કેન્દ્ર સરકારની મદદ માંગવામાં આવી
કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સંભાવના વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લોર,તા.૨૭
કર્ણાટકમાં મંદિરો, ચર્ચ અને મસ્જિદો પહેલી જૂનથી ખોલવામાં આવી શકે છે તેમ કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ બુધવારે કહ્યું હતું. જોકે, આ માટે કેન્દ્ર સરકારની તેમણે મદદ માગી છે. મુખ્યંમંત્રીએ એમ પણ કહ્યું કે તેમણે હોટલો ફરી શરુ કરવા માટે વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીએ તરત ઉમેર્યું કે, અમે ૧લી જૂનથી હોટલ ખોલવા ઉત્સુક છીએ અને આ માટે અમે દિલ્હીથી મંજૂરી લેવા ઈચ્છીએ છીએ, આ માટે મેં વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે. આશા છે કે જલદી તેની મંજુરી મળી જશે. અહીંયા પત્રકારો સાથેની વાતચીત કરતાં કહ્યું કે, અમે વારંવાર કહીએ છીએ કે મંદિર ખુલી શકે છે અને ચર્ચ તથા મસ્જિદ પણ ખુલવી જોઈએ, તેના પર કોઇ પ્રતિબંધ હવે હોવો જોઈએ નહીં. આપણા દેશમાં કાનૂન સૌ માટે એક સમાન છે, પરંતુ આ માટે સૌએ કેન્દ્ર સરકારની મંજૂરીની આવશ્યકતા છે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ, આ દિશામાં કર્ણાટક સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, આપણે કોવિડ-૧૯ સાથે જીવતા શીખવું પડશે અને આ માટે જરુરી પગલાં ભરવા પડશે. જોકે, મોલ અને થિયેટર ખોલવા સંદર્ભેના એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બાબત કેન્દ્ર સરકારની મંજૂરી પર નિર્ભર કરે છે, એટલે તે અંગે કહેવું વહેલું ગણાશે.