વડોદરા, સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવનાર પારુલ યુનિવર્સટી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની ઉપર બળાત્કારના કેસમાં પોલીસે ઉંડી તપાસનો દોર આગળ વધાર્યો છે. પોલીસ આજે જયેશ પટેલ અને રેક્ટર ભાવના ચૌહાણને પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં લઇ ગઇ હતી ત્યાં સ્ટાફ ક્વાર્ટરમાં લઇ જઇને દુષ્કર્મની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલામાં ત્રણ ઉચ્ચ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ કેમ્પસમાં જઇને વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરશે. અન્ય કોઇ વિદ્યાર્થીની ભોગ બની છે કે કેમ તે મામલામાં પણ તપાસ કરવામાં આવશે. બીજા બાજુ રેક્ટર ભાવના ચૌહાણને એક દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. વાઘોડિયા કોર્ટ દ્વારા આ રિમાન્ડ મંજુર કરાયા છે. જયેશ પટેલ સામે વિદ્યાર્થીની પર બળાત્કારનો આક્ષેપ છે જ્યારે ભાવના ચૌહાણ સામે વિદ્યાર્થીનીને જયેશ પટેલ સુધી લઇ જવાનો આક્ષેપ છે.
આજે સવારે પોલીસ ટુકડી પારુલ કેમ્પસમાં પહોંચી હતી. જયેશ પટેલે જે સ્ટાફ ક્વાર્ટર્સમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તે ત્યાં પણ લઇ જવાયા હતા. આકરી પુછપરછનો દોર પોલીસે હાથ ધર્યો હતો. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે સનસનાટીપૂર્ણ પારુલ યુનિવર્સિટી દુષ્કર્મ મામલામાં આરોપી જયેશ પટેલના ઘણા બધા તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અગાઉ સહકાર નહીં કર્યા બાદ ગઇકાલે ફરીવાર મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તબીબી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રેપના આરોપી જયેશ પટેલને હાલમાં આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. ૩૦મી જૂન સુધી વાઘોડિયા કોર્ટ દ્વારા પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવાનો આદેશ કર્યો હતો.
ચાર દિવસ સુધી ફરાર રહ્યા બાદ જયેશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી. સૌથી પહેલા જયેશ પટેલની ધરપકડ બાદ બુધવારે આરોપીને વાધોડિયા આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ચેક અપ અર્થે લઈ જવાયો હતો. પરંતુ મેડીકલ ચેક અપમાં સહકાર ન આપતા ગુરુવારે સવારે ફરી મેડીકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. આરોપી જયેશ પટેલના સેમ્પલને સુરત ખાતે મોકલવામાં છે. પોલીસે આરોપી જયેશ પટેલના ૧૪ દિવસના રીમાન્ડની માંગ કરી હતી. જો કે, વાઘોડિયા કોર્ટે ૩૦મી જુન એટલે કે, ૮ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.