નવી દિલ્હી,નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતરને દૂર કરવા માટે આગામી ૧૦ વર્ષની અંદર ભારતને ૧.૫ ટ્રિલિયન રોકાણની જરૃર પડશે. કારણ કે, સરકાર મહાકાય આધુનિકીકરણની યોજનાના ભાગરુપે ૨૦૧૯ સુધી માર્ગો સાથે ૭૦૦૦ ગામોને જોડી દેવામાં આવશે. જેટલી હાલમાં એઆઈઆઈબીના બોર્ડ ઓફ ગવર્નન્સમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે. જેટલીએ કહ્યું હતું કે, સરકાર વધુ એરપોર્ટ અને સી પોર્ટનું નિર્માણ કરશે. વધુ વિજળીનું ઉત્પાદન કરશે. ખાસ કરીને રિન્યુએબલ એનર્જી તરફ ધ્યાન આપશે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, આગામી દશક સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતરને દૂર કરવા માટે ભારતમાં ૧.૫ ટ્રિલિયન ડોલરની જરૃર પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારી પાસે ઉપલબ્ધ રહેલા વધારાના સંસાધનોનો પણ ઉપયોગ કરીશું. કારણ કે કિંમતો ઘટી રહી છે. મોટાપાયે મૂડીરોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવશે.
૨૦૧૯ સુધી હજારો ગામોને માર્ગો સાથે જોડી દેવામાં આવશે. જેટલીએ ચાઈના સ્પોન્સર્ડ એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ મુજબની વાત કરી હતી. જેમાં અનેક દેશોના નાણામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેટલીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમના ભાગરુપે મોટાપાયે ગ્રામીણ સેનિટેશન કાર્યક્રમની વાત કરી હતી. આ વર્ષે હાઈવે નિર્માણની દ્રષ્ટિએ ૧૦૦૦૦ કિલોમીટરના નિર્માણની યોજના છે. રેલવે વ્યવસ્થા ૧૦૦ વર્ષ જુની બની ચુકી છે. આમા પણ અમે આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યા છે. વાણિજ્ય કેન્દ્રો સાથે રેલવે સ્ટેશનને જોડી દેવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. જેમાં ખાનગી સેક્ટરની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
સરકાર વધુ પ્રમાણમાં એરપોર્ટ, સીપોર્ટનું નિર્માણ કરશે. તમામ ક્ષેત્રોમાં ભાર આપવામાં આવી રહ્યો છે. વર્લ્ડ બેંક, એડીબી જેવી વિકાસની સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, ટકાવી શકાય તે રીતે મોટાપાયે રિટર્નની વાત કરવામાં આવી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડની સરકારે રચના કરી છે જેમાં સરકારની લઘુત્તમ હિસ્સેદારી રહેશે. જેટલીનું કહેવું છે કે, નવા પ્રયોગો પણ થઇ રહ્યા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર પૈકીના એક તરીકે બની ગયું છે.