તમામ સાથી તબીબોએ રાજીનામા આપ્યા
મેડિકલ કોલેજના અસોસિએટ પ્રોફેસર ડૉક્ટર એસ.કે. ગઢવીચારણની કારણ વગર ભાવનગર ટ્રાન્સફર થતાં રોષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ, તા. ૨૯
શહેરની પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના અસોસિએટ પ્રોફેસર ડૉ. એસ. કે. ગઢવીચારણની ટ્રાન્સફર થતાં મેડિસિન વિભાગનાં ૧૦ ડોક્ટરો નારાજ થયા હતાં અને ગુરુવારે સાંજે તેમણે રાજીનામું ધરી દીધું હતું. કોરોના વાયરસના કારણે ગઢવીચારણની ટ્રાન્સફર ભાવનગરની સર ટી હોસ્પિટલમાં કરાતા ડૉક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે, તેમની અચાનક ટ્રાન્સફર કરવાનું કોઈ ચોક્કસ કારણ નહોતું. ગઢવીચારણ સીક લીવ પર હતા ત્યારે જ તેમને ટ્રાન્સફર ઓર્ડર મળ્યો હતો. ગઢવીચારણની બદલી કરાઈ હોવાની વાત ફેલાતા જ મેડિસિન વિભાગના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો અને હોસ્પિટલના સત્તાધીશોને રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ગુરુવારે મોડી સાંજે રાજીનામું ધરી દેનાર ૧૦ ડોક્ટરોમાં મેડિસિન વિભાગના ચાર અસોસિએટ પ્રોફેસર અને છ આસિસ્ટન્ટ પ્રોફેસર સામેલ છે. પીડીયુના ડીન ડૉ. ગૌરવી ધ્રુવે આ વાતની પુષ્ટિ કરી હતી કે, તે લોકોએ રાજીનામું કેમ આપ્યું તેની મને જાણ નથી. વધારે માર્ગદર્શન માટે મેં તેમના રાજીનામા ગાંધીનગરમાં રાજ્યના આરોગ્યને વિભાગને મોકલ્યા છે. તેમણે તેમ પણ કહ્યું હતું કે, રાજીનામા હજુ સ્વીકાર્યા નથી અને ડૉક્ટરો પણ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાયરસ કેસની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ૧૦૪ લોકો સંક્રમિત થયા છે, જેમાં ૮૩ કેસ શહેરના છે.