હજુ સુધી ૧૦ લાખ ૧૫ પરપ્રાંતિયોને રવાના કરાયા
ઉદ્યોગ-ધંધા, વેપાર, ખાનગી ઓફિસો, નાની-મોટી દુકાનો આવી તમામ જગ્યાએ નવો માહોલ જોવા મળી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા. ૨૪
ગુજરાતમાંથી પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. સીએમ રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ૩૧ લાખ જેટલા પ્રરપ્રાંતિય શ્રમિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. ૨૧મી મધ્યરાત્રિ સુધીમાં ૬૯૯ ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૦ લાખ ૧૫ હજાર પરપ્રાંતિય શ્રમિકોને સલામત રીતે તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે ગુજરાતમાંથી બીજી ૫૫ ટ્રેનો રવાના થવાની છે. જેમાંથી ૨૦ ટ્રેન બિહાર, ૨૧ ટ્રેન યુપી, ૩ ટ્રેન ઝારખંડ અને ૨ ટ્રેન છત્તીસગઢ જવા માટે રવાના થશે. આ ટ્રેનોમાં ૮૫ હજાર જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવશે. અશ્વિનીકુમારે વધુમાં વધુ જણાવ્યું કે, લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યના સીએમ દ્વારા જનજીવનને સામાન્ય કરવા માટે કેટલીક શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે. ઉદ્યોગ-ધંધા, વેપાર, ખાનગી ઓફિસો, નાની-મોટી દુકાનો આવી તમામ જગ્યાએ નવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટ પ્રમાણમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ કરી રહ્યાં છે. તેમજ ઘરેથી બહાર નીકળતાં પહેલા મોટાભાગના લોકો ફેસ માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. છૂટછાટ અપાતા પહેલા દિવસે ભીડના દૃશ્યો જોવા મળ્યા હતા પરંતુ હવે તેમાં પણ ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઈવન સિસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. હવેથી આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી દુકાનો દરરોજ ખોલી શકાશે. જેના માટે રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું. જે મુજબ લોકડાઉન ૪.૦માં જીવન જરૂરી વસ્તુઓની દુકાનો રોજ ખોલ શકાશે.
એટલું જ નહીં, હાઈવે પરના તમામ પેટ્રોલ પંપ સમયની પાબંધી વગર ૨૪ કલાક ચાલુ રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે દુકાનોમાં પાંચછી વધુ ગ્રાહકોને એન્ટ્રી નહીં આપવામાં આવે તેવી પણ સરકાર દ્વારા તાકિદ કરવામાં આવી છે. જો કોઈપણ દુકાનદાર આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે સખત પગલાં લેવામાં આવશે.