો અવસર પ્રાપ્ત થાય છે. ૪૦થી વધુ દિવસ સુધી ચાલનારા ખેલ મહાકુંભમાં ગામડા અને શાળાઓમાંથી સાત ઉમંર જૂથના લોકોને આમંત્રિત કરરી તેઓને રાજય સ્તરની સ્પર્ધામાં ઉમદા તક પૂરી પાડવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત રમતો જેવી કે, ખોખો, રસ્સીખેંચ, કબડ્ડી અને ગીલ્લી-દંડીને જીવંત રાખવાનો છે.
પાટણ જિલ્લાના સાંપ્રા ગામની મહિલા ફુટબોલ ટીમ અને ગીર સોમનાથ જિલ્લાના નાનકડા સરખાડી ગામના વોલીબોલ ખેલાડીઓની સિધ્ધિ આજે પણ નોંધનીય છે કે જેઓએ દેશને ૪૮ જેટલા રાષ્ટ્રીય મેડલ અપાવ્યા છે. આવતીકાલના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અતિથિ વિશેષ તરીકે ઉપÂસ્થત રહેશે.