દેશભરમાં આજે મધરાતથી જ જીએસટીનો અમલ શરૂ થઈ જશે આમછતાં પણ અમદાવાદ શહેરની એએમટીએસ-બીઆરટીએસમાં મુસાફરી કરવાવાળા મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે આ બંને સેવાઓ પર આર્થિક બોજા પડવા છતાં પણ ભાડાના દરોમાં કોઈ વધારો કરવામાં નહીં આવે.આ અંગે મળતી માહીતી અનુસાર, દેશભરમાં આજ મધરાતથી જીએસટીનો અમલ શરૂ થઈ જશે.
સમાન કરવેરાનું માળખુ લાગુ કરવામાં આવી રહ્યુ છે જેના કારણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ હેઠળ સંસ્થાની માલિકીની જે બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપવામાં આવી છે તેવા કોન્ટ્રાકટરોને ત્રણ ટકા વધુ કર ચુકવવો પડવાનો હોઈ પહેલેથી જ આર્થિક ખાડામાં ઉતરી ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પર વધારાનો આર્થિક બોજા આવી પડશે.
સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહીતી અનુસાર, એએમટીએસની વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવી રહેલી બસોમાં રોજ છ થી સવા લાખ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.એએમટીએસની હાલ શહેરના વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવતી બસો પૈકી ૨૪૦ જેટલી બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપવામાં આવી છે.
જીએસટીનો અમલ થયા બાદ કોન્ટ્રાકટરોને ચુકવવામાં આવતી બીલની રકમમાં વધારો થશે.હાલ ૧૫ ટકાના બદલે ૧૮ ટકા જીએસટી તંત્ર દ્વારા ચુકવવામાં આવનાર હોવાથી એએમટીએસની તિજારી ઉપર વાર્ષિક રૂપિયા ચાર કરોડનો વધારાનો આર્થિક બોજા પડશે.આમ છતાં પણ એએમટીએસ દ્વારા હાલના ભાડામાં કોઈ વધારો કરવામાં નહીં આવે.સાતમા પગાર પંચનો અમલ કરવામાં આવ્યા બાદ તંત્ર ઉપર રૂપિયા ૩૦ કરોડનો આર્થિક બોજા વધવા પામ્યો છે છતાં પણ ભાડાના દરોમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી એએમટીએસ દ્વારા લોનપેટે રૂપિયા ૩૦૨ કરોડ લેવામાં આવ્યા છે.આ સાથે જ બીઆરટીએસના હાલના ભાડામાં કોઈ વધારો કરવામાં નહીં આવે સૂત્રોનું કહેવું છે કે,આવનારા સમયમાં રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી રહી હોઈ શાસકપક્ષ હાલ ભાડાના દરોમાં કોઈ વધારો કરવામાં નહીં આવે.