સરકારી હોસ્પિટલોની બેદરકારીનો વધુ એક બનાવ
ન્યૂ રાણીપના શખ્સને પાંચ દિવસથી શરદી, તાવ અને ગળાની તકલીફ છતાં દર્દીનો રિપોર્ટ કરવા ડોકટરનો ઇન્કાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
કોરોના નામની મહામારીએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની દશા સૌથી ખરાબ છે. ગુજરાતમાં પણ અમદાવાદના તો હાલ બેહાલ થઈ ગયા છે. ગુજરાતમાં સૌથી વધારે કેસ અને મોત અમદાવાદમાં થયા છે ત્યારે અમદાવાદની સરાકારી હોસ્પિટલની કોરોના પ્રત્યે બેદરકારી સામે આવી છે. શહેરમાં ટેસ્ટિંગ ન કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાના ટેસ્ટ માટે ડોક્ટરે ઉડાઉ જવાબ આપ્યો હતો. અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા રોહનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો લાગતા તે સોલા સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટે ગયો હતો. જ્યાંથી સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે ઉડાઉ જવાબ આપ્યો હતો. ત્યાંના ડોક્ટરોએ તપાસ કરી યુવકનો ટેસ્ટ કરવાની ના પાડી દીધી હતી. દવા આપી અને આઈસોલેટ થવા માટે સૂચના આપી હતી. વધારે થાય તો આવજો. ત્યાં કોરોનાના ટેસ્ટની ના પાડતાં તે ઘરે આવી ગયો હતો. તેના ગળામાં તકલીફ વધતા તેમણે ૧૦૪માં ફોન કરતાં પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. મહત્ત્વનું છે કે, આ યુવકને પાંચ દિવસથી શરદી, તાવ અને ગળાની તકલીફ છે. આ અંગે રોહન સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મૂકી છે. ત્યારે અનેક સવાલ થાય છે કે સરકારી હોસ્પિટલો કેમ કોરોના પ્રત્યે બેદરકાર બની રહી છે ? દર્દીને લક્ષણ હોવા છતાં પણ ટેસ્ટ કરવામાં આનાકાની કેમ કરવામાં આવી રહી છે ? શું તમારી આવી બેદરકારીને કારણે દર્દીને જીવનું જોખન નહીં થાય ? દર્દીના પરિવારને પણ આનાથી જીવનું જોખમ નહીં હોય ? સરકારની ઉદાસીનતા બાદ હવે સરકારી હોસ્પિટલો પણ આમ કરે તો કેમ ચાલે ? દર્દીએ લક્ષણોની ફરિયાદ કરી હોવા છતાં પણ ટેસ્ટ કરવામાં આનાકાની કેમ ?